રવિવાર, 16 સપ્ટેમ્બર, 2018

શિવજીએ કરાવ્યો નર્મદામાં નૌકાવિહાર.....અને મિનિ મુંબઈ ઈંદોર!


શિવજીએ કરાવ્યો નર્મદામાં નૌકાવિહાર!
******************************
ખરેખર તો ઓમકારેશ્વર હનુમાનજીનું નિવાસસ્થાન હોવું જોઈએ, એવું જ્યાં ને ત્યાં પ્રગટ થતા વાંદરા જોઈને સતત આપણને લાગ્યા કરે. અરે! એ કપિરાજોનો ત્રાસ તો એટલો બધો કે અમારે રૂમની બહાર ગેલેરીમાં ઊભા રહીને સવારની ચા પીતાં પીતાં મા નર્મદા સાથે વાતો કરવી હોય તોય શક્ય નહોતી. દરેક બારીને મજબૂત જાળી હતી અને બારણાં ખોલવાની અમને મનાઈ હતી. ખેર, બે દિવસ બારી ઉપર આવીને બેસી જતાં વાંદર–ફેમિલીની લીલા જોઈ અમે ખુશ થતાં, બીજું શું? હૉટેલ તો સારી હતી ને ખાવાનુંય સરસ, પણ સજાવટના નામે ત્યાં મોટું મીડું હતું. કોઈ હૉસ્પિટલ જેવી એની સફેદ, નિરાશ ને સુસ્ત દિવાલો! અમે સવારનો ચા નાસ્તો કરવા બેઠેલાં ત્યાં બાજુના ટેબલ પર પચાસેક વરસનો એક સ્માર્ટ ને હૅન્ડસમ યુવાન આવીને ગોઠવાયો.

એ તરફ એક અછડતી નજર નાંખી અમે ફરી અમારી વાતે વળગ્યાં. ત્યાં સામેથી જ એણે પૂછપરછ ચાલુ કરી, ‘(એ હેલો...માતાઓ/બહેનો) તમે ક્યાંથી આવો છો?’
એનો દેખાવ તો ભરોસો કરવા જેવો હતો પણ તોય ભાઈ, આજકાલ કોઈનોય ભરોસો નહીં! અમે એકબીજા સામે જોયું એટલે તરત જ એણે પોતાની ઓળખાણ આપી, ‘હું આ હૉટેલનો મેનેજર છું અને તમને કોઈ વાતે અહીં અગવડ તો નથી ને, એ પૂછવા આવ્યો છું.’ (તો એમ ત્યાં બેઠા બેઠા પૂછાય?)
‘ઓહ! અમે મુંબઈ અને સુરતથી આવીએ છીએ અને એમ પીની નાનકડી ટૂર પર નીકળ્યાં છીએ. પંચમઢી ને ભોપાલથી ફરતાં ફરતાં હવે અહીં ફરીને પછી ઈંદોર જઈશું.’
‘અચ્છા.’
અમે તો શરૂ કરી દીધું ‘અહીં બધું સરસ છે પણ આ વાંદરાંનો ત્રાસ! ને સૉરી પણ આ હૉટેલ કેમ આટલી સાદી છે? થોડી સાજસજાવટ કે પેઈન્ટિંગ્સ કે રંગીન પડદા જેવું કંઈક લાઈવ લાગે એવું કેમ નથી?’
અમારા હુમલાથી નક્કી બિચારાને થયું જ હશે કે, પોતાની ઓળખાણ મેનેજર તરીકે નહોતી આપવી જોઈતી. આ બધીઓ તો ઘરની આદત મુજબ જ ફરિયાદ કરવા મંડી પડી.
‘તમારી વાત સાચી છે પણ અહીં ભેજવાળું વાતાવરણ અને વધુ પડતો વરસાદ કંઈ ટકવા નથી દેતો. પુરનાં પાણી ફરી વળે તો સાચવવું ભારી પડે. તમે જોજો મંદિરના પગથિયાં પણ તૂટેલાં હશે.’
‘ઓકે. થેન્ક યુ. ફરી મળીએ.’ કહી અમે મંદિર જોવા નીકળી ગયાં.

મેનેજરની વાત સાચી હતી. મંદિર જવાના બે રસ્તા હતા. એક પુલ પરથી ચાલીને જવાનો અને બીજો હોડીમાં સહેલ કરતાં કરતાં જવાનો. અમે તો નૌકાવિહાર પર જ મત્તું માર્યું હોય ને? હોડી સુધી જવા માટે ભીનાં ને તુટેલાં પગથિયાં સાચવીને ઉતરતાં હતાં, ત્યારે ત્યાંના રહેવાસીઓને દોડીને પગથિયાં ચડઉતર કરતાં જોયાં! હોડીવાળા સાથે ભાવની માથાકૂટ કર્યા વગર નૌકાવિહારના રોમાંચમાં અમે હોડીમાં ડગમગ થતાં ગોઠવાયાં. આ રીતે સાવ અચાનક જ નર્મદામૈયાના ખોળામાં ઝુલવાનો મોકો મળશે એવું તો સપનેય નહોતું વિચાર્યું. સરકતી હોડી સાથે અમારી નજરો પણ બન્ને કિનારે સરકતી રહી. નાના બાળક જેવા વિસ્મયથી રેવાના વિશાળ પટને નજર પહોંચે ત્યાં સુધી જોયા કર્યો. સતત પસાર થતી હોડીઓમાં શ્રધ્ધાળુઓની આવજાવ ચાલુ હતી. થોડે દૂર જ ટેકરી પર ઓમકારેશ્વર મંદિરની ધજા લહેરાતી હતી. ઘડીક તો થયું કે કશે જવું નથી ને કંઈ જોવું નથી. મા રેવાના લહેરાતા આંચલમાં જોવા મળેલો આ અદ્ભૂત નજારો ને એવી જ અવર્ણનીય અનુભૂતિ એ ઓમકારેશ્વરનાં દર્શન નથી? હોડીવાળાએ તો ઓફર કરી કે તમને બે કલાકમાં ઓમકારેશ્વરની પરિક્રમા કરાવી દઉં પણ અમે તો વી આઈ પી હતાં ને? બધે નિરાંતે ફરવાનો સમય ક્યાંથી મળે? ખેર, જે લહાવો મળ્યો તેનો પૂરો લાભ ઊઠાવવા અમે અડધા કલાકનો આનંદદાયક ને અવિસ્મરણીય નૌકાવિહાર જ મંજૂર કર્યો.

અમારો નાવિક સફર દરમિયાન બધી માહિતી આપતો રહ્યો. કાવેરી અને નર્મદાનો પવિત્ર સંગમ પણ આ ટાપુને એક કિનારે થતો હોવાથી, ભક્તો ઘાટ પાસે સંગમસ્નાન કરીને પછી મમલેશ્વર મંદિરથી પ્રદક્ષિણા ચાલુ કરે. નર્મદાપરિક્રમાનું વિશેષ માહાત્મ્ય હોવાથી આ સ્થાન અને સ્નાન લોકપ્રિય છે. આ મંદિર પાંચ માળનું છે અને તેની ઉપર દૂરથી પણ જોઈ શકાતો સફેદ ઘુમ્મટ છે. અમે હોડીવાળાની વાતોમાં હોંકારો પુરાવતાં મંદિર તરફ જોઈ રહ્યાં હતાં. મનમાં પાપ ને પુણ્યનાં લેખાંજોખાં થવા માંડ્યાં. શિવલિંગનાં દર્શન કરીને શું અમે કોઈ પુણ્ય કમાવા જઈ રહ્યાં હતાં? શું અમારાં પાપ ધોવા જેવાં છે કે ચાલી જશે? શું આ કેવટે કેટલાય લોકોને રામ સમજીને જ પાર ઉતાર્યા હશે? એની આ અણમોલ સેવાનું એને કેટલું પુણ્ય મળશે? કોણ જાણે. મારા મનને મારે બહુ કાબૂમાં રાખવું પડતું. મારું ભવિષ્ય જાણીને આ લોકો સામે બધા વિચારો પાછા મારાથી જાહેર પણ કરાતા નહીં. કેવટને કે દિનેશને તો શું સમજ પડે?

ખેર, અમને કિનારે ઉતારતાં નાવિક બોલ્યો, ‘માંજી, મૈં બૈઠા હૂં યહાં. આપ લોગ આરામસે દરસન કરકે આઓ. કોઈ જલદી નહીં.’ મારી આંખમાં પાણી આવી ગયાં. હવે હું માજી જેવી લાગવા માંડી? કેમ આ ત્રણમાંથી કોઈને નહીં ને મને જ કહ્યું? હે મા રેવા, મારા હારુ કંઈ બાકી નો રે’વા દેતી તું.’ મારી આંખમાંથી બે અશ્રુબિંદુ પડ્યાં ને રેવામાં સમાઈ ગયાં. જેમતેમ મંદિરના દરસનમાં ધ્યાન પરોવ્યુ. મંદિરની નીચેના પહેલા માળ પર દુ:ખહર, પાપહર ને સંકટહર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ! મંદિરમાં દાખલ થતાં જ વિશાળ સભામંડપ કે પ્રાર્થનાનો હૉલ. અંદરના ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગ જેના દર્શન હૉલમાંથી પણ થઈ શકે. આ હૉલમાં ધાર્મિક પ્રસંગોની કોતરણી ધરાવતા ચાર મીટર ઊંચા પથ્થરના સાંઈઠ થાંભલા છે. બીજા માળે મહાકાલેશ્વર બિરાજે છે. ત્રીજા માળે સિધ્ધનાથ, ચોથા અને પાંચમા માળે ગુપ્તેશ્વર અને ધ્વજેશ્વર બિરાજમાન છે.

બહુ જ સ્વાભાવિક છે, કે આટલા પ્રસિધ્ધ મંદિરને રસ્તે જતાં દરેક પગથિયે ફળ, ફૂલ ને પ્રસાદની દુકાનો, ચા ને નાસ્તાની હાટડીઓ તો હોવાની જ. શંકર ભગવાન કે કોઈ પણ ભગવાન ભાવનાના ભૂખ્યા છે, એ બધા ભક્તો સમજતાં હોવા છતાં પણ આ બધી દુકાનોમાં ઘટાડો થાય કે પૂજા–પ્રસાદનો કોઈ નિયમ બનાવાય તો ભક્તોને જ તકલીફ ઓછી પડે ને આ સ્થાન વધુ સ્વચ્છ ને રળિયામણું બને. આવી જગ્યાઓએ પુણ્યને બદલે પૈસા કમાનાર પૂજારીઓની કોઈ ખોટ નથી હોતી. જબરદસ્તી ના ન કહીએ ત્યાં સુધી માથું ખાનારા લાલચુઓ અહીં ઘાટથી જ સાથે ચાલવા માંડે. અમારે ફક્ત દર્શન જ કરવાનાં હોઈ અમે ખાલી હાથે જ મંદિરમાં ગયેલાં અને મનમાં સંતોષ ભરીને ફરી કેવટને સહારે નર્મદા પાર કરવા નીકળી પડેલાં. જેનાં દર્શનથી જ પાપ દૂર થાય એવી રેવાને કે શિવને વળી બાહરી પૂજાપાની શી જરૂર? સૌથી આનંદદાયક અનુભવને દિલમાં સંઘરી અમે ગામમાં લટાર મારવા નીકળી પડ્યાં.




મિનિ મુંબઈ ઈંદોર!
**************
આપણે જ્યારે પણ પ્રવાસમાં નીકળ્યાં હોઈએ ત્યારે આપણને અમસ્તી અમસ્તી ભૂખ બહુ લાગે, એમાં સાચી ભૂખનો તો વારો જ ન આવે! થોડી થોડી વારે, રસ્તામાં ફાકા મારવા લીધેલાં પડીકાં ફંફોસીએ અને જો કશે દસ પંદર મિનિટનો વિરામ લઈએ તો ચા પીવાની ઈચ્છા થઈ આવે. હવે ચા એકલી તો પીવાય જ નહીં એટલે ત્યાં જે મળતું હોય તે પેટમાં ઓરાય. બસ, કોઈ પણ હિસાબે ચક્કી ચાલુ રહેવી જોઈએ. હજી તો જ્યાં જવાનાં હોઈએ ત્યાંની ખાસ–ખાસ ને અવનવી વાનગીઓ લલચાવે તે તો પાછી જુદી. અમને હોટેલના મેનેજરે કહેલું કે ઈંદોર જાઓ તો ત્યાંની છપ્પન ભોગ ધરાવતી ‘છપ્પન દુકાન’ની મુલાકાતે અને ‘સરાફા બજાર‘ જરૂર જજો. શું એણે અમને ખાઉધરાં જાણીને જ કહ્યું હશે? કે ખરેખર ત્યાં જવા જેવું હશે? ચલો જો ભી હો, દેખા જાયેગા.


ઓમકારેશ્વરથી અમારે બે જગ્યાએ જવાનું હતું, ઈંદોર અને મહેશ્વર. મહેશ્વરને તો સ્વાભાવિક છે કે સાડીના શૉપિંગ માટે જ પસંદ કરેલું. બાકી ત્યાં કંઈ જોવા જેવું હોય તો પછી જોઈ લઈશું એવું નક્કી થયા પછી અવઢવ થઈ કે પહેલાં ક્યાં જવું? જો પહેલાં ઈંદોર જઈએ તો સાડીના શૉપિંગ માટેની ઘડીઓ કાલ પર ઠેલવી પડે એમ હતું. શૉપિંગની શુભ ઘડીઓ તો નજીક આવી આવીને જાણે દૂર જઈ રહી હતી. વળી ઈંદોર ગયા પછી તો છપ્પન ભોગ આરોગવાની ચટપટી રોકાય જ નહીં! ખેર, ગાડીમાં જગ્યાનો વિચાર કરીને પહેલાં ફરવાનું, ખાવાનું અને છેલ્લે શૉપિંગ એવું નક્કી થતાં અમે ઈંદોર તરફ રવાના થયાં. એમ પણ અમારા ચારમાંથી અંજુએ મહેશ્વર જોયેલું હતું એટલે એ મહેશ્વર નહોતી આવવાની. શૉપિંગમાં એક સાથીની ખોટ પડશે એ વિચારે અમે થોડી વાર માટે ગમગીન થયાં ને પછી (સાડીની વાતમાં) ભૂલી પણ ગયાં!

બે કલાક તો ક્યાંય નીકળી ગયા અને અમે દેશના પહેલા ટોલ રોડ(ટોલ નાકું)ના શહેર ઈંદોરની નજીક નજીક પહોંચી ગયાં. આખરે હોલકર પરિવારના ભવ્ય ઈતિહાસ ધરાવતા અને ઝળહળતા વર્તમાનથી શોભતા, ભારતની સૌથી સ્વચ્છ નગરીનું છોગું ધરાવતા, સુતરાઉ કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર બનેલા અને ખાણીપીણી માટે મુંબઈની હારોહાર ઊભા રહેનાર મધ્ય પ્રદેશના મોટામાં મોટા અને ચુડીઓથી રણકતા શહેર ઈંદોરમાં પ્રવેશ્યાં. કાચનું જૈન મંદિર જેની શોભા છે અને હોલકરના રાજ્ય દરમિયાનના મશહૂર, અદ્ભૂત મહેલો જેનો વારસો છે તે ઈંદોરના નામની પણ એક નાનકડી કહાણી છે. (આપણા નામની આગળ કે પાછળ તો કોઈ કહાણી જ ન હોય! એના માટે તો કોઈ તોપ ફોડવી પડે. અમસ્તું કંઈ નામ ન થાય.) ખેર, સરસ્વતી અને કાન્હ(!) નામે બે નાની નદીઓના સંગમ પર અઢારમી સદીમાં સંગમનાથ કે ઈંદ્રેશ્વર નામે નાનું મંદિર હતું તેના નામ પરથી ઈંદોર નામ પડ્યું. દુનિયામાં નદી કે પર્વત ન હોત તો શહેર કે ગામનાં અડધાં નામ શુષ્ક ને રસહીન જ હોત ને?

‘છપ્પન દુકાન’ મનમાં સાચવીને રાખીને અમે સૌથી પહેલાં કાચનું જૈન મંદિર જોવા ઉપડ્યાં. યુરોપિયન અને ભારતીય શૈલીની મિશ્ર શિલ્પકળાથી ચળકતું–ઝગમગતું ફક્ત રંગીન કાચ ને અરીસાઓનું જ બનેલું આ મંદિર છે. કાચની છત, કાચની દિવાલો અને થાંભલા સહિત જેના દરવાજાના કાચના ડટ્ટા પણ કલાત્મક એવા મંદિરમાં સુંદર ચિત્રો પણ કાચ પર બનાવેલાં જોયાં. શેઠ હુકમચંદ નામે એક જૈન શ્રેષ્ઠી હતા. ભારતના વેપારઉદ્યોગના પ્રણેતા એવા એ શેઠે અહીં ઈટારવામાં જયપુર અને ઈરાનથી કારીગરોને બોલાવીને એક ‘શીશ મહેલ’ ઊભો કર્યો. નજીકમાં પૂજાર્થે આ કાચનું મંદિર પણ બનાવડાવ્યું. શણગારમાં પ્રાચીન અને મધ્યયુગની જૈન કલાનો સમન્વય કર્યો. મંદિરના ગર્ભગૃહમાં તીર્થંકર ભગવાનની ફરતે અરીસાઓ એ રીતે ગોઠવ્યા કે ભાવકને અસંખ્ય ભગવાનનાં દર્શન થાય!

દર વરસે સોનાની પાલખીમાં થતી રથયાત્રાનો આરંભ આ મંદિરથી થાય છે. ‘સુગંધદશમી’ જેવા તહેવારો અને સામુહિક ક્ષમાવાણી પણ અહીં યોજવામાં આવે છે. મંદિરના વ્યવસ્થાપક ભાઈ અમને મંદિરની વિસ્તારથી માહિતી આપી રહ્યા હતા. ખરેખર, આંખને આંજી નાંખે એવી કારીગરી જોવા જેવી તો ખરી. ‘શીશ મહેલ’  કોઈક કારણસર અમને જોવા ન મળ્યો એટલે અમે જૂના રાજમહેલની નજીક કૃષ્ણપુરામાં આવેલી પ્રસિધ્ધ છત્રીઓ જોવા ગયાં.

આ છત્રીઓ એટલે હોલકર રાજઘરાનાના મૃતકોની યાદમાં બંધાયેલાં સ્મારકો. સુંદર કોતરણીવાળા થાંભલા અને નજરમાં સમાય એવી શિલ્પકળાથી શોભતાં આ સ્મારકો ‘છત્રી’ નામે જ પ્રખ્યાત છે. સૌથી પહેલી છત્રી મહારાણી કૃષ્ણાબાઈ હોલકરના માનમાં બંધાઈ. જેમના નામ પરથી કૃષ્ણપુરા નામ પડેલું. હોલકર રાજા અને રાણીઓના પ્રજાલક્ષી કાર્યોથી જ ઈંદોર જોવાલાયક, પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ છે.

હવે પેલી ખાઉગલીની બહુ રાહ નહીં જોવાય એમ લાગતાં જ અમે એકબીજા આગળ પ્રસ્તાવ મૂક્યો, જે સર્વાનુમતે પાસ થઈ ગયો અને અમે બહુ ઉત્સુકતાથી પહોંચ્યાં ઈંદોરની અતિ અતિ અતિ પ્રખ્યાત, ‘છપ્પન દુકાન’! જ્યારથી છપ્પન દુકાનનું નામ સાંભળેલું ત્યારથી મનમાં અવઢવ તો હતી જ, કે આપણે આટલી બધી દુકાનો ક્યારે ગણી રહીશું? જો દુકાન ગણવા જઈશું તો ખાધા વગર રહી જઈશું? આટલી બધી દુકાનોમાંથી કઈ દુકાનમાં મસ્ત ખાવાનું મળે તે કોને પૂછશું? કેવી રીતે ખબર પડે કે ક્યાં ખાવાનું? જેને પૂછશું તેના ટેસ્ટનું ખાવાનું? એને તીખું ભાવતું હશે તો? અમને એ વિસ્તારની ગલીઓની દૂર દૂર સુધી ને સામસામે સુગંધ ફેલાવતી, એકબીજાના ધંધાને ટક્કર મારતી કેટલીય દુકાનોની આવકારતી સુગંધોએ લલચાવ્યાં. પહેલાં કયાં જઈએ ને પહેલું શું ખાઈએ? હત્તેરીની! આના કરતાં એક જ જાણીતી જગ્યા હોત તો સીધા ત્યાં જ પહોંચી જાત ને? પછી વિચાર આવ્યો, સાડીની દુકાનમાં સાડીના ઢગલામાંથી ગમતી સાડી પસંદ કરવાની વિધિ કેટલી મજાની હોય છે? બસ એમ જ, બધી દુકાનોની સામે એક લટાર મારી લઈએ ને જ્યાંથી મસ્ત સુગંધ આવે અથવા તો જ્યાં વધારે લોકો દડિયા પકડીને ઊભેલા દેખાય ત્યાં જ પાણીપૂરીથી શરૂઆત કરીએ.

હાશ! આઈડિયા ખોટો નહીં. ચલો હો જાઓ સબ શુરૂ. પછી તો, પહેલી પાણીપૂરી મોંમાં મૂકતાં જે અદ્ભૂત અહેસાસ થયો! આહાહા! જીવનની ધન્ય પળો હોય તો તે આજ છે, આ જ છે ને આ જ છે. વધુ રસભરી વાનગીઓ આવતા હપ્તે. (રાહ તો જોશો જ એની મને ખાતરી છે.)





(તસવીરો માટે ગૂગલનો સહારો)

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

આખરે ટ્રાઈબલ મ્યુઝિયમના દરવાજે અને ચાલો શિવજીને પ્રસન્ન કરવા ઓમકારેશ્વર

 ટ્રાઈબલ મ્યુઝિયમ
મ્યુઝિયમ જોવા જ અમે બીજી વાર ભોપાલ આવ્યાં, ત્યારે મ્યુઝિયમના દરવાજામાં દાખલ થવાનો આનંદ તો જાણે અમને કોઈ ઈનામ મળ્યું હોય એટલો હતો. અહીં તો આદિવાસીઓની રહેણીકરણી દર્શાવી હશે કે એમની કળા કારીગરીની વસ્તુઓનો સંગ્રહ હશે એવો જ અંદાજ હતો. જેમ જેમ મ્યુઝિયમમાં ફરતાં ગયાં, તેમ તેમ એક અજબ દુનિયામાં ખેંચાતાં ગયાં. જાણે કોઈએ અમારા પર જાદુ કર્યું હોય! કેટકેટલી કળાઓના અદ્ભૂત વારસાને સમાવીને અને સાચવીને આ મ્યુઝિયમ બન્યું હશે! દેશ વિદેશના પ્રવાસીઓના સતત વહેતા પ્રવાહ સાથે કેટલાય લોકો મોબાઈલમાં અને કૅમેરામાં જેટલું ઝીલાય એટલું ઉત્સાહથી ઝીલી રહ્યા હતાં. ખુદ દિનેશ પણ આભો બન્યો હતો, ‘કાકી, આપણે ત્યાંના આદિવાસીઓને આવું બધું કંઈ નીં આવડે.’ એટલું બોલીને પાછો એ ફોટા પાડવા ફરવા માંડ્યો. બગીચામાં છૂટ્ટા મૂકેલા કોઈ નાના છોકરા જેવા દિનેશને મસ્તીથી અહીંથી તહીં દોડાદોડ કરતાં જોઈ અમે સૌ મલકાયાં.

નવાઈ લાગે પણ આ મ્યુઝિયમની સ્થાપના એક ભીલ સ્ત્રીને આભારી છે, જે ખુદ એક અચ્છી ચિત્રકાર છે! ભોપાલ પર સો વરસ સુધી બેગમોએ રાજ કરેલું તેની અસર હોઈ શકે. બે હજાર ને અગિયારની સાલમાં ભોપાલના અગ્રગણ્ય અધિકારીઓ, સમાજશાસ્ત્રીઓ, પુરાતત્વવિદો, સમાજશાસ્ત્રીઓ અને કલાકારોની એક મીટિંગ થઈ. એમાં ભૂરીબાઈએ એવું સૂચન કર્યું જે હંમેશને માટે ભોપાલની શાન બની ગયું. ‘શું ફક્ત આદિવાસી કલાકારોની મહેનતથી જ બનેલું, આદિવાસીઓનું એક મ્યુઝિયમ ના બની શકે?’ આ અદ્ભૂત સુઝાવને સૌએ ઉમળકાભેર વધાવી લીધો અને સરકારની સહાયથી પછી તો જોરશોરથી કામ શરૂ પણ થઈ ગયું. આખા મધ્યપ્રદેશમાં દસેક લાખની વસ્તી ધરાવતા આદિવાસીઓમાંથી નીવડેલા કલાકારો ખૂણે ખાંચરેથી આવતા ગયા. જાણે અહીં તો ગોંડ, ભીલ, બૈગા, કોરકુ, કોલ, સહરિયા અને ભરિયા જાતિનો અદ્ભૂત મેળાવડો જ થઈ ગયો.

ઝડપથી નાશ પામી રહેલી આદિવાસી કળા અને સંસ્કૃતિને સાચવી લેવાનો આ વિચાર, આ પ્રયાસ આખરે બે હજાર ને તેરમાં પૂરો થયો એમ ન કહેતાં, સુંદરતાને વર્યો અને સફળતા પામવા સાથે દુનિયાભરમાં પ્રસિધ્ધિ પામ્યો એમ કહેવું વધારે ઠીક રહેશે. આ કલાકારોના દિલોમાં પણ જે સુંદરતા છે તે એમની દરેક કૃતિમાં નજરે ચડે છે. એટલે જ કદાચ બૈગા કલાકાર લાડલીબાઈ માને છે કે ‘લોકો માટે ભલે આ મ્યુઝિયમ હશે પણ આ અમારું ઘર છે. અમારી ભવિષ્યની પેઢી પણ જાણશે કે અમારા પૂર્વજો કેવી હાલતમાં રહેતાં. અમારી સંસ્કૃતિને બચાવવાનો અને અહીં જાળવી રાખવાનો આનાથી શ્રેષ્ઠ ઉપાય કોઈ હોઈ જ ના શકે.’ ખરેખર, મ્યુઝિયમને જોયા બાદ તો દાદ દેવી જ પડે એ કલાકારોને જેમણે આબેહૂબ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરવામાં કોઈ કસર નથી છોડી.

પહેલી ગેલેરીમાં એક વિશાળ વડનું ઝાડ એની વડવાઈઓ સાથે ફેલાયેલું અને છત સુધી પહોંચીને જાણે ગર્વથી આજુબાજુના પાંચેય રાજ્યોને કહેતું હોય, ‘જુઓ અમારી એકતા અને સમાનતા.’   બીજી ગેલેરીમાં સ્થાનિક ચીજ વસ્તુઓમાંથી જ ઊભું કરેલું સુંદર ઘર જોઈને અમે એકબીજા સામે જોવા માંડ્યાં. કાશ! આપણેય આવા ઘરમાં રહેતાં હોત! તો આપણેય જંગલમાં શિકાર કરવા જાત, નદીમાં માછલાં પકડવા જાત, ગાય–ભેંસ ચારવા જાત અને સાંજ પડતાં વાંસળી વગાડતાં વગાડતાં ઘેર પાછા ફરતાં હોત! જવા દો, કાશની કોઈ આશ નથી. ચુપચાપ કે વાતો કરતાં પણ કળા ઉપર નજર ઠેરવો ને આનંદ માણો. એ ઘર ઉપર ચીતરેલા કે ઉપસાવેલા જુદા જુદા સુંદર ચિત્રો વડે રોજની રહેણીકરણી, ત્યાંના પ્રાણીઓ અને જાતજાતના ઘરઘરાઉ, ખેતીના કે શિકારના સાધનો વિશે પણ જાણવા મળી જાય.

જેમ સુધરેલા કે સંસ્કારી ને શિક્ષિત લોકોના અધધ ભગવાન છે તેવા જ આ આદિવાસીઓના પણ વિવિધ દેવી–દેવતા છે. કોઈ રોગ ઠીક કરનાર દેવ જુદા તો ગાય, બકરી કે કોઈ પાલતુ જાનવર ખોવાઈ જાય તો તેની માનતાના દેવ જુદા! અરે, વડના ઝાડ નીચે જો કોઈ વસ્તુ થોડો સમય પડેલી દેખાય તો તેય ભગવાન બનીને પૂજાવા માંડે! છે કોઈ ફરક? આપણે એમનાથી કઈ રીતે ઊંચા ગણાવીએ આપણી જાતને? પૂર્વજોની યાદમાં બનાવેલાં માટીનાં નાના ઘર આકાશ સુધી પહોંચતાં બતાવીને દેવલોક બતાવાયું છે અને સાથે પાતાળલોકનાં દર્શન પણ કરાવાયા છે. જાણે અંધારા અને અજવાળાની ભયાનક દુનિયામાં, કોઈ ઝાડની ઉપર ને નીચે ભૂતોના ખિખિયાટા સંભળાઈ રહ્યા હોય અને હમણાં કોઈકની ચીસોના પડઘા સંભળાશે કે કોઈ સ્ત્રી મદદની ચીસો પાડશે એવું કોઈ બિહામણી ફિલ્મના સેટ જેવું અદ્દલ દ્રશ્ય અહીં ઊભું કરાયું છે.

કોઈ જગ્યાએ કોઈ ખાસ ઘરેણાને વિશાળ કદમાં ગોઠવીને મૂકવાનું કારણ, એ કળાની બારીકી લોકોને સમજાય એ જ છે. એક મોટા કંગનને પૈડા જેટલું મોટું બતાવાયું છે પણ એ તો જોયા પછી જ ખબર પડે કે ગડવા જાતિના લોકોની આ તો જગમશહૂર ડોકરા/ઢોકરા કલા છે. એક ગેલેરીમાં ત્યાંની રમતગમત જોવા મળે તો એકમાં મહેમાનકક્ષ પણ દેખાય. ખૂબ જ નિરાંતે ફરવા જેવા આ મ્યુઝિયમની યાદો મનમાં સંઘરીને અમે સહરિયા જાતિની એક વાર્તા જાણીને બહાર નીકળ્યાં.

ભગવાને સૌથી પહેલાં એક યુગલ બનાવ્યું. (ઈવ ને આદમ?) લો, આ વાર્તા તો આ લોકોનેય ખબર છે! ના, વાર્તા ઘણી અલગ છે. અહીં કોઈ સફરજન કે અદકપાંસળીની વાત નથી. ભગવાને તો હજી કામ શરૂ જ કરેલું એટલે યુગલનિર્માણમાં મંડી જ પડેલા. પહેલું યુગલ બિચારું ખસતું ખસતું હાંસિયામાં ધકેલાઈ ગયું. એમની પાસે ફક્ત ભગવાને આપેલી એક કોદાળી હતી. તેય કંઈ સોના–રૂપાની નહોતી. તોય મોટામાં મોટી વાત કે એ યુગલ સંતોષી હતું. એમની પાસે કુદરતી સંપત્તિનો ખજાનો હતો. અને બસ, એ લોકો મજેથી જીવી ગયાં.

                                            
                                             ચાલો શિવજીને પ્રસન્ન કરવા ઓમકારેશ્વર
                                             *******************************
આ મારો પહેલો એવો પ્રવાસ હતો જેમાં મેં વધારેમાં વધારે મંદિરોનાં દર્શન કર્યાં હોય અને તે પણ પાછા એક જ ભગવાનનાં! મધ્ય પ્રદેશ પર શિવજીની ખાસ્સી કૃપા થઈ છે એ બધા મંદિરો જોતાં અને એમનું મહત્વ ત્યાંની વાર્તાઓ જાણતાં જણાઈ આવે. આ અમારી કોઈ ધાર્મિક યાત્રા ન હોવા છતાં અમે જ્યાં જતાં ત્યાં શિવજી અમને મળી જતા! ૐકારેશ્વરની જુદી જુદી વાર્તાઓ જાણ્યા પછી એક વાતની ખાતરી થઈ ગઈ કે શિવજી બિચારા ખરેખર ભોળા. દેવો તો ઠીક દાનવોય એમની ભલમનસાઈનો લાભ લઈ જતા. શિવના નામે થોડું ઘણું કઠણ તપ કર્યું નથી કે મહાદેવજી પ્રસન્ન થયા નથી. પાછા આ ભોલા ભંડારી એવા પણ નહીં કે એમને વળતરમાં કંઈ ભેટ બેટ જોઈએ. વરદાન આપીને ભૂલી જવાનું. પોતે તો પાછા સાદગીના ભંડાર. ભંડારના નામે વરદાનોનો અખૂટ ભંડાર! કોઈ પગમાં શું આળોટ્યું કે માથે હાથ મૂકી જ દે. કોઈની પરીક્ષા બરીક્ષા લેવાની કે કોઈને ખોટા હેરાન કરવાની પણ દાનત નહીં. લુચ્ચાઈથી તો એમને બાર ગાઉનું છેટું. કદાચ એટલે જ લુચ્ચા લોકો પણ એમનો ફાયદો લઈ લેતા. ખેર, એમના નામે વર્લ્ડ રેકોર્ડ જ હશે કદાચ કે એમનાં જેટલાં મંદિરો કે એમના જેટલા ભક્તો છે કદાચ બીજા કોઈ ભગવાનના નહીં હોય. (આટલા બધા સદ્ગુણોમાં ક્રોધનો એકાદ છાંટો પડે તે તો હવે સહન કરી લેવો પડે. આખરે કૃપા પણ એ જ કરે ને?)

દરેક ધાર્મિક સ્થળ સાથે જે તે દેવની કેટલીય સાચી કે ખોટી વાર્તાઓ ફરતી હોય, એટલે આપણા રુદ્રનાથની વાર્તા ન હોય એવું તો બને જ નહીં. તો વાતની શરૂઆત નારદ મુનિથી જ કરીએ. આ મુનિએ એવા તે કેવા સમાચારોથી દેવો ને દાનવોમાં ઉથલપાથલ કરી હશે કે આજની તારીખે પણ ચાપલૂસીનો દાખલો તો એમના નામે જ અપાય! એમના પેટમાં કોઈ વાત ન રહેતી કે પછી જાણીજોઈને બધે સમાચાર ફરતા રાખતા, તે તો એ મુનિ જ જાણતા. દુનિયાની એ સૌથી પહેલી ન્યૂઝ ચેનલ હતી એવું કહેવાય છે. ખેર, એક વાર મુનિ વિંધ્ય પર્વતની મુલાકાતે ગયા. વિંધ્યે તો એમની આગતાસ્વાગતા કરીને દુનિયાના સમાચાર પૂછ્યા. પૂછતાં જ વાર. મનમાંની ચટપટીને બહાર કાઢતાં મુનિએ કહ્યું, ‘એમ તો બધું બરાબર છે પણ આજકાલ મેરુ પર્વત બહુ હોશિયારી મારે છે. એના મનમાં અભિમાન આવી ગયું છે કે મારા જેટલો મહાન ને ઊંચો પર્વત કોઈ નથી.’ કોઈના મગજને છટકાવવા કે બે જણ વચ્ચે લડાઈ કરાવવા, એકની સામે બીજાનાં વખાણ કરવાનું શસ્ત્ર વાપરતાં નારદજી સિવાય બીજા કોને આવડે? થોડું લાંબું ન વિચારનાર વિંધ્ય પર્વતને આ ઝેરી તીર દિલમાં ભોંકાઈ ગયું.

પછી તો અભિમાન ને અદેખાઈનો અંજામ આવી ને જ રહ્યો. એણે તો કઠોર તપથી શિવ આરાધના કરી અને મેરુ કરતાંય ઊંચા થવાનું વરદાન માગ્યું. બિચારા શંભોને શું ખબર કે વરદાનનું પરિણામ કેવું આવશે? એમણે તો ૐકારેશ્વર અને મમલેશ્વર(અમરેશ્વર)ના નામે અહીં પ્રગટ થઈને ભક્તની ઈચ્છા પૂરી કરી. હા, સાથે સાથે ભક્તોને કોઈ તકલીફ ના પડવી જોઈએ એ શરત પણ રાખી. હવે એક વાર અદેખાઈ ને અભિમાનનું ભૂત ભરાયું પછી કોણ શિવ ને કોણ ભક્ત? એ તો ઊંચે ને ઊંચે જતો જ ગયો, ત્યાં સુધી કે એણે સૂરજ ને ચાંદાને પણ ઢાંકી દીધા! હવે તો બધા દેવો પણ ગભરાયા. વિષ્ણુજીની સલાહથી બધા દેવો પહોંચ્યા અગસ્ત્ય ઋષિ પાસે. ઋષિ સજોડે ઉપડ્યા વિંધ્યને સમજાવવા. ‘જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી હવે વધારે ઊંચે જવાનું માંડી વાળજે.’
દેવો જેને માન આપે તે ઋષિની આગળ પર્વતનું શું ચાલે? આજ સુધી થાક્યા વગર ઋષિની રાહમાં વિંધ્ય પર્વત એવો જ અડીખમ ઊભો છે પણ ઋષિ અંચઈ કરી ગયા તે એના ધ્યાનમાં ન આવ્યું. ધ્યાનમાં આવ્યું પણ હોત તો શું થઈ શકત? ઋષિ તો પછી શ્રીશૈલ જતા રહ્યા જે દક્ષિણ કાશી તરીકે પ્રખ્યાત છે.

ૐકારેશ્વરની વાતોનો અંત નથી. વિંધ્ય પર્વતની બીજી એક વાત પણ પ્રચલિત છે. વિંધ્યદેવ વિંધ્ય પર્વતમાળાનું રક્ષણ કરતા હતા. એમણે શિવપૂજા કરતાં પોતાની ભૂલોની, પોતાનાં પાપોની માફી માગતાં એક ભૌમિતિક આકારનો ટાપુ બનાવ્યો અને માટી તથા રેતીમાંથી એક શિવલિંગ બનાવ્યું. પિનાકપાણિ તો પ્રસન્ન થઈ ગયા અને ત્યાં બે સ્વરૂપે પ્રગટ થયા. ૐકારેશ્વર અને અમરેશ્વર! એ ટેકરીનો આકાર ૐ જેવો દેખાતો હોવાથી ૐકારેશ્વર નામ પડ્યું.

હજી એક વાર્તા પણ છે! દેવો અને દાનવોમાં કોઈ વાર સાદું યુધ્ધ ન થાય એટલે ભીષણ યુધ્ધ થયું. દેવો કાયમ નબળા જ પડે એટલે મોટા દેવ પાસે દોડે. તાત્કાલિક તો નીલકંઠજી જ હાજર હતા. કદાચ નજીક પણ હોય. યુધ્ધનું આ પ્રકરણ જો કે ટૂંકમાં જ પત્યું કારણકે રુદ્રનાથે રૌદ્ર રૂપ ધરીને ૐકારેશ્વરનું રૂપ લઈને દાનવોનો નાશ કર્યો અને આમ ૐકારેશ્વરની સ્થાપના થઈ.

શિવ પુરાણમાં જણાવ્યા મુજબ ૐકારેશ્વરનું ઉપલિંગ, બિંદુ સરોવર પાસે આવેલું કર્દમેશ્વર છે. કોઈ પણ નામે ભજો કે કોઈ પણ નામે બોલાવો આખરે તો એક જ શિવ કે એક ઈશ્વરના જુદાં નામ. પવિત્ર નર્મદા નદીની અંદર આવેલા નાનકડા ટાપુ માંધાતા ઉપર ૐકારેશ્વર આવેલું છે. ઈક્ષ્વાકુ વંશના મહાન રાજા માંધાતાએ અહીં રાજ કરેલું અને અઠંગ શિવભક્ત હોવાથી એણે ૐકારેશ્વરની ફરતે એકસો ને આઠ મંદિર બંધાવેલાં! એના નામે અહીં માંધાતા આશ્રમ પણ છે. ઈંદોર નજીક આવેલું ૐકારેશ્વર ઈંદોર–ખંડવા રોડથી જવાય. એના નામે તો રેલવે સ્ટેશન પણ છે એનો અર્થ કે ટ્રેન ભરાઈ ભરાઈને ભક્તો અહીં આવતા જ હશે. ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક શિવલિંગ અહીં હોય પછી આ સ્થાનનો અદ્ભૂત મહિમા ન હોય એ કેમ બને?



(તસવીરોનું સૌજન્ય ગૂગલ)

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018

હાંડી ખો સાથે પ્રિયદર્શિની પોઈન્ટ અને છેલ્લે પંચમઢી–ફિર મિલેંગે


હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ

પંચમઢીના જંગલો અને ખીણોએ એકબીજાની નજીક રહીને પ્રવાસીઓ ઉપર કરેલો ઉપકાર ભૂલાય જ નહીં. સવારમાં વહેલાં પરવારીને બે ત્રણ સ્થળો ફરી આવો ને જમી પરવારીને વળી સાંજ સુધીમાં બીજા બે ચાર સ્થળો ખુંદી વળો એટલે બે દિવસમાં તમારું પંચમઢી જોવાઈ જાય. એમ તો આરામથી રહેવું–ફરવું હોય તો પોતાની મરજીથી ફરાય પણ અમારે તો ભાડું વસૂલ કરવા બને તેટલી જગ્યાઓને ન્યાય આપવાનો હોઈને બપોરે જમીને ઉપડ્યાં હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ! હવે દિનેશને અમે ગાડી ચલાવવામાંથી મુક્તિ આપીને એને ખુશ કરી દીધો. રિસોર્ટ તરફથી ફરતી ખુલ્લી જિપ્સીમાં અમે પાંચ સાહસિકો નીકળી પડ્યા. જતાં ને આવતાં જે ઝડપ અને કાબેલિયત જિપ્સીના ડ્રાઈવરે બતાવી તે જોઈને તો દિનેશ પણ આફરિન થઈ ગયો. ઉંચા ઢાળ પર રસ્તાને કિનારે કિનારે જિપ્સી ભાગતી હોય અને તદ્દન નજીક ઊંડી ખીણ દેખાતી હોય તો ભલભલાના હાંજા ગગડી જાય. અચાનક કોઈ વળાંકે બે જીપ સામસામે થઈ જાય અને બધાના હોશ ઊડી જાય. જો કે મજા તો એટલી આવી કે મેં જાહેર કરી દીધું, ‘હવેના બધા પ્રવાસ મેં તો ખુલ્લી જિપ્સીમાં કરવાનું જ નક્કી કરી લીધું. ચાહે ગમે તેટલો તાપ–તડકો હોય, ગમે તેટલી ઠંડી પડે કે બરફ પડે અને ગમે તેટલો વરસાદ પડે તોય વાંધો નહીં. શું મજા આવે છે બાકી, આહા!’ પેલી ત્રણેય વાંકા મોંએ તો હસવાની જ હતી પણ દિનેશેય એમાં મોં ફેરવીને સાથ પુરાવ્યો તે મને ન ગમ્યું.
ખેર, એક તો હાંડી અને ખો શબ્દોએ મનમાં સવાલ ઊભા કર્યા. હાંડી એટલે તો પેલી કહેવત ‘ઘરમાં હાંલ્લા કુસ્તી કરે’માં આવે તે જ હશે? હાંડલાનું હાંલ્લા! કે પછી હાંડી પનીર, હાંડી બિરયાની, હાંડી પુલાવ વગેરેમાં આવે તે બેઠા ઘાટની પણ માટલી જેવા આકારની કોઈ જગ્યા? જોઈએ તો ખરાં કે કોણ કોણ ત્યાં ખો રમતું હતું ને ત્યાં કોની હાંડી હતી? ગાઢ જંગલને વીંધતી જતી જીપ ઊંચી ટેકરી પર એક જગ્યાએ ઊભી રહી અને અમે જાણે કોઈ અલૌકિક–અદ્ભૂત ફ્રેમમાં ગોઠવાઈ ગયાં.વાહ! અમે ત્રણસો ફૂટ ઊંડી ખીણની ટોચ પર છીએ? અહીં મોટેથી બૂમ પાડીએ તોય નીચેના જંગલોમાં એ બૂમ ક્યાંય ખોવાઈ જાય. અમે સૌ નિ:શબ્દ.
હાંડી ખોની વાર્તા જાણીને ફરી એક વાર અમે આશુતોષજીની માયાવી દુનિયામાં પહોંચી ગયાં. એક જમાનામાં અહીં એક મોટું સુંદર તળાવ હતું, જેની એક ખૂંખાર, ખતરનાક ને ઝેરીલો સાપ રક્ષા કરતો હતો. હવે ભોલેનાથને એની સાથે શું વાંકું પડ્યું તે ખબર નહીં પણ સાપને લલકારીને એની સાથે ભીષણ યુધ્ધ કર્યું ને એનું નામોનિશાન મિટાવી દીધું! આ આપણને પસંદ ના પડ્યું. ભલે પેલો સાપ ખતરનાક હતો પણ તળાવની રક્ષા કરતો હતો. એને આમ મારી નખાય? હશે જેવી શંભુ ઈચ્છા! પરિણામ પણ કેટલું ખરાબ આવ્યું? એ યુધ્ધની ગરમીએ પેલા તળાવને સૂકવી નાંખ્યું અને એ જગ્યાનો આકાર બની ગયો હાંડી જેવો. તો પછી ખો એટલે? નટરાજે પેલા સાપને ખો રમવા લલકાર્યો હશે એટલે જ કદાચ નામ પડ્યું ‘હાંડી ખો’!
ફરી લસરપટ્ટી જેવો ઢાળ ઊતરતાં અમે પહોંચ્યાં ‘પ્રિયદર્શિની પોઈન્ટ’. આ નામ એક જ વ્યક્તિની ઓળખ આપે એવું હોવાથી મેં કોઈ સવાલજવાબ ન કર્યા પણ મનમાં તો થયું જ કે આવી જગ્યાઓને પણ રાજનેતાઓના નામ! કારણ? તો આ જગ્યા મૂળ ફોર્સીથ નામના અંગ્રજ કેપ્ટને અઢારસો ને સત્તાવનમાં જોયેલી અને એ ગાંડો થઈ ગયેલો! ગાંડો એટલે કે આ જગ્યાનો દિવાનો બની ગયો અને પંચમઢીની સ્થાપના એણે કરી એવું કહેવાય છે. આ ફોર્સીથ પોઈન્ટથી ઓળખાતી જગ્યાની ઈંદિરાજીએ એક વાર મુલાકાત શું લીધી કે ત્યારથી નામ પડી ગયું ‘પ્રિયદર્શિની પોઈન્ટ’! એ તો આપણે કોઈ મોટી હસ્તી નહીં એટલે બાકી તો અમારા નામ પાછળેય આવી કોઈ જગ્યાનું નામ પડી જ જાત ને? હશે હવે, જવા દો.
ઈંદિરાજી ખાસ અહીં સુધી કેમ આવેલાં? એ તો જે અહીં ઊભા રહીને હરિયાળી ટેકરીઓની શોભા જોતાં ધરાય નહીં એને પૂછવું પડે. દૂર દૂર સુધી પથરાયેલી કેટલીય ટેકરીઓ એકમેકની પાછળ સંતાઈને ડોકિયાં કરતી હોય એટલું રમણીય દ્રશ્ય કલાકારોને પણ ત્યાં જવા એટલા જ લલચાવે. અહીં ‘સનસેટ’ પોઈન્ટ  ન હોય તો જ નવાઈ. દરેક હિલ સ્ટેશન પર સૂરજને ઊગતો ને આથમતો જોવા ભીડ તો થાય જ. શહેરોમાં કોણ સૂરજ–ચાંદાને જોવા નવરુંય હોય? અહીં તદ્દન નવરાં એટલે યાદ ન રહે તોય જોવા જેવી જગ્યાના લિસ્ટમાં હોય એટલે લાભ લઈ લે. અમેય કેમ બાકી રહીએ? મને તો બધે ઉચ્છલની હરિયાળી યાદ આવતી હતી પણ ત્યાંય ક્યાં બધે પહોંચાયું છે? અંધારું ઊતરે તે પહેલાં અમે ઢાળ ઊતરી ગયાં અને હાજર થઈ ગયાં, ‘મીઠેમેં ક્યા હૈ’ પૂછવા મનપસંદ જગ્યાએ.
(તસવીરો–ગૂગલની મહેરબાની)




પંચમઢી–ફિર મિલેંગે


પંચમઢી છોડવાના વિચારે જ અમે સૌ ઉદાસ થઈ ગયેલાં. આ સ્વર્ગમાં ફરી ફરીને ફરવા આવવાનું
મન થશે ત્યારે? ફરીથી કોણ જાણે ક્યારે અવાશે. નહીં જ અવાય એની ખાતરી સાથે અમે પાછળ ફરી ફરીને પંચમઢીને વિદાય આપી ત્યારે મન પર રિસોર્ટના ભોજનની મીઠી યાદોનો પણ ભાર હતો. જ્યારે પણ કશે ખીર ખાઈશું, ત્યારે અહીંની ખીર તો મનમાં ઝબકવાની જ. રસ્તે કે ફિલ્મોમાં જિપ્સી જોઈને અહીંની જિપ્સી–સફર યાદ નહીં આવે? જટાશંકર ને પાંડવગુફા ને હાંડી ખો ને આહાહા! બે દિવસમાં જ કેટલી બધી યાદોને બૅગમાં ભરીને ચાલ્યાં. આ કપડાં, આ બૂટ–ચંપલ ને આ બૅગ પણ પંચમઢીની જ યાદ અપાવશે ને? ધાર્મિક સ્થળોની એકસામટી મુલાકાતો પછી પણ આ જગ્યાની માયામાંથી અમે મુક્ત ન થઈ શક્યાં, એટલે જ આખે રસ્તે એની જ યાદો મમળાવતાં રહ્યાં.


‘અંજુ, જો નીં, અજુ કંઈ જોવાનું બાકી રે’તુ ઓ’ય તો આપણે પાછા ફરી જઈએ.’ મેં અંજુની સાથે બધાંને લલચાવી જોયાં.
‘અરે, ના ભઈ ના. આપણું બધ્ધે બુકિંગ થઈ ગયલુ છે ને અંઈના પાછા એક દા’ડના વધારાના પૈહા ભરીને રે’વાનું? જોયુ અવે, બો જોયુ ને એનો જ સંતોસ માનવાનો બીજુ હું?’ પારુલની ના સાંભળતાં જ મારું મોં પડી ગયું. જૉલી ને અંજુ અવઢવમાં પડ્યાં કે કોના પક્ષે બોલીએ? મન પંચમઢી ખેંચાતું હતું અને વધારાનું સંભવિત બિલ, દિલને આગળ જવા મજબૂર કરતું હતું. ખેર, પંચમઢીનો કંઈ મેળ નહીં પડે એવું સમજી ગયેલા દિનેશે પણ ધીમી પાડેલી ગાડીને ભગાવવા માંડી.

મનની શાંતિ ખાતર મેં અંજુને કહ્યું, ‘તારા ‘પંચમઢી આખ્યાન’માંથી પંચમઢીના બાકી રહેલા અધ્યાયોનું પઠન કરતી થા બહેન. એ બહાને મારા આત્માને જે શાંતિ મળી તે.’ જૉલીને મારી આ વાત પર હસવું આવ્યું! પારુલે મલકીને મોં મચકોડ્યું. અંજુએ હસતાં હસતાં એમ પી ટ્રાવેલ બ્રોશરમાંથી પંચમઢીનો અધ્યાય શરૂ કર્યો.
‘માતે, આપણા બાકી રહેલા અધ્યાયોમાં બી ધોધ, ડચેસ ધોધ, રજતપ્રપાત, જમુના ધોધ, સાતપુડા નૅશનલ પાર્ક, બાયસન લૉજ, ચૌરાગઢ મંદિર અને ક્રાઈસ્ટ ચર્ચ નો સમાવેશ થાય છે. તમે કહો તે અધ્યાય માંડું.’ અંજુએ તરત જ ગંભીર મુખમુદ્રા ધારણ કરી.

‘મહારાજ(કે મહારાણી), આમાં ચાર તો ધોધનાં જ નામ છે અને ભલે બધા જ જોવાલાયક હશે પણ અમને તો ચોમાસામાં અમારા ડાંગના ગિરા ધોધથી અધિક સુંદર ધોધ કોઈ લાગ્યો જ નથી, એટલે આ ચારેય ધોધ–અધ્યાયને તમે ઉડાવી દેશો તો ચાલશે. મને લાગે છે કે નૅશનલ પાર્ક એટલે જંગલ બુક જ ને? બધે એકનાં એક જ પ્રાણીઓ જોઈને હવે અમને આવા પ્રાણી સંગ્રહાલયોમાં પણ કોઈ રસ રહ્યો નથી. મહાદેવનાં મંદિરો જોઈને એટલાં ધરાઈ ગયાં છીએ ને કે નવીનતા ને સાહસ ખાતર મેં બધે દર્શન કર્યાં પણ બધે એક જ ભગવાનમાં માનનારાઓને હવે વધારે મંદિર જોવા ખાસ અહીં રોકાઈ જવાની ઈચ્છા થાય એવું સંભવ નથી. હવે બાકી રહેલી જગ્યાઓમાં એક ચર્ચ છે એ પણ મારે મન તો કોઈ મંદિરથી કમ નહીં અને છેલ્લે બાયસન લૉજ તે વ્યાખ્યાન કેન્દ્ર હોવાથી સમયના અભાવે એના પર હું રાજીખુશીથી ચોકડી મારું છું. હાશ! સારું થયું કે આ પુસ્તિકારૂપી પંચમઢી ગાઈડ તારી પાસે છે તો કાયમ માટે રહી જનારા અફસોસનો બોજ હવે મારા મન પર નહીં રહે. ખૂબ આભાર ગુરુજી.’

અંજુ બોલી ગઈ તે બધાં જ સ્થળો જોવાલાયક હશે તો જ એમનાં નામ જાણીતાં હશે પણ હજી જોવાનું બાકી રહેલું ભોપાલનું મ્યુઝિયમ અમને પોકારતું હતું, ઈંદોરનું કાચનું જૈન મંદિર અને હોલકરનો રાજમહેલ પોકારતો હતો, ઈંદોરની છપ્પન દુકાનોના છપ્પન ભોગ પોકારતા હતા, મહેશ્વરની સાડીઓ અમારી રાહ જોતી હતી ને ઓમકારેશ્વર? ઓમકારેશ્વર જોયા વગર તો ઘરે પાછા ફરાય એવું હતું જ નહીં. જે મળતે તે પૂછતે, ‘તમે ઓમકારેશ્વર ન જોયું? અરેરે! આટલું બધું ફર્યાં અને ઓમકારેશ્વર જ ન ગયાં?’ અમારે આવી વાતો ને સવાલોમાંથી પસાર નહોતું થવું એટલે મનને કઠણ કરીને આગળના પ્રવાસ ઉપર ધ્યાન આપ્યું. ગાડી ઢાળ ઊતરી રહી હતી અને વનરાજીની સાથે ટેકરીઓના ઢોળાવો પણ અમારી સાથે ઊતરી રહ્યા હતા. કશેક વાદળો ઘેરાતાં તો કશેક વરસાદ પડી ગયેલો જણાતો. ખુશનુમા ને આહ્લાદક વાતાવરણે મનનો બોજ હળવો કરી નાંખ્યો. અંતકડીએ બેસૂરા ગીતોથી હસીમજાકનો દોર શરૂ કર્યો.

ફરી એક વાર ભોપાલના અમારા પ્રિય ભોજતાલ તળાવનું ચક્કર કાપી અમે પહોંચ્યાં અમારા હંગામી નિવાસે. થોડે જ દૂર દેખાતા તળાવની બરાબર સામે બારીમાં ઊભા રહીને ચાની ચુસકીઓ લેવાની મજા તો ભઈ ચા પીનારાં જ જાણે. પછી તો, સોમવાર ન હોવાની વારંવાર ખાતરી કરીને અમે ઉપડ્યાં જગપ્રસિધ્ધ ટ્રાઈબલ મ્યુઝિયમ જોવા. એમ તો ભોપાલમાં ઘણાં જાણીતાં મ્યુઝિયમ છે. લશ્કરની જાણકારી આપતું ‘યોધ્ધાસ્થળ’ મ્યુઝિયમ, પુરાતત્વ વિભાગનું ‘બિરલા મયુઝિયમ’, પહેલાં ‘ગુડિયાઘર’ અને હવે ‘કાન્હા એમ્પોરિયમ’ તરીકે ઓળખાય છે તે જેલના કેદીઓ દ્વારા બનાવાયેલી ઢીંગલીઓનું સંગ્રહસ્થાન, ‘સાયન્સ સેન્ટર’ કે ‘સાયન્સ મ્યુઝિયમ’, એશિયાનું એક માત્ર ‘ટેલિકોમ મ્યુઝિયમ’, સાંચી સ્તૂપ નજીક ‘સાંચી મ્યુઝિયમ’, ‘ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’(આમાં કેવા માનવોનો સંગ્રહ હશે?), ભોપાલ ગેસકાંડની સારી–ખરાબ ઘટનાઓનો સંગ્રહ એટલે ‘રિમેમ્બર ભોપાલ મ્યુઝિયમ’ અને ભારતનું એક માત્ર, નવી કે જૂની, શહેરી કે ગામઠી એવી દરેક લોકકલાને રજૂ કરતું ‘રુપંકર મ્યુઝિયમ’. અમને તો આદિવાસીઓના મ્યુઝિયમમાં જરા વધારે રસ હોવાને કારણે અમે સીધા ત્યાં જ પહોંચ્યાં. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના પ્રતિનિધિને અમે સાથે લઈને નીકળેલાં એટલે એને પણ થોડો સંતોષ થાય, થોડી પ્રેરણા મળે અને ન મળે તોય એમ પીના આદિવાસીઓ વિશે સૌને જાતજાતનું જાણવા તો મળે એ જ ઈચ્છા. અમને શું ખબર કે અમારે તો મ્યુઝિયમ જોઈને ધોધમાર અફસોસ જ કરવાનો છે? ક્યારેય કોઈ મ્યુઝિયમ જોઈને અમે આટલાં નિરાશ નથી થયાં. મનમાં તો બહુ દુ:ખ થયું કે, પેલો દિનેશ શું જોઈને બધે ફરી ફરીને ફોટા પાડતો હતો? એને કોઈ વાતનો અફસોસ કે કોઈ વાતનું દુ:ખ કેમ નથી થતું? જો કે, એમાં આપણે શું કરી શકીએ? કંઈ નહીં. અમે એને એના હાલ પર છોડી દીધો.
(તસવીરો–ગૂગલની મહેરબાની)

મંગળવાર, 10 જુલાઈ, 2018

પૂર્વજો સાથે મિલન


પંચમઢીનું સ્વાદિષ્ટ ભોજન જો મગજ પર ચઢી જાત તો આંખોમાં ઘેન ચડતાં જરાય વાર ન લાગત પણ ભોજનની યાદોને મમળાવતાં અમે તો ફરી નીકળી પડ્યાં મહાદેવજીના દર્શને. એક બડા મહાદેવ અને બીજા ગુપ્ત મહાદેવ! અરે ભાઈ! મહાદેવ તે મહાદેવ, એના પાછા નામ જુદા ને મંદિરેય જુદા! આપણને એમ થાય કે બધા જ ભગવાન વેશપલટામાં હોશિયાર હતા? જુદા જુદા વેશે રાક્ષસોનો સંહાર કરતા અને ભક્તોનેય બચાવતા. ચાલો કંઈ નહીં, આપણને તો કોઈ ફરક પડતો નથી. ઉલટાની બે ચાર ગુફા ને ગુફામાં શિવલિંગ કે મંદિર તો જોવા મળે છે. એ બહાને કુદરતની વધારે ને વધારે નજીક રહેવાનો, એને જાણવાનો ને દિલથી માણવાનો મોકો તો મળે છે. પછી તો છે જ ઘર એક મંદિર.

લગભગ અગિયાર કિલોમીટરના સાંકડા ને ઊંચાનીચા ઢાળવાળા રસ્તાનો રોમાંચ માણતાં માણતાં અમે પહોંચી ગયાં ફરી એક વાર જય શંભો બોલતાં બોલતાં બડા મહાદેવ. સાંઈઠ ફીટ લાંબી આ ગુફામાં મહાદેવની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ(!) તથા ગણેશજી પણ બિરાજેલા છે. અમને ત્યાંની વાર્તા જાણવા મળી તો મગજ ચકરાઈ ગયું. વિષ્ણુજીએ મોહિનીનું રૂપ લઈને પેલા અસૂરને ભસ્મ કરેલો તે તો જટાશંકર ગુફાની વાર્તામાં સાંભળેલું ને? તો પછી એ જ વાર્તા અહીં પણ કેવી રીતે લાગુ પડે? ઠીક છે, જવા દો. આ બધા ગાઈડ કહે તે સાંભળી લેવાનું, માનવાનું કે નહીં તે આપણે નક્કી કરવાનું. અમે તો ગુફામાં પ્રવેશ્યાં. આખી ગુફાની છતમાંથી પાણી ટપકે એટલે સ્વાભાવિક છે કે શિવલિંગ ઉપર પણ સતત અભિષેક ચાલુ જ હોય. લોકો પૂજા–નમન કરીને બહાર નીકળતાં જાય. અમને થયું કે ચોમાસું હાલમાં જ રવાના થયેલું એટલે આ પાણી ટપકતું હશે કે બારે માસ ટપકતું હશે? જાણવા મળ્યું કે આ આખો જંગલ વિસ્તાર એટલે બારે માસ જ શિવજીને તો ઠંડકમાં રહેવાનું, વાહ.

ગુફાની અંદર એક નાનો પાણીનો કુંડ છે જેમાં ભક્તો અને સાધુઓ શિવરાત્રિ તથા નાગપંચમીએ સ્નાન કરીને પોતાનાં પાપ ધોવાનું પુણ્ય મેળવે છે! ભક્તો તો સમજ્યાં કે સંસારી હોય એટલે નાનાં કે મોટાં પાપ થઈ જાય પણ સાધુ–સંતો શેનાં પાપ ધોવા અહીં આવે? કોણ જાણે. ખેર, નજીકમાં જ પાર્વતીમાની ગુફા જોતાં આગળ વધ્યાં તો ઘણાં બધાં ત્રિશૂળ કાળા કપડાથી ઢાંકેલાં દેખાયાં. આ કદાચ કાળભૈરવનો પ્રભાવ હતો. હનુમાનજીનું મોટું મંદિર પણ ત્યાં હતું અને કન્યાકુમારીથી લવાયેલો એક મોટો તરતો પથ્થર પણ ત્યાં ભક્તોની શ્રધ્ધા પૂરી કરવાની રાહમાં ગોઠવાયો હતો. એક જ સ્થાને બધા જ ભગવાનને ભેગા કરી દેવાના એટલે કોઈ ભક્ત ખાલી હાથે ન જાય અને કોઈ ભગવાન કે ભક્તને ખોટું પણ ન લાગે. સાચી કે ખોટી વાર્તાઓ ને ચમત્કારો વહેતા કરી દેવાના એટલે લોકોની શ્રધ્ધા અકબંધ રહે, દૂર દૂર સુધી આ સ્થાનોનું નામ ગૂંજતું રહે અને સ્થાનિકોની રોજી–રોટી ચાલુ રહે તો સાથે સાથે બાવાઓનાં ભોજનની વ્યવસ્થા પણ થયા કરે. ધાર્મિક સ્થળોના આ મેળાવડાનો આપણને તો કોઈ વાંધો હોય જ નહીં, સિવાય કે ત્યાં જુદી જુદી પૂજા ને અભિષેકને બહાને થતી ગંદકી! દરેક ભગવાનને કોઈ ને કોઈ પ્રસાદ તો ધરવાનો જ, ચાહે પછી તે દૂધ હો કે નાળિયેર હો કે પેંડા–રેવડી વગેરે હો. ફૂલ ને માળાના ડુંગરથી માંડીને ભસ્મ, ચંદન ને કંકુ વગેરેનાં લેપ કે છાંટણાં તો કરવાના જ! આ બધાને લીધે થતાં કીડી–મંકોડા ને ઉંદરોની ફોજ મંદિરોમાં જોવા ન મળે તો જ નવાઈ. અહીં તો વળી અમારો ભેટો અમારા કે કોઈના પૂર્વજો સાથે થવાનો હતો!

અમને કોઈને જરાય અંદાજ નહીં કે આ મંદિરની આસપાસ આટલા રળિયામણા વાતાવરણમાં બીતાં ને ગભરાતાં ચાલવું પડશે ને વખત આવ્યે વહેલાં વહેલાં ગાડીમાં પણ ભરાઈ જવું પડશે. ત્યાંના ગાઈડોની સતત મનાઈ છતાં આપણી વાંદરા જેવી પ્રજા કોઈનું માને? નહીં જ વળી. એટલે હાથમાં નાસ્તાનાં પડીકાં કે થેલાં લટકાવતાં મોજથી ચાલતાં હો કે અચાનક જ બે ચાર વાંદરા ઘેરી વળે ને પડીકાંની છીનાઝપટી ચાલુ થઈ જાય અથવા તો અચાનક જ એકાદ બંદર પડીકું છીનવીને ઝાડ પર ચડી જાય તો શું થઈ શકે? હવે આવે સમયે તો કપિરાજને શરણે જ થઈ જવું પડે નહીં તો પાટાપીંડીનો કે હૉસ્પિટલમાં દાખલ થવાનો જ વખત આવે. સ્પષ્ટ સુચનાઓ પણ ત્યાં લખેલી જ હોય, કે ‘તમારા પૂર્વજો સાથે કોઈ ઓળખાણ કાઢવા ના જતાં. હજીય જો એમનો તમારા ઉપરનો ગુસ્સો ઊતર્યો નહીં હોય તો તમને બચાવવા કોણ આવશે?’

અમે તો શાંતિથી દર્શન કરી આવીને પાર્કિંગ એરિયામાં ગાડીમાં થોડી વાર બેસી વાનરોની રમતનો આનંદ લેતાં રહ્યાં. એક મોટી કચરાપેટી પર એક મોટો વાંદરો બેસીને મજેથી કેળાંની લૂમનો આનંદ લેતો હતો ત્યારે બહુ જ નાનું એક બચ્ચું એની પૂંછડીએ ટિંગાઈને કેળાં સુધી પહોંચવાની કોશિશ કરતું હતું. કોશિશ નાકામ રહેતાં એ ગબડી પડતું પણ ફરી ફરી કેળું ખાવાની એની લાલચ એને એના પપ્પા કે કાકાની પૂંછડીએ ટિંગાડી દેતું. થોડી વાર ગમ્મત જોયા પછી અમે એક કેળું ત્યાં ફેંક્યું ને બચ્ચું એવું તો ખુશ થઈ ગયું કે એ ઝપાટામાં કેળું ખાઈને અમારી ગાડીના કાચ પર જ ચડવાની કોશિશમાં મંડી પડ્યું! છેલ્લે છેલ્લે ધરમ કરતાં ધાડ પડવાની તૈયારી થઈ કે શું? અમે એકબીજાને પૂછ્યું, ‘આ કોણ છે? તમારા કોઈના સગામાં છે?’

એ તો સારું કે દિનેશભાઈ અમારી વહારે આવ્યા ને ગાડી ભગાવી મૂકી તે ઠેઠ ગુપ્ત મહાદેવના મંદિરે જઈને ઊભી રહી. દૂરથી જ અહીં વાંદરાઓનું ટોળું લોકોની ફરતે દોડાદોડી કરતું જોઈને અને લોકોની ભાગમભાગ ને ચીસાચીસ સાંભળીને અમે ગુપ્ત મહાદેવને જોવાનો વિચાર માંડી વાળ્યો. એમ પણ ત્યાં પહોંચવા માટે બહુ સાંકડી ગુફામાંથી જવું પડે તેમ હતું અને શિવજી તો બધે સરખા જ એમ મન વાળીને અમે પૂર્વજોને દૂરથી જ નમન કરીને બીજી કોઈ જગ્યાની રાહમાં નીકળી પડ્યાં.






હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ
*************************
પંચમઢીના જંગલો અને ખીણોએ એકબીજાની નજીક રહીને પ્રવાસીઓ ઉપર કરેલો ઉપકાર ભૂલાય જ નહીં. સવારમાં વહેલાં પરવારીને બે ત્રણ સ્થળો ફરી આવો ને જમી પરવારીને વળી સાંજ સુધીમાં બીજા બે ચાર સ્થળો ખુંદી વળો એટલે બે દિવસમાં તમારું પંચમઢી જોવાઈ જાય. એમ તો આરામથી રહેવું–ફરવું હોય તો પોતાની મરજીથી ફરાય પણ અમારે તો ભાડું વસૂલ કરવા બને તેટલી જગ્યાઓને ન્યાય આપવાનો હોઈને બપોરે જમીને ઉપડ્યાં હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ! 

હવે દિનેશને અમે ગાડી ચલાવવામાંથી મુક્તિ આપીને એને ખુશ કરી દીધો. રિસોર્ટ તરફથી ફરતી ખુલ્લી જિપ્સીમાં અમે પાંચ સાહસિકો નીકળી પડ્યા. જતાં ને આવતાં જે ઝડપ અને કાબેલિયત જિપ્સીના ડ્રાઈવરે બતાવી તે જોઈને તો દિનેશ પણ આફરિન થઈ ગયો. ઉંચા ઢાળ પર રસ્તાને કિનારે કિનારે જિપ્સી ભાગતી હોય અને તદ્દન નજીક ઊંડી ખીણ દેખાતી હોય તો ભલભલાના હાંજા ગગડી જાય. અચાનક કોઈ વળાંકે બે જીપ સામસામે થઈ જાય અને બધાના હોશ ઊડી જાય. જો કે મજા તો એટલી આવી કે મેં જાહેર કરી દીધું, ‘હવેના બધા પ્રવાસ મેં તો ખુલ્લી જિપ્સીમાં કરવાનું જ નક્કી કરી લીધું. ચાહે ગમે તેટલો તાપ–તડકો હોય, ગમે તેટલી ઠંડી પડે કે બરફ પડે અને ગમે તેટલો વરસાદ પડે તોય વાંધો નહીં. શું મજા આવે છે બાકી, આહા!’ પેલી ત્રણેય વાંકા મોંએ તો હસવાની જ હતી પણ દિનેશેય એમાં મોં ફેરવીને સાથ પુરાવ્યો તે મને ન ગમ્યું.

ખેર, એક તો હાંડી અને ખો શબ્દોએ મનમાં સવાલ ઊભા કર્યા. હાંડી એટલે તો પેલી કહેવત ‘ઘરમાં હાંલ્લા કુસ્તી કરે’માં આવે તે જ હશે? હાંડલાનું હાંલ્લા! કે પછી હાંડી પનીર, હાંડી બિરયાની, હાંડી પુલાવ વગેરેમાં આવે તે બેઠા ઘાટની પણ માટલી જેવા આકારની કોઈ જગ્યા? જોઈએ તો ખરાં કે કોણ કોણ ત્યાં ખો રમતું હતું ને ત્યાં કોની હાંડી હતી? ગાઢ જંગલને વીંધતી જતી જીપ ઊંચી ટેકરી પર એક જગ્યાએ ઊભી રહી અને અમે જાણે કોઈ અલૌકિક–અદ્ભૂત ફ્રેમમાં ગોઠવાઈ ગયાં.વાહ! અમે ત્રણસો ફૂટ ઊંડી ખીણની ટોચ પર છીએ? અહીં મોટેથી બૂમ પાડીએ તોય નીચેના જંગલોમાં એ બૂમ ક્યાંય ખોવાઈ જાય. અમે સૌ નિ:શબ્દ.

હાંડી ખોની વાર્તા જાણીને ફરી એક વાર અમે આશુતોષજીની માયાવી દુનિયામાં પહોંચી ગયાં. એક જમાનામાં અહીં એક મોટું સુંદર તળાવ હતું, જેની એક ખૂંખાર, ખતરનાક ને ઝેરીલો સાપ રક્ષા કરતો હતો. હવે ભોલેનાથને એની સાથે શું વાંકું પડ્યું તે ખબર નહીં પણ સાપને લલકારીને એની સાથે ભીષણ યુધ્ધ કર્યું ને એનું નામોનિશાન મિટાવી દીધું! આ આપણને પસંદ ના પડ્યું. ભલે પેલો સાપ ખતરનાક હતો પણ તળાવની રક્ષા કરતો હતો. એને આમ મારી નખાય? હશે જેવી શંભુ ઈચ્છા! પરિણામ પણ કેટલું ખરાબ આવ્યું? એ યુધ્ધની ગરમીએ પેલા તળાવને સૂકવી નાંખ્યું અને એ જગ્યાનો આકાર બની ગયો હાંડી જેવો. તો પછી ખો એટલે? નટરાજે પેલા સાપને ખો રમવા લલકાર્યો હશે એટલે જ કદાચ નામ પડ્યું ‘હાંડી ખો’!

ફરી લસરપટ્ટી જેવો ઢાળ ઊતરતાં અમે પહોંચ્યાં ‘પ્રિયદર્શિની પોઈન્ટ’. આ નામ એક જ વ્યક્તિની ઓળખ આપે એવું હોવાથી મેં કોઈ સવાલજવાબ ન કર્યા પણ મનમાં તો થયું જ કે આવી જગ્યાઓને પણ રાજનેતાઓના નામ! કારણ? તો આ જગ્યા મૂળ ફોર્સીથ નામના અંગ્રજ કેપ્ટને અઢારસો ને સત્તાવનમાં જોયેલી અને એ ગાંડો થઈ ગયેલો! ગાંડો એટલે કે આ જગ્યાનો દિવાનો બની ગયો અને પંચમઢીની સ્થાપના એણે કરી એવું કહેવાય છે. આ ફોર્સીથ પોઈન્ટથી ઓળખાતી જગ્યાની ઈંદિરાજીએ એક વાર મુલાકાત શું લીધી કે ત્યારથી નામ પડી ગયું ‘પ્રિયદર્શિની પોઈન્ટ’! એ તો આપણે કોઈ મોટી હસ્તી નહીં એટલે બાકી તો અમારા નામ પાછળેય આવી કોઈ જગ્યાનું નામ પડી જ જાત ને? હશે હવે, જવા દો.

ઈંદિરાજી ખાસ અહીં સુધી કેમ આવેલાં? એ તો જે અહીં ઊભા રહીને હરિયાળી ટેકરીઓની શોભા જોતાં ધરાય નહીં એને પૂછવું પડે. દૂર દૂર સુધી પથરાયેલી કેટલીય ટેકરીઓ એકમેકની પાછળ સંતાઈને ડોકિયાં કરતી હોય એટલું રમણીય દ્રશ્ય કલાકારોને પણ ત્યાં જવા એટલા જ લલચાવે. અહીં ‘સનસેટ’ પોઈન્ટ  ન હોય તો જ નવાઈ. દરેક હિલ સ્ટેશન પર સૂરજને ઊગતો ને આથમતો જોવા ભીડ તો થાય જ. શહેરોમાં કોણ સૂરજ–ચાંદાને જોવા નવરુંય હોય? અહીં તદ્દન નવરાં એટલે યાદ ન રહે તોય જોવા જેવી જગ્યાના લિસ્ટમાં હોય એટલે લાભ લઈ લે. અમેય કેમ બાકી રહીએ? મને તો બધે ઉચ્છલની હરિયાળી યાદ આવતી હતી પણ ત્યાંય ક્યાં બધે પહોંચાયું છે? અંધારું ઊતરે તે પહેલાં અમે ઢાળ ઊતરી ગયાં અને હાજર થઈ ગયાં, ‘મીઠેમેં ક્યા હૈ’ પૂછવા મનપસંદ જગ્યાએ.



રવિવાર, 3 જૂન, 2018

‘મીઠેમેં ક્યા હૈ?’


માણસે પોતાની લૂલીને જેટલાં લાડ લડાવ્યાં હશે ને, એટલાં તો કોઈને લડાવ્યાં નહીં હોય. હા, લાડ કરી કરીને એને બગાડી પણ એટલી હોય ને કે ન પૂછો વાત. લૂલી પર આપણે બે બાબતે પહેરો ભરવો પડે. એક તો જ્યાં ને ત્યાં, જે તે વસ્તુ ખાવા કે પીવા જોતાંની સાથે જ એ લલચાઈ ન જાય અને બીજો જ્યાં ને ત્યાં, જેની કે તેની આગળ લોચા કે લચ્છા ના મારી બેસે અથવા તો એના ખાનગી નામ–કાતરની જેમ કંઈ ઊંધું વેતરી ના બેસે. અમે તો પ્રવાસમાં અમારી લૂલીને જીવનનો અણમોલ એવો ભોજનનો રસ લેવા છૂટ્ટી મૂકી દીધેલી. જ્યાં ગયાં હોઈએ ત્યાંની વાનગીઓ ચાખીએ પણ નહીં તો કેટલું ઘોર પાપ કરી બેસીએ? એ પ્રદેશના લોકો સાથે ને ત્યાંની વાનગીઓ સાથે અન્યાય જ કરેલો કહેવાય ને? વેજ કે નૉનવેજનો બાધ ઠીક છે પણ જ્યારે કેટલી બધી મહેનતે રસોઈયાએ બનાવેલી ને મદદનીશોએ આકર્ષક રીતે ગોઠવેલી વાનગીઓ બાજુએ મૂકીને બ્રેડ–બટર કે પૂરી–ભાજી ખાવાનું જો આપણે વિચારીએ તો, ‘યે અચ્છી બાત નહીં હૈ.’ એક વાર ચાખ્યા પછી તો જે ભાવે તે ને જેટલું ખાવું હોય તેટલું ખાવાની ક્યાં ના છે? એટલે તો અમે ચાર એકલાં જ નીકળેલાં. કોઈ કોઈને ટોકતું નહીં ને તબિયત વધવાની તો કોઈને બીક હતી જ નહીં. બે ચાર કિલોમાં શું એવડો મોટો ફેર પડી જવાનો? એ તો ઘેરે જઈને ઊતારી જ દેવાહે ને? બસ, બહાર નીકળ્યાં પછી બીતાં બીતાં ખાવાનું નહીં એ નિયમને અમે વળગી રહેલાં.

પહેલે દિવસે તો અમે થાકેલાં એટલે ખીર ખાઈને ખુશ થઈ બાકી બધું ચુપચાપ ખાઈ ગયેલાં. બીજા દિવસથી સવારના નાસ્તાના રાઉન્ડમાં, અમે નાસ્તાના ટેબલની ફરતે બે વાર રાઉન્ડ મારીને પછી બધું ચાખવા ડિશ ભરીને બેસવા માંડ્યું. સાથે ચા, કૉફી કે જ્યુસ તો ખરું જ. એમ પીમાં આપણાં બટાકાપૌંઆ બહુ લોકપ્રિય. શણગાર જુદો હોય પણ સ્વાદ તો એ જ ચટપટો. શહેર કે ગામની લારીઓ પર લોકો આ હળવો નાસ્તો ગરમ જલેબી સાથે અચૂક કરતાં દેખાય. બટાકાપૌંઆની સાથે ગરમાગરમ જલેબી જ જામે એ આપણી જેમ એ લોકોને પણ ખબર. વળી નજીકમાં જ સુગંધીદાર ખસ્તા કચોરી ગાલ ફુલાવીને અમને જોતી હોય એટલે એને ગાલે ચૂંટી ખણવા પણ એને લેવી જ પડે. સાથે ચટપટી ચટણીઓ તો ખરી જ. આપણે કોઈ પણ ફરસાણને સેવ કે ચટણી વગર કલ્પી નથી શકતાં. વાનગીના મસ્ત સ્વાદને વધારેમાં વધારે લાળઝરતો સ્વાદ કેમ કરાય તે આ કરકરા કે લીસા શણગારને બરાબર ખબર. ગાજરનો હલવો તો કશે ન દેખાયો પણ ત્યાંની મશહૂર મીઠાઈ કે વાનગી જે ગણો તે વરાળ નીકળતો મકાઈનો શીરો એના ભારે શણગાર સાથે ચમકતો હતો!

આહાહા! શો સ્વાદ! તૈયાર ભોજનની મજા જ કંઈ અલગ હોય. મકાઈનો મસાલેદાર ચેવડો કહો કે છીણો કહો–વરસોથી ખાઈએ અને પછીથી તો શીરો બનાવીને પણ સંતોષ લીધો છે. તોય આ ‘મક્કેકી કીસ’! અદ્ભૂત! છીણને કીસ કહે એટલે, કીસે હુએ મક્કેકો–છીણેલી કુમળી મકાઈને ઘીમાં સાંતળીને, દૂધથી પકાવીને ખાંડની સાથે એલચી ને સૂકા મેવા સાથે જો શીરો બનાવીને સજાવી હોય તો એટલીસ્ટ હું તો બીજું કંઈ જ ન માગું. મકાઈનો મસાલાવાળો ને માથે કોપરા–કોથમીર સાથે વટ મારતો છીણો/ચેવડો પણ એટલો જ સ્વાદિષ્ટ. અમારા ચારમાં બહેન અંજુ વરસોથી અમારી તરલા દલાલ બનીને અને પછીથી સંજીવ કપૂરના રૂપે અમને જાતજાતની વાનગીઓ ખવડાવતી રહી છે. શોખીન લોકોના શોખ એમની મનગમતી વસ્તુ સામે આવતાં જ આખા શરીરે ઝગમગ ઝગમગ થવા માંડે. દર વખતે નવી વાનગી ચાખતાંની સાથે જ અમારી કપૂર–દલાલ એની રેસિપી ફટાફટ બોલવા માંડતી. એક વાત મેં ખાસ નોંધેલી કે એકેય દિવસ એકેય વાનગીમાં ખામી કાઢવા જેવું એને કંઈ નહોતું લાગ્યું. મતલબ? ત્યાંનું ભોજન વખાણવાલાયક તો ખરું જ પણ પ્રચારને લાયક પણ હતું. અમને પછીથી ખબર પડેલી કે પંચમઢીમાં સ્વાદિષ્ટ ભોજન માટે આ સરકારી રિસોર્ટના રસોઈયા જાણીતા હતા. બસ પછી તો પૂછો મત, હમને ક્યા ક્યા ખાયા ઔર કૈસે કૈસે ખાયા!

બપોરના ને રાતના ભોજનમાં પણ રોજ નવી વાનગીઓ પીરસાય. એક પણ શાક ફરી વાર દેખાયું નહોતું. કે એના એ ફરસાણે પણ ઘડી ઘડી ડોકિયું નહોતું કર્યું. ગુજરાતીઓ મીઠું–ગળ્યું ખાવા માટે મશહૂર છે.(ખાવા માટે કંઈ કોઈને બદનામ કહેવાતું હશે?) અહીં જોયું તો અહીં પણ મીઠી વાનગીઓની કમી નહોતી. છેલ્લે મુખશુધ્ધિ અર્થે મીઠાઈ તો પીરસાતી જ. અમે ચારેય સ્વાદરસિયા. જૉલી પણ સ્વાદ–શોખીન ખરી પણ અમારી કંપનીમાં પહેલી વાર એટલે શરૂઆતમાં થોડી શરમાતી. જો કે, એક જ વારમાં એને સમજાઈ ગયું કે આ લોકો સાથે ભોજન પર તૂટી પડવામાં કોઈ સંકોચ રાખવા જેવો નથી. અમે આરામથી જમતાં. ઘરની જેમ લૂસ લૂસ ખાઈને ભોજનનો સ્વાદ લીધા વિના ક્યારેય ઊભા નહોતાં થતાં. ખરેખર, જવાબદારી વગરનું ભોજન પણ કેટલું સ્વાદિષ્ટ લાગે! કોઈ વાર દાલ–બાફલા ઝાપટ્યું(દાલ–બાટીના સગામાં થાય), તો કોઈ વાર રબડી ને માલપુડા. કોઈ વાર માવા બાટી જે ગુલાબજાંબુના સગામાં આવે. ચક્કીનો લોટ/આટો ખબર પણ ચક્કીનું શાક! ઘઉંના બાફેલા લોટનાં વડાંને તળીને પછી દૂધમાં પલાળીને કાઢી લેવાય. પછી દહીંના મસાલેદાર રસામાં ઉકાળીને ચટપટું જે શાક બને તે ચક્કીનું શાક! બનાવવામાં બહુ સમય માગી લે પણ તહેવારોની આ ખાસ વાનગી છે.

ખેર, અમને રસ હતો તો છેલ્લે પીરસાતી મીઠી વાનગીમાં. અહીં ખાવામાં શરમ કરવામાં સમય બગાડવો પાલવે તેમ નહોતો એટલે બીજા જ દિવસે ભોજનને અંતે ત્યાં ઊભેલા પીરસણિયાને બોલાવીને અમે પૂછ્યું, ‘આજ મીઠેમેં ક્યા હૈ?’
‘જી ખીર.’
‘આજ ફિર ખીર?’
‘જી નહીં બહેનજી, કલવાલી ચાવલકી ખીર થી આજ બારીક સેવકી ખીર હૈ, લાઉં?’
‘હાં હાં, લાઓ લાઓ.’ અરે ભાઈ તું નેકી કરીને પૂછવા નો માંડ. લાવવા જ માંડ.
જરાક વારમાં તો કટોરા સાફ.
‘અમે પેલા ભાઈને બોલાવ્યો.
‘ઔર ખીર હૈ?’
‘હાં બહેનજી, બહોત હૈ. લાઉં?’
અમે ચારેય હસી પડી ને ઈશારો કર્યો, લે આઓ.
કેટલું ખાધું તે મનમાં વિચારવાનું નહોતું એટલે મન ધરાયું નહીં ત્યાં સુધી ખીરના વાટકા આવતા રહ્યા. રસોડામાંથી બાકીના લોકો પણ અમને છુપાઈને જોતાં ને ખુશ થતાં દેખાયા. એમને કેટલો સંતોષ થયો હશે!
બસ, બીજે દિવસથી જ અમારું સવારે ને સાંજે ભોજનને અંતે પૂછવાનું ચાલુ થઈ ગયેલું, ‘મીઠેમેં ક્યા હૈ?’ ને પછી એકબીજાની સામે ખડખડાટ હસી પડવાનું. આ જ તો જીવનની યાદગાર ક્ષણો હતી જેને આજેય મમળાવવી એટલી જ ગમે છે, ખીર કે ફ્રૂટસેલડ ખાતી વખતે તો ખાસ.
(ભોજન સમારંભ–ગૂગલ તરફથી)



રવિવાર, 27 મે, 2018

પાંડવગુફા જોવા જેવી ખરી?


જ્યાં સુધી પાંડવગુફા જોવા નહોતા ગયાં ત્યાં સુધી અમને રસ્તામાં કોઈ ટુરિસ્ટે કે ત્યાંના રહેવાસીએ પણ નહોતું કહ્યું કે…, કે પાંડવગુફા જોવા ધક્કો નહીં ખાતાં. અમે જ્યાં મુકામ કરેલો ત્યાં રિસેપ્શન પર પૂછેલું તો એમણે પણ જોવા જેવી જગ્યાઓનું લિસ્ટ પકડાવી દીધેલું. પાંડવગુફાનું નામ એમાં ચમકે! અમારી પાસે પેલી એમ પીની, મોસ્ટ આઈ એમ પી જેવી ગાઈડ હતી, તેમાં પણ સુંદર ફોટા પાંડવગુફા જોવા લલચાવે! સામાન્ય રીતે ફરવા નીકળીએ એટલે જેટલી વધારે જગ્યા જોવાય એટલી જોઈ કાઢવાનો આપણા સૌનો સામાન્ય સ્વભાવ. ‘અહીં સુધી આવ્યાં છીએ તો...’ અને ‘હવે પાછા થોડા અહીં આવવાના?’ આ બે વાક્યો ભલભલાને સવારથી દોડતાં કરી દે. એ તો જે લોકો બીજી વાર ફક્ત આરામ કરવા જ આવી જગ્યાઓએ જતાં હોય એ લોકોને બધી વાતે શાંતિ હોય. વરસો પહેલાં બધા ડુંગરા ખૂંદી વળ્યાં હોય ને બધા મંદિરોમાં ભગવાનને નમી ચૂક્યા હોય. એમને કોઈ વાતની નવાઈ પણ ના હોય ને કોઈ વાતની હાયવોય પણ નહીં. બસ આરામથી મોસમને માણો ને શરીરમાં બને તેટલી શુધ્ધ હવા ને તાજું તૈયાર ભોજન ઓરીને પડ્યા રહો. મન થયું તો સવારની અને સાંજની સેર ને બહાને ફરવા નીકળો નહીં તો ગપ્પાં તો છે જ હાંકવા માટે.

ખેર, અમે તો પૈસા વસૂલ ટૂર કરવા નીકળેલાં એટલે, ‘હવે ક્યાં? ને હવે શું બાકી?’ જેવા સવાલોને ખૂબ મહત્વ આપતાં.
‘પાંડવગુફા જોવા જેવી છે એટલે ત્યાં જઈએ.’ પ્રસ્તાવ મુકાતા જ પાસ થઈ ગયો ને અમારી ગાડી ઉપડી પાંડવોના વનવાસ દરમિયાનના વસવાટને જોવા. બિચારા પાંડવોને કેવી કેવી જગ્યાઓએ અથડાતા, કૂટાતા ભટકવું પડેલું! ખાવાપીવાનાં ઠેકાણાં ના હોય, જંગલી ને હિંસક જાનવરોની બીક તો ખરી જ, સામાનમાં તો ત્યારના લોકો તીર–કામઠાં કે કમંડળ સિવાય ક્યાં કંઈ લઈ જતાં? પહેરેલાં કપડે જ નીકળી પડ્યાં હોય એટલે બૅગ–બિસ્તરાની કે જાતજાતનાં નાસ્તાપાણી અને નવાં લીધેલાં ચંપલ કે બૂટની ઝંઝટ જ નહીં. પ્રવાસમાં જેટલાં હળવાં રહીએ એટલો જ પ્રવાસ સુગમ બને એ સત્ય એ લોકોએ ગીતાજ્ઞાનની જેમ ઘેર ઘેર પહોંચાડવા જેવું હતું. અમેય એકાદ થેલો લઈને જ નીકળત ને?

પાંડવગુફા આપણને દૂરથી ને બહારથી કંઈ ખાસ આકર્ષે એવું નહીં. પચાસેક પગથિયાં ચડીને જઈએ ત્યારે પાંચ ઝુંપડી–પાંચ ગુફા જોવા મળે. તદ્દન સાદી ગુફા. અસ્સલ અંદર થોડાં પેન્ટિંગ્સ હતાં એવું કહેવાય છે પણ ખાસ નજરે પડતાં નથી. જે કોઈ યાત્રી પગથિયાં ચડીને આવે તે પાંડવગુફા જોઈને નિરાશ થતાં બોલે, ‘નક્કામો ધક્કો થયો. આમાં શું છે જોવા જેવું?’ લોકોને ગુફામાં પણ શું જોવા જેવું જોઈતું હશે કોણ જાણે. વળી, આ ગુફા બાબતે પણ બે મત ચાલે છે.

મોટે ભાગના લોકો તો ના પાડે છે કે, ‘આ તો બૌધ્ધ ગુફા છે. ગુફાની આજુબાજુ સ્તૂપના અવશેષો પણ પડ્યા છે. બૌધ્ધ સાધુઓએ અહીં રહેઠાણ અર્થે આવી ગુફાઓ બનાવેલી. આ ગુફાઓ કંઈ પાંડવોના જમાના જેટલી જૂની નથી લાગતી.’

જ્યારે અવારનવાર અહીં ભીમના પગલાં દેખાવાની પુષ્ટિ કરતાં લોકો કહે છે કે આ પાંડવોની ગુફા જ છે. અહીં એક ખાસ ગુફા દ્રૌપદીની પણ છે જે થોડી વધારે સારી હાલતમાં છે. ભીમની ગુફા જરા વધારે અંધારી અને સાંકડી છે. તે જમાનામાં પણ બિચારાને ભીમ હોવાનું ઘણું નુકસાન વેઠવું પડ્યું હશે. જે હોય તે, બહાર કંઈ ને અંદર કંઈ એવી વાતો ધરાવતી આ ગુફાઓ પાંડવગુફા નામે જ ઓળખાય છે એટલું આપણે જાણીએ. વધારે લપછપ કરવાનું કામ શું? જો કે, આપણે બહુ પંચાત ન કરીએ પણ ત્યાં ઊભેલો ગાઈડ જો કોઈને આ ગુફાઓની વાર્તા કહેતો સંભળાય તો કંઈ કાન બંધ થોડા કરી દેવાય? ઉલટાના આપણે તો જાણે એને નથી સાંભળતાં પણ ધ્યાનથી ગુફા જોઈએ છીએ એવો ડોળ કરીને કાનને બને તેટલા ધારદાર બનાવવા મંડી પડીએ. દૂરથી ગુફા જોઈને જ ગાઈડની મદદ લેવાનું અમે તો માંડી વાળેલું પણ છેલ્લે છેલ્લે વાર્તા જાણવાની લાલચ રોકાઈ નહીં.

પાંચ પાંડવોમાં કોણ વધારે ચતુર હતું તે તો મહાભારત જાણનારા જ કહી શકે પણ દરેકના નામે  જાતજાતના કિસ્સાઓ નોંધાયેલા તે આવી જગ્યાએ જ ખબર પડે. અર્જુનને જંગલવાસ દરમિયાન એક નાગકન્યા ગમી ગઈ! શું એને નહોતી ખબર કે એ નાગિન છે? ગમે ત્યારે ડસી લેશે? જીવનું જોખમ તો ચોવીસે કલાકનું રહેવાનું? ને તોય નાગણના પ્રેમમાં પડ્યો! હવે એ વીર અર્જુને નાગકન્યાને પરણવા માટે કેવો ખેલ રચ્યો? સૌ પહેલાં તો પિતાને મસ્કા મારવા પડે. એણે તો નાગરાજ વાસુને પૂછ્યા વગર જ સંગીત શીખવવા ખાતર કિન્નરનો કપટવેશ ધર્યો! શું પેલી નાગકન્યાએ શરત મૂકી હશે કે, ‘મારા પપ્પાને સંગીત શીખવે તો જ તારી સાથે પરણું?’ નાગલોકમાં કિન્નર શું કે પુરુષ શું કે સ્ત્રી શું? એમનામાં થોડા એવા કોઈ ભેદભાવ હોય? કોણ જાણે અર્જુનને શું સૂઝ્યું તે એણે કિન્નરનો વેશ ધર્યો અને નાગરાજ પ્રસન્ન થતાં નાગકન્યા સાથે લગ્ન કર્યાં. પંચમઢીથી પંદર કિલોમીટર દૂર નાગદ્વારી છે જ્યાં અર્જુનનું સાસરું હતું. આજે તો આપણને આવી વાતો ગપ્પાં જ લાગે. મનોરંજન મળે એટલે ચાલ્યે રાખે. એમ પણ આવા બધા ગાઈડમાંથી સાચા ને અભ્યાસુ જાણકાર કેટલા?

પાંડવગુફા જોયા બાદ કોઈને અફસોસ ન થાય એટલે ટેકરીની ફરતે સરસ મજાનો જોવાલાયક બગીચો બનાવીને અને બગીચાની બહાર ખાણીપીણીના સ્ટોલ્સ રાખીને પ્રવાસીઓને થોડી રાહત આપવાનો ત્યાંની સરકારનો પ્રયાસ સારો છે. થોડી નિરાશા સાથે અમે સમય બગડ્યાની વાતો કરતાં ગાડીમાં ગોઠવાયાં. હવે? એવી કઈ જગ્યા જોવા જઈએ તો દિલ ખુશ થઈ જાય? ગુપ્ત મહાદેવ અને બડા મહાદેવ. ઓહો! પંચમઢી તો વિવિધ નામધારી શિવાલયોથી સમૃધ્ધ છે ને કંઈ! આ તો જાણે ચાર ધામની જાત્રા જ થઈ જવાની. હેંડો ત્યારે બમ ભોલેને મળવા.

‘અમે લોકો દિલ્હી ગયેલાં ને ત્યારે ખાસ અમે પરાઠા ખાવા બહુ વખણાયેલી ‘પરાઠેવાલી ગલી’ ગયેલાં, ત્યાં પણ આવો જ ફિયાસ્કો થયેલો.’ મેં પારુલને યાદ કરાવ્યું.
‘અરે હા, એના કરતાં તો રાજમા ચાવલ કે છોલે ભટૂરે ખાતે તો હારુ થતે. એ તો આપણે ખાવાના હો રહી જ ગયેલા.’ પારુલના અવાજમાં પણ ખાસ્સો અફસોસ. ને કેમ ન હોય? દિલમાં કેટલી આશાઓ ને કેટલાં અરમાનો લઈને પરાઠા ખાવા ગયાં હોઈએ અને મન નારાજ થઈ જાય તો શું થાય? હવે તો ખાસ ખાવા માટે પણ દિલ્હીનો પ્રવાસ ગોઠવવો જ પડશે.
(તસવીરોની મહેરબાની– ગૂગલ)