રવિવાર, 25 ફેબ્રુઆરી, 2018

‘તબેલો કે તપેલી મહેલ?’ એમ પી ટૂર–૬


‘આ મોગલ રાજાઓમાં કંઈ અક્કલ જ નીં મલે. આટલા હારા મહેલને ઘોડા બાંધવાનો તબેલો બનાવી કાઢેલો!’ નાની બહેનોએ મહેલની વાતો ચાલુ કરી.
‘તે જ ને. જુઓ તો ખરા, કેટલો સરસ મહેલ છે ને એનું બાંધકામ કેટલું જોરદાર, તે આજે આટલાં વરસો પછી પણ આ ‘તવેલી મહેલ’ અડીખમ ઊભો છે ને હજી કોણ જાણે કેટલા સૈકા લોકોને જોવા બોલાવશે!’
‘છઠ્ઠી સદીથી ચાલુ થયેલા પરમાર રાજાઓના રાજમાં થયેલા ખિલજીના આક્રમણ પછી મોગલોની ઘુસણખોરી અને અંતે મરાઠા સામ્રાજ્યના હાથમાં લગામ ગઈ ત્યાં સુધીમાં તો, આટલાં સુંદર માંડૂએ કેટલીય લડાઈઓ ને હાર–જીતો ને કેટલીય ખુવારીઓ પણ જોઈ કાઢી હશે. જો કે, એ દરમિયાન જાતજાતનાં બાંધકામો તો તોડફોડ સિવાય પણ ચાલુ જ રહેલાં એટલું વળી સારું તે આજે દુનિયાભરમાંથી લોકો અહીં આ અદ્ભૂત ઈમારતો, મહેલો ને ઈતિહાસને જોવા ને માણવા આવે છે.’
‘બાપ રે! માંડૂ પર તો બહુ જુલમ થયો કહેવાય. ખેર, આ તપેલી મહેલની શું વાત છે? કે વાર્તા?’ મને જાણવાની ચટપટી થઈ.
‘પહેલી વાત તો તપેલી નહીં પણ ‘તવેલી મહેલ’. અહીંથી માંડૂદર્શનની અલગ જ મજા છે. હવે આ મહેલ મ્યુઝિયમ તરીકે વપરાય છે પણ એક સમયે મોગલોના જમાનામાં વપરાયેલા કે ન વપરાયેલા વાસણો ને પથ્થરોના અવશેષો અહીં મળી આવેલા.’
‘જો મેં કીધુ ને કે તપેલી મહેલ તે નામ બરાબર જ કહેવાય.’
‘પ્લીઝ, નો ફાલતુ જોક્સ.’ સામુહિક ધમકીથી મારું મોં બંધ થઈ ગયું, પણ શું હું ખોટી હતી? જવા દો.

અહીં એટલા બધા રાજાઓ આવ્યા ને લડ્યા ને મર્યા કે દરિયા ખાન નામના રાજાએ તો પંદરમી સદીમાં પોતાની કબર પણ બંધાવી દીધી હતી. દરિયા ખાન કબર નામે જાણીતી કબરની ટાઈલ્સ બહુ સુંદર અને કમાનો જોવા લાયક, પણ સમયના અભાવે અમે દરિયા ખાનને સલામી ન આપી શક્યા. એવો જ એક નાનકડો હાથી મહેલ પણ ત્યાં છે, જેના ચાર થાંભલા હાથીના પગ જેવા લાગે! આટલા જાડા થાંભલા હું કામ બનાઈવા? કોણ જાણે! કદાચ એ બહાને ભવિષ્યના પ્રવાસીઓનું કુતૂહલ જાગે ને એમને કંઈ નવી જાતનું બાંધકામ જોવા મળે એવું જ હશે. અમે તો એને ગુટલાવી દીધું. દૂરથી રામ રામ. આખો દા’ડો પછી મહેલ જોઈ જોઈને પણ થાકી જવાય કે નીં? હજી તો નીલકંઠ મહાદેવના ‘નીલકંઠ મહેલ’ વિશે પણ જાણીને અચરજ થયું. તે સમયના અમુક મુસ્લિમ રાજાઓ જે હિંદુઓને માન આપતા તેમાંના એક રાજા અકબર બહુ જાણીતા હતા. અકબરને તો બધા જ ઓળખે! એમની હિંદુ રાણી શિવભક્ત હોવાથી રાજાએ તો શિવમંદિરની બાજુમાં એક મહેલ જ બાંધી આપ્યો! આજકાલના રાજાઓ જેમ પોતાની રાણીને ફાર્મ હાઉસ કે એકાદ વિલાની ભેટ કરી દે તેમ જ. જો કે ત્યાં જવાનો રસ્તો સાંકડી ખીણ જેવો હોવાથી અમે તો માંડી જ વાળ્યું. હજી ઘરે પાછા જવાનું છે ને ભાઈ?

આ મહેલો ને કબરોને જોતાં જાણતાં મને સતત રફીસાહેબનું એક ગીત યાદ આવતું રહ્યું. ‘યે મહેલોં, યે તખતોં, યે તાજોંકી દુનિયા...યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?’ મારા ગણગણવાની સાથે જ ફરમાન આવ્યું, ‘એય, કેમ ફિલ્મીવેડા ચાલુ કઈરા?’
‘અરે યાર, તમે લોકો તો ખરાં છો. જ્યાં જે વાત યાદ આવી જાય તે બોલાઈ નીં જાય કે ગીત યાદ આવે ને ગવાઈ નીં જાય તેનો મતલબ હું? હવે હું નથી માનવાની તમારું. આ મસ્ત હરિયાળી મોસમ ને આ દિલકશ નજારામાં કોઈને કોઈ ગીત યાદ નીં આવે કે ગાવાનું મન નીં થાય એવું તે કેમ બને? હું તો મોટ્ટેથી ગાવા જાઓ.’
મને કહેવાનો કંઈ અર્થ નથી એવું સમજી ગયેલી બહેનો એમની આંખો સાથે ભવાં ઊંચાનીચા કરતી રહી ને જૉલી મરકમરક હસતી રહી.

હવે અમે જોવા નીકળ્યાં રાજા હોશંગશાહની કબર. જે કબર જોઈને તાજમહેલ બંધાવનાર શાહજહાંએ પોતાના ખાસ આર્કિટેક્ટોને એ કબરનું બાંધકામ જોવા (કે એમાંથી પ્રેરણા લેવા કે પછી એની ડિઝાઈનની ઉઠાંતરી કરવા) મોકલેલા તે કબર કેવી અદ્ભૂત હશે! ખરેખર, અફઘાન સ્થાપત્યની, આરસના પથ્થરોમાં કોતરાયેલી કારીગરી બહુ સુંદર રીતે આ કબરમાં વણાઈ ગઈ છે. ભારતની આ પહેલી આરસની કૃતિ ગણાય છે. ખેર, આપણે તો જોવા સાથે મતલબ. યાદ પણ કેટલુંક રાખવાનું?

આટલા બધા મુસ્લિમ રાજાઓની અવરજવર વચ્ચે પણ આશ્ચર્યજનક રીતે એક જૈન મંદિર ત્યાં અડીખમ ઊભું છે. જૈન તીર્થંકરોને સમર્પિત આ મંદિર કોઈ પરદેશી રાજાની મદદ વગરનું પૂર્ણપણે ભારતીય બાંધકામ જ છે. સોના, ચાંદી અને માણેકથી સુશોભિત આરસના આ મંદિરને જોવા પણ પ્રવાસીઓ દૂરદૂરથી આવે છે. સમયની બલિહારીએ અમને એના દર્શનથી વંચિત રાખ્યા. ખેર, ફરી વાર માંડૂ જવું જ પડે એટલી બધી સુંદર ઈમારતો ને મહેલોનાં વર્ણન વાંચ્યે કે જાણ્યે થોડું જ ચાલશે? જોઈશું, ફરી કોઈ વાર ચાન્સ મળે તો ઉપડશું. હવે જેના માટે દિલમાં એક અજબ ખેંચાણ હતું ને ખૂબ ઈંતેજારી હતી તે રાની રુપમતી ને બાઝબહાદુરના મહેલ જોવાની ઘડીઓ ગણાઈ રહી હતી. ક્યારે પહોંચીએ રાણીના મહેલમાં ને એનાં ગીતોના પડઘા સાંભળીએ? એ તબલાંની થાપ ને એ ઘુંઘરૂનો રણકાર! દૂરથી વહી આવતો કરુણ મધુર સ્વર ને મંદ મંદ સમીરની લહેરો પર સવાર થઈને દૂરની પહાડીઓમાં ફેલાઈ જતા એ મધુર ગીતના પડઘા!
‘એ ભાઈ દિનેશ, જલદી ગાડી ચલાવ. રાની રુપમતી મને બોલાવે છે.’
ને ગાડીમાં ફેલાયો ખડખડાટ હસવાનો અવાજ!

હોશંગશાહની કબર

નીલકંઠ મહેલ

તવેલી મહેલ

2 ટિપ્પણીઓ:

  1. it looks like ' stupidity ' is the best qulification for becoming the ' king ' and if one is king then only he can
    get ' rani rupamati ! president trump also proves the same law in america ! jeva jena nasib , biju hun ?

    જવાબ આપોકાઢી નાખો
  2. એવું જ તો. સારા ને ખરાબ બધે જોવા મળ્યા.

    જવાબ આપોકાઢી નાખો