રવિવાર, 25 માર્ચ, 2018

ચાલો, ભોપાલની બેગમોનો આભાર માનીએ –એમ પી ટૂર(૧૦)


જો આ ટૂર ન ગોઠવી હોત તો ક્યારેય એમ પીના આટલા ભવ્ય ઈતિહાસ અને અદ્ભૂત વારસા વિશે અમે જાણ્યું ન હોત. ઘેર બેઠાં ક્યાં એ બધું યાદ કરીને ઈતિહાસ ફંફોસવાના? હવે એટલો ટાઈમ જ કોની પાસે છે? મોબાઈલ યુગમાં જો આવા પ્રવાસો વારંવાર ગોઠવીએ તો જ બહારની દુનિયાનાં દર્શન થાય. બાકી તો, આપણે આપણી દુનિયામાં પણ ડોકું ઊંચું કરીને આસપાસ જોતાં નથી. ખરેખર, હવે આપણી દુનિયા મુઠ્ઠીમાં સમાઈને જ રહી ગઈ છે.

ભોપાલની બેગમોથી અભિભૂત થયેલાં અમે એમના શાસનમાં બનેલી કેટલીક ઈમારતો જોવા નીકળ્યાં. અંજુએ ભોપાલનું બ્રોશર સાથે રાખેલું એટલે એણે મોતી મસ્જિદ જોવાની ફરમાઈશ મૂકી જે સર્વાનુમતે પસાર થઈ. મોતી મસ્જિદમાં ફરતાં ફરતાં સિકંદર બેગમનું સ્થાન દિલમાં કાયમ થઈ જાય એટલી સુંદર આ ઈમારત છે. દિલ્હીની જામા મસ્જિદ જેવી પરંતુ નાની દેખાતી આ મસ્જિદ ઘેરા લાલ રંગની ઈંટોથી બની છે, જેના મુખ્ય ભવનનો આગલો ભાગ આરસપહાણના પથ્થરો વડે શોભે છે અને પ્રાર્થનાના મુખ્ય ખંડને સફેદ આરસપહાણના પથ્થરોએ મોતી જેવી ચમક આપીને મસ્જિદને આગવું સૌંદર્ય બક્ષ્યું છે.

અમે ચારે જણીઓ મસ્જિદમાંથી નીકળીને સ્ત્રી સ્વાતંત્ર્યના મુદ્દે એક ગહન ચર્ચામાં ઊતરી પડી. જો મુસ્લિમ બેગમો ત્યારે આટલી બધી સ્વતંત્ર અને કાબેલ હતી તો આજની મુસ્લિમ સ્ત્રીઓની કાબેલિયત અને સ્વતંત્રતા ક્યાં ગૂમ થઈ ગઈ? શું રાજકારણમાં સ્ત્રીઓની કાબેલિયતનો, સ્વતંત્રતાનો ભોગ લેવાયો? બેગમોએ તો આખા ભોપાલનું જ ભલું કરેલું ને કોઈ ભેદભાવ જોયા નહોતા તો હિંદુ મુસ્લિમનું આ રાજકારણ દેશમાં ક્યાંથી શરૂ થયું ને હવે ક્યાં પહોંચશે? મને લાગ્યું કે, આ બધી ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી. ફરવા નીકળ્યાં છીએ ત્યાં પણ રાજકારણને માથે ચડાવવાનું? અહીંની હવાઓમાં તો હજીય આ બેગમોની રૂહ ભટકતી હશે તે આપણી વાતો સાંભળીને કેટલી દુ:ખી થશે? પોતાનાં કર્યાનો પસ્તાવો જ થશે ને? મેં બધાંને ભૂખનું સિગ્નલ બતાવ્યું.

ભલે ને, સવારે પેટ ભરીને નાસ્તો કરીને નીકળ્યાં હોઈએ, તો પણ ફરવા ગયાં હોઈએ ત્યારે ભૂખ કંઈક વધારે જ કૂદાકૂદ કરે એટલું તો મેં જોયું. એક તો નવી જગ્યાની નવી દુકાનો ને લારીઓ અવનવી સુગંધથી આપણને આમંત્રિત કરતી હોય ત્યાં કોઈના આગ્રહની કે સવાલની ક્યાં રાહ જોવાની? એક લારીને અમે યજમાન બનવાનો મોકો આપ્યો ને થોડું ઝાપટીને ફરી ગાડીમાં ગોઠવાયાં નજીકની ઈમારતોના દર્શને. હવે વારો હતો શૌકત મહેલનો.

જ્યાં પહેલાં શાહજહાંબાદ નામે નગર હતું, ત્યાં આજના ભોપાલના ભીડભાડવાળા ચોક વિસ્તારમાં આવેલો શૌકતમહેલ બડી શાનથી પ્રવાસીઓને આકર્ષે છે. ફ્રેન્ચ, યુરોપિયન, ચાઈનીઝ અને મુસ્લિમ કળા–કારીગરીના અદ્ભૂત સંયોજનથી બનેલો આ મહેલ જોવાલાયક તો ખરો. જેમને રાજાઓ ને નવાબોની શાનોશૌકતમાં, એમની પ્રગતિ ને અધોગતિની કથાઓમાં, એમના પ્રજાલક્ષી કામોમાં, એમણે બંધાવેલી સુંદર ઈમારતોમાં ને અચંબિત કરનારા મહેલોમાં રસ હોય તેમણે તો મધ્ય પ્રદેશની મુલાકાત લેવી જ જોઈએ. બધે જ એકસરખું લાગતું બાંધકામ ને લાંબા લાંબા ઓરડાઓ ને પરસાળોમાં ચાલી ચાલીને થાકેલી હું તો મહેલોથી કંટાળી કેમ ન ગઈ તેની જ મને તો નવાઈ લાગતી હતી. કદાચ ધીરે ધીરે રાજા ને રાણીઓની વાર્તાઓએ મારા મન પર કબજો જમાવવા માંડેલો કે શું? કોણ જાણે.

દરેક મહેલ કે બગીચામાં ફર્યા પછી કકડીને ભૂખ પણ લાગતી હતી તેનું કારણ પણ રહી રહીને સમજાયેલું, કે આટલું સામટું તો એક જ દિવસમાં આપણે કેટલા વરસો પછી કદાચ ચાલીએ છીએ! રાજાઓ ને રાણીઓની તંદુરસ્તીનો રાઝ પણ રોજનું આ લાંબું લાંબુ ચાલવું જ હશે? બિચારા સેવકો તો દોડી દોડીને અધમૂઆ થઈ જતા હશે. આજે તો જેમને ત્યાં મકાનના બે ત્રણ માળ ચડવા પડે એમને ત્યાં આપણે મહેમાન બનવાનું ટાળી દઈએ, ત્યારે આવા ભવ્ય મહેલોમાં રહેનારાઓનો રોજનો કેટલા કિલોમીટરનો પ્રવાસ થતો હશે? જો કે આપણે બહુ વિચારવાનું નહીં, બધું જોયા કરવાનું ને ચૂપચાપ ફરતાં રહેવાનું. આજુબાજુ ફરતા બીજા પ્રવાસીઓ સાંભળે તો આપણું ખરાબ દેખાય. હવે તો આપણે ત્યાં પ્રવાસીઓ પણ જ્યાં કડક નિયમ હોય ત્યાં શાંતિ ને ચોખ્ખાઈ રાખે છે, બાકી તો જાહેર મિલકત નુકસાન કરવા માટે જ હોય એમ સમજીને કેટલીય સુંદર ને ભવ્ય ઈમારતોની દુર્દશા કરી નાંખે. અંગ્રેજો લૂંટી ગયા કે બીજા પરદેશીઓ બધું બરબાદ કરી ગયાના ગીતો ગાવા કરતાં ખુદ આપણે પણ કંઈ જાળવી નથી શક્યાં તેનું દુ:ખ થાય. સુખ ને દુ:ખ એક સિક્કાની બે બાજુ તે આવી જગ્યાઓએ તરત જ સાબિત થઈ જાય. ખેર, પ્રવાસ આપણને એક વિવેચક સાથે ફિલોસોફર પણ બનાવે છે તે મોટો ફાયદો મને દેખાયો.

મુસ્લિમ શાસકોને કારણે સ્વાભાવિક છે કે જે તે રાજ્યમાં મસ્જિદોનું પ્રમાણ વધારે જ હોવાનું. અહીં પણ તાજ ઉલ મસ્જિદ નામે બહુ જ પ્રખ્યાત ને જોવાલાયક મસ્જિદ છે, જે નામ મુજબ જ મસ્જિદોનો તાજ છે. એના વિશાળ આંગણમાં પાણીનો એક મોટો કુંડ છે અને આ મસ્જિદ ભારતની મોટામાં મોટી મસ્જિદ છે, જ્યાં ત્રણ દિવસના ધાર્મિક સંમેલન(ઈજ્તેમા) માટે ભારતભરના મુસ્લિમો અહીં ભેગા થાય છે. મસ્જિદની દિવાલોથી માંડીને એના થાંભલાઓ અને છત પણ ધ્યાનથી જોવામાં ભલે બોચી કે પગ દુ:ખી જાય, પણ પૂરેપૂરી જોયા વગર બહાર નીકળાય જ નહીં એટલી આકર્ષક છે આ મસ્જિદ. આ રમ્ય બાંધકામ માટે શાહજહાંબેગમની પ્રસંશા કરવી કે એના સ્થપતિની કે એના કારીગરોની તે જ વિચારો આપણા મનમાં ઘુમરાતા રહે. નક્કામા આપણે બધા નવા બાંધકામોના મોહમાં ફસાયા, બાકી તો જોવા ને રહેવાલાયક તો સૌને આવી ઈમારતો જ ગમે એવું મને સૌની વાતો પરથી લાગ્યું. હવે શું? કાં તો જોઈને જીવ બાળો ને કાં તો ખુશ થાઓ. હવે જીવ બાળવા તો નીકળ્યાં જ નથી ને હવે એનો કોઈ અર્થ પણ નહીં તો પછી ખુશ જ થવાનું ને? ચાલો ત્યારે જોયાનો આનંદ માણીએ ને જ્યાં મસ્ત ભોજન મળે ત્યાં લૂલીના આનંદ માટે પહોંચી જઈએ.
મોતી મસ્જિદ


શાહજહાં બેગમ

તાજ ઉલ મસ્જિદ

રવિવાર, 18 માર્ચ, 2018

‘ભોજપાલ, ભોજતાલ અને ઈતિહાસ’ –એમ પી ટૂર(૯)



કોઈ પણ ગામ, શહેર કે જગ્યાનું સુંદર કલાત્મક નામ હોય, જમાનાઓથી એ નામ લોકજીભે ચડી ગયું હોય અને અચાનક જ કોઈ મનસ્વી શાસક આવીને એનું નામ જ બદલી કાઢે તો કેટલું દુ:ખ થાય? ભોપાલનું પણ એવું જ થયું લાગે છે. ભોજપાલ નામમાં શું ખોટું છે? રાજા ભોજે પોતાના રાજ્યની સુરક્ષા માટે વિસ્તારેલા શહેરને ભોજપાલ નામ આપ્યું તે યોગ્ય જ છે ને? એને બોલતાં ને લખતાં સહેલું પડે એટલે કોઈએ ભોપાલ કર્યું હશે? કે એનું અપભ્રંશ થયું હશે? ભોજતાલ  તળાવ પણ રાજા ભોજની યાદગીરી જ કહેવાય પણ હવે એ ‘બડા તાલાબ’ નામે ઓળખાય! હશે. આપણે તો તળાવને જોવાની, એનો ઈતિહાસ જાણવાની અને એની ફરતે ફરતાં રહેવાની મજા માણવાની.

જો કે, તળાવની કથા બહુ રમ્ય છે. રાજા ભોજ કોઈ ત્વચારોગથી હેરાન થતા હતા. ઘણાય વૈદ ને હકીમની દવાઓ રાજાએ મોં કડવું કરીને ને મોં બગાડીને પણ ગળે ઊતારી તોય ફેર ન પડ્યો. ત્યારે એક સંતે રાજાને જણાવ્યું કે ‘જો ત્રણસો ને પાંસઠ નદીનાં પાણીથી રોજ સ્નાન કરાય તો આ રોગ દૂર થઈ જાય.’ અહીં એક નદીમાં પાણીનાં ઠેકાણાં નથી ત્યાં સેંકડો નદીઓ ક્યાંથી લાવવી? પણ તે તો સુવર્ણકાળ હતો અને આવું અઘરું કામ તો કોઈ રાજાને જ સોંપાય એ જાણતા સંતે પણ અગમબુધ્ધિ વાપરીને આખા ભોજપાલનું ભલું કરી નાંખ્યું. રાજા તો મંડી જ પડ્યો. બધી નદીઓના પાણીને ભેગું કરતાં ઈજનેરોની આંખે પાણી આવ્યાં પણ આખરે બેતવા નદીની ઉપશાખાઓ મળીને આંકડો ત્રણસો સાંઠની નજીક નજીક પહોંચ્યો. બાકીનો સરવાળો ગોંડ સેના અધ્યક્ષે અદ્રશ્ય નદીઓનાં નામ આપીને પૂરો કર્યો ત્યારે બન્યું આ બડા ભોજતાલ. આવા સંતો દરેક જમાનામાં થવા જોઈએ, જે બધે ફરી ફરીને તળાવ બાંધવાના આવા ઊપાયો બતાવતા રહે.

ભારતના મોટામાં મોટા તળાવની કથા જાણ્યા બાદ ભોજપાલ વિશે વધુ જાણવાની લાલચ થઈ. વાર્તા કોને ન ગમે? આનંદ અને ગૌરવની વાત તો એ નીકળી કે એ જમાનામાં ભોપાલ પર સો વરસ સુધી બેગમોએ રાજ કરેલું! એ બેગમો પણ પાછી ટોળટપ્પાંમાં કે સાજસિંગારમાં વખત પૂરો કરીને પ્રજાના પૈસે મોજ કરનારી નહોતી. બેગમોનો શાસનકાળ ભવ્ય હતો. દરેકે કોઈ જાતના ટંટા–ફિસાદમાં પડ્યા વગર, ફક્ત ને ફક્ત પ્રજાલક્ષી કામો જ કર્યાં. દરેકને કળા, સાહિત્ય, શિક્ષણ અને લોકસેવામાં ઊંડો રસ. કેવો ભવ્ય રહ્યો હશે એ સમય જ્યારે એક સદી સુધી સ્ત્રીઓના રાજમાં આટલી પ્રગતિ થઈ હશે?

અઢાર જ વર્ષની ઉંમરે પહેલી રાણી બનનાર હતી કુડ્સિયા બેગમ. સત્તર વરસમાં એણે મશહૂર જામા મસ્જિદ અને ગોહર મહેલનું નિર્માણ કરાવ્યું. એની દીકરી તો મા કરતાંય સવાઈ નીકળી. રાજ્યવ્યવસ્થામાં માહેર સિકંદર બેગમે સુંદર રસ્તાઓ, સ્કૂલો અને મદરેસાઓની પ્રજાને ભેટ આપી. લોકોને વીજળીની વ્યવસ્થા કરી આપી. મોતી મસ્જિદ, મોતી મહેલ અને શૌકત મહેલ એના નામે બોલે છે. એકથી એક ચડિયાતી બેગમોનો ઈતિહાસ જાણતાં રોમાંચિત થવાય ને સાથે અચંબિત પણ. આજે ફક્ત ને ફક્ત ચડસાચડસીમાં દેશને બરબાદ કરવામાં સ્ત્રીઓ પણ રાજકારણને હથિયાર બનાવે છે તે જોઈને તો લાગે કે ભોપાલનો ઈતિહાસ ફરી દોહરાવો જોઈએ.

શાહજહાં બેગમ તો કળાની અઠંગ પૂજારી. કવિતા, સંગીત, ચિત્ર અને સ્થાપત્યકળામાં ઊંડો રસ ને સમજણ દાખવનારી આ બેગમે તો ઉર્દૂમાં કેટલાંય પુસ્તકો લખ્યાં. ભોપાલના ઈતિહાસને પહેલી વાર એણે લખ્યો! પ્રજાની સુખાકારી માટે પૂરતા પાણીની સગવડ, હૉસ્પિટલ, ટપાલસેવા, રેલવેસેવા, છાપખાનાં ને વાંચનાલયો અને આપણી અક્કલ કામ ન કરે એવાં સુંદર સ્થાપત્યોનું પણ નિર્માણ કર્યું. વાહ! કોઈ શાસક હોય તો આવો કે બેગમ હો તો આવી.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પહેલી ચાન્સેલર, જેણે પચીસ વરસના શાસનમાં ભોપાલને વધુ આબાદ કર્યું તે સુલતાન જહાં બેગમ. સ્ત્રીઓનાં ભણતર અને રોજગારી માટે સતત ઉમદા કામ કરનારી બેગમે કેટલાંય પુસ્તકો લખ્યાં અને વાર્ષિક મેળા યોજીને વિવિધ કળા તેમ જ હસ્તકળાને પણ પ્રોત્સાહન આપ્યું. કેસરે સુલતાની પેલેસ જે હવે સૈફિયા કૉલેજ બની ગઈ છે, નૂર–ઉસ–સબા પેલેસ જે હેરિટેજ હૉટેલ બની ગઈ છે, મિન્ટો હૉલ જે ઓગણીસસો છન્નુ સુધી એમ પીનું વિધાનગૃહ હતું, એડવર્ડ મ્યુઝિયમ અને હમિદિયા લાઈબ્રેરી અને આટલા ભવ્ય ઈતિહાસની દેન કરનાર એ બેગમને સલામ જ કરવી પડે.

આજ સુધી ઈતિહાસની એવી વાર્તાઓને સતત વધારે ને વધારે ચમકાવાઈ છે જેમાં સ્ત્રીઓને કારણે મોટી મોટી લડાઈઓ થઈ હોય, રાજાઓએ રાજપાટ ખોયા હોય, નિર્દોષ નાગરિકોના જીવ ગયા હોય અને એ સ્ત્રીઓ બદનામી કે ગુમનામીના અંધકારમાં ક્યાંય ખોવાઈ ગઈ હોય. જો આટલી જ બેગમોના ઈતિહાસને વારંવાર દોહરાવાયો હોત તો કદાચ ભારતનો ઈતિહાસ તો ખરો જ પણ વર્તમાન પણ કંઈક જુદો જ ઘડાયો હોત. આવા સો વરસ ભારતના ઈતિહાસમાં ફરી ક્યારેય આવ્યા નથી ને આવશે પણ નહીં એ કહેવાની જરૂર?

આ બધી બેગમો વિશેની આવી અદ્ભૂત વાતો જાણીને તો રાણી લક્ષ્મીબાઈ કે ઝાંસીની રાણી જેવું જોશ ચડી આવે. જો યોગ્ય સ્ત્રીઓના હાથમાં સત્તા સોંપવામાં આવે તો સ્ત્રીઓ પણ દેશનો ઉધ્ધાર જરૂર કરી શકે. જે રાજા કે રાણીના દિલમાં પ્રજાની ચિંતા છે, તે પ્રજા રાજા કે રાણીને હમેશાં નમન જ કરવાની.
                                                                           જામા મસ્જિદ
સૈફિયા કૉલેજ

મિન્ટો હૉલ
શૌકત મહેલ

રવિવાર, 11 માર્ચ, 2018

તળાવની પ્રદક્ષિણા


ભોપાલનું નામ કાને પડતાં જ મેં તો મને જે યાદ આવ્યું તે કહ્યું, ‘ભોપાલ એટલે તો પટૌડીનું ગામ કે?’
અમે માંડુથી હવે ભોપાલને રસ્તે હતાં. એમ તો ઈંદોર પહેલાં આવે ને ઈંદોર તો માંડુથી ઘણું નજીક કહેવાય પણ પાછાં ફરતી વખતે નિરાંતે ઈંદોર ફરવાનો પ્લાન ઘડાયેલો એટલે પહેલાં ભોપાલ પહોંચવાનું હતું.
‘અરે, ખાલી પટૌડી થોડો? નજમા હેપતુલ્લા, શંકરદયાલ શર્મા, રઘુરામ રાજન, અન્નુ કપૂર, જાવેદ અખ્તર, બશીર બદ્ર અને આપણી ફેવરેટ જયા બચ્ચન સિવાય કેટલાય જાણીતા પ્લેયર્સ અને ફિલ્મ–ટીવી સ્ટાર્સ પણ અહીંના જ છે.’
‘ઓહોહો! જબરુ ભાઈ ભોપાલ તો. તો તો પેલા ગીતકાર અસદ ભોપાલી પણ અહીંના જ હશે.’ મને યાદ આવ્યું. હું તો અત્યારથી જ ઈમ્પ્રેસ થવા માંડી.
‘કોણ અસદ ભોપાલી? આને છે ને, કોઈ ને કોઈ યાદ આવી જ જાય.’ મારી ટિંગલ કરવાની એકેય તક કોઈ ચૂકતું નહોતું.
‘અરે પેલા મસ્ત ગીતો છે ને? હંસતા હુઆ નૂરાની ચેહરા...’
‘ઓહ્હ તે?’ કહેતાં તરત અંજુએ ગીત ઉપાડી લીધું, ‘કાલી ઝૂલફેં રંગ સુનેહરા...’ પછી ઢીટીન ટીટીન ચાલ્યું ને અંતકડી ચાલુ થઈ ગઈ તે, ‘કબૂતર જા જા જા’ પર પૂરી થઈ ને ભોપાલી સાહેબને એ બહાને શ્રધ્ધાંજલિ અપાઈ ગઈ. ભોપાલ જતાં જતાં એક કામ તો સારું થયું.

કોઈ શહેરનો ઈતિહાસ કે ભૂગોળ તો ઠીક પણ અહીંના કયા કયા મહાનુભાવોએ ભોપાલનું નામ રોશન કર્યું તે પણ જાણવું એટલું જ જરૂરી. ઓહો ને આહા કરવા તો ચાલે! ધારો કે, કાલ ઊઠીને કોઈ પ્રવાસી ઉચ્છલ ફરવા આવે તો એને મારું નામ દઈને કોઈ ઓળખાવશે? કોણ જાણે. મનમાં થયું કે મોટેથી બોલું પણ પછી માંડી વાળ્યું. મારાથી એટલી ઊંચી ખ્વાહિશ રખાય? કે ના રખાય? ખેર, મેં ભોપાલની ઓળખ આપનાર તરફ કાન માંડ્યા.

‘ભોપાલ કુદરતી અને કૃત્રિમ તળાવોથી શોભતું શહેર છે. એમ પીની રાજધાની અને બે તળાવોથી બે ભાગમાં વહેંચાઈ જવા છતાં પણ, એક જ શહેર ગણાતું ભોપાલ જોવાલાયક અને માણવાલાયક તો ખરું.‘
‘પ્લીઝ પારુલ, હવે કંઈ નીં કે’તી. આપણે ભોપાલ જ જવાનાં ને? પછી અત્યારથી બધું ક’ઈ દેહે તો મજા નીં આવહે.’

‘ઓક્કે ઓક્કે ચાલો આપણે એક છોટા સા બ્રેક લઈએ.’ અંજુ ને જૉલી પણ ક્યારના ચાનો ઈશારો કરતાં હતાં એટલે અંધારા પહેલાં હાઈવેને ટચ થઈ ગયેલાં અમે એક રેસ્ટોરાંમાં ખાણીપીણી પતાવ્યાં. ભોપાલ પહોંચવાની ઉતાવળ તો હતી જ. ભલે ને રાત પડતી પણ કોઈ શહેરની સુંદરતા તો રાતેય ક્યાં ઓછી હોય છે? દૂરથી ભોપાલની રોશનીએ અમને ઊંચાંનીચાં કરવા માંડ્યાં. ભોપાલ સાથે વરસો પહેલાં ઘટેલી ગેસ કરુણાંતિકા પણ જોડાયેલી છે. જાણે ચાંદમાં ડાઘ હોય! ઘણાં તો ભોપાલ એટલે એ એક જ દુર્ઘટના, એવું સમજીને મોટું લેક્ચર આપવા બેસી જાય પણ દરેક વસ્તુ, ઘટના કે જગ્યા સાથે સારી ને ખરાબ વાતો જોડાયેલી જ હોય. એમાંથી આપણે પણ ક્યાં બાકાત રહીએ? (આ મન પણ જબરું છે, તરત જ મોટી મોટી વાતો ને ઉપદેશો ને સુફિયાણી સલાહોના ચક્કરમાં તરત જ ખેંચાઈ જાય. ફરવા નીકળી છે તો ફર ને શાંતિથી. એમ તો આટલુંય પાછું સારું કે, તરત ભાન થાય એટલે પાછા વળી જવાય.)

કોઈ પણ શહેર હોય, ઝગમગ રોશનીથી તો નાહતું જ હોય એટલે ભોપાલ પણ અપવાદ કેમ રહે? શહેરમાં દાખલ થતાં જ ટ્રાફિક અને બજારની ભીડભાડે અમારું મન મોહી લીધું. વાહ! બજારમાં ફરવાની મજા આવવાની. અમારી હૉટેલનું સરનામું પૂછવાનું શરૂ કરતાં જ ખૂબ અદબથી જવાબ મળ્યો એટલે અમે તો ભોપાલના પ્રેમમાં જ પડી ગયાં. આટલા માનથી આ લોકો સ્ત્રીઓ સાથે વાત કરે? વાતની ને નામની આગળ–પાછળ જી તો લગાવે જ. આહાહા! મજા પડવાની ચાલો થોડી , તેહઝીબ તો આપણે પણ શીખીને જઈશું. લખનવી તેહઝીબ તો વખણાય જ છે પણ ભોપાલમાંય?

અમારી હૉટેલ નવા ભોપાલમાં હતી એટલે સરનામું પૂછતાં પૂછતાં એક મોટા તળાવની પ્રદક્ષિણા કરવાની રાતની રોશનીમાં જે મજા આવી છે. આહાહા! મનમાં તો થયું કે દરેક શહેરના પ્રવેશદ્વારે એક આવું સુંદર તળાવ હોવું જ જોઈએ. ‘બડા તાલાબ’ના નામે ઓળખાતું આ તળાવ રાજા ભોજે અગિયારમી સદીમાં બનાવેલું જે ભારતનું જૂનામાં જૂનું તળાવ છે. આ સ્વચ્છ ને સુંદર તળાવ ભોપાલના શહેરીજનોને પાણીની તકલીફ નથી પડવા દેતું. વચ્ચે વચ્ચે માહિતી ચાલુ રહી પણ અમે સૌ તો તળાવથી જ ખુશ. દૂર રંગીન લાઈટથી ચમકતા અક્ષરો વંચાયા ‘વેલકમ ટુ સિટી ઓફ લેઈક્સ.’
‘થેન્ક યુ, થેન્ક યુ ભોપાલ. થેન્ક્સ ફોર અ નાઈસ વેલકમ.’ હું મનમાં ગણગણી.

તળાવની સામે આવેલી દુકાનો જોતાં અમે એક ગલી આગળ રોકાયાં. સામેનો રસ્તો થોડો ઢાળવાળો હતો અને બીજો મોટો રસ્તો ટ્રાફિકને લઈને દોડતો હતો. નજીકમાં એક પાળ પર ત્રણેક સિનિયર ભાઈઓ બેઠેલા જોયા એટલે અમે સરનામું પૂછવા કાર એમની નજીક લઈને બારીનો કાચ ઉતાર્યો.
‘ભાઈસા’બ, યે હૉટેલકા પતા આપ બતાએંગે?’
‘મોહતરમા, ભોપાલ શહરમેં આપકા સ્વાગત હૈ. મેરા નામ ફલાણા ઢીંકણા હૈ.’(અમારે તો ખાસ યાદ રાખવું જોઈતું હતું પણ કોઈને જ યાદ ના રહ્યું!)
‘જી નમસ્તે.’
‘મૈં કવિ હૂં. ચંદ શેર સુનાતા હૂં. મુલાહિઝા ફરમાઈયે.’

અમે એકદમ સડક જ થઈ ગયાં. બાપ રે! ભોપાલમાં દાખલ થતાં જ? ન ઓળખાણ ન પિછાણ ને એકદમ આવો હલ્લો કોઈ પર કરાય? અમે બહુ શાલીનતાથી ના કહીને ગાડી ભગાવી ગયાં. ભલે ખોટા રસ્તે જઈશું પણ ભૂખ્યા પેટે ને અજાણ્યા શહેરમાં ને તેય રસ્તાની વચ્ચોવચ ગાડીમાં બેઠાં બેઠાં શેર સાંભળવાના? એ કવિએ અમારા પર કંઈક તો દયા કરવાની હતી ને? શું એ ત્રણેય પૂરતા નહોતા એકબીજાને પહોંચી વળવા? કોણ જાણે. અમે તો પછીથી હસતાં હસતાં હૉટેલ પહોંચ્યાં. રૂમમાં જઈને જોયું તો બારીમાંથી જ સામે રંગીન રોશનીથી તરબતર તળાવ દેખાતું હતું. વાહ ભોપાલ વાહ!



રવિવાર, 4 માર્ચ, 2018

એમ પી ટુર–(૭) લાની લુપમતીકા મહેલ’



માંડુ એટલે માંડવગઢ. એક જમાનાનું ‘શાદિયાબાદ’ અને શાદિયાબાદ એટલે આનંદનગર. અહીં તો રૂપમતી અને બાઝબહાદુરની એ મશહૂર પણ દુ:ખદ પ્રેમકથાએ જનમ લધો હતો, જે ન તો એમની શાદી સુધી પહોંચી અને ન તો સુખદ અંત સુધી. કોઈ જ આબાદ ન થયું. જો બહુ ધ્યાનથી આ મહેલના એક એક ખૂણે ફરી વળીએ તો અહીંની હવાઓમાં એમના કરુણ, મધુર પણ બરબાદીના સ્વરો ગુંજતા રહેતા હોય એવો ભાસ થયા કરે. આ મહેલ જોવા ને એની સ્ટોરી જાણવા તો ત્યાંના ગાઈડને સાથે રાખવો જરૂરી હતો. આવા સ્થળે તો જોઈએ તેટલા ગાઈડ મળે.
‘આપણે ભૂલ કરી. પેલા શરબતની લારીવાળાને જ આપણે ગાઈડ તરીકે લઈ આવવાનો હતો. એની ખાસ સ્ટાઈલમાં રૂપમતીની સ્ટોરી જાણવાની મજા આવતે.’
‘હા, પણ અહીં રજિસ્ટર્ડ ગાઈડ હોય ને તો સારું પડે. જરા વ્યવસ્થિત ઈતિહાસ જાણતા હોય ને ફોરેનના ટુરિસ્ટોને ઈંગ્લિશમાં પણ સમજાવી શકે એવા હોય તેને જ લાઇસન્સ મળે.’
‘હા પણ મજા તો પેલા લહેકાવાળા સાથે જ આવે ને?’ મને થોડો અફસોસ રહી ગયો.

ખેર, અમારો ગાઈડ અમને મહેલના ખૂણે ખૂણે ફેરવીને દરેક દરવાજા, ઝરુખા ને ગુંબજ કે થાંભલાનુંય રસાળ શૈલીમાં વર્ણન કરીને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરતો હતો. (ગાઈડ ‘ર’ને બદલે ‘લ’ બોલતો હતો તે સ્પષ્ટ જણાતું હતું! હવે આમાં અમાલાથી એની વાતો પર ગંભીલ કઈ લીતે લહી શકાય? એ જ્યાલે બાજબહાદુલ ને લુપમતીની વાલ્તા કલતો હોય ત્યાલે?) એ બધા શબ્દો સ્પષ્ટ બોલતો હતો એનો મતલબ એ કે, એને ‘ર’ બોલતાં કોઈએ નહોતું શીખવ્યું. નાનપણમાં જલુલ કોઈએ બોબડું શીખવ્યું હશે. તો પછી એ ગાઈડ કઈ લીતે બન્યો? (હવે મારામાં ખામી એ કે મારાથી આવી વાતમાં હસવું રોકાય નહીં અને હું આજુબાજુ જઈને પણ છૂટથી હસી લઉં. મને જોઈને મારી સાથેવાળાં પણ હસવું રોકી ના શકે. વળી પાછી એકદમ સિરિયસ થઈને વાતમાં જોડાઉં પણ ફરી ફરીને એવું જ સાંભળું એટલે માલાથી ફલીથી હસી પડાય!)

ગાઈડને કદાચ સમજ નહોતી પડતી અથવા પછીથી સમજી ગયો હોય તેમ બિચારો લજવાઈ ગયો કે કોણ જાણે પણ એણે પછીથી બહુ ગંભીર રહીને અમને મહેલમાં ફેરવ્યા. ખાનગીમાં બધાં મારા પર તૂટી પડ્યાં પણ આમાં મારો કોઈ વાંક હતો? ફિલ્મોમાં આવી જ કૉમેડીની આપણે મજા લઈએ ને હું હસી તો ગુનો બની ગયો? માન્યું કે, ગાઈડની સામે નહોતું હસવું જોઈતું પણ આવી વાતમાં કંટ્રોલ કેવી રીતે ને કેટલોક રહે? ખેર, અમે રૂપમતી માટે જ બનેલા આ ખાસ મહેલમાં શું શું જોયું?

જમીનથી ખાસ્સી ઊંચાઈએ આવેલા આ મહેલની છત પર સામસામે રહેલી બે છત્રી બહુ આકર્ષક છે. એમ લાગે કે જાણે સામસામે બેસીને રાજા અને રાણી સંગીતની મહેફિલ જમાવતાં હોય. અથવા તો એક છત્રીમાં રાણી ઊભી રહીને દૂરથી ઘોડા પર સવાર થઈને આવતા એના પ્રેમીને મન ભરીને નિહાળતી હોય ને બીજી છત્રીમાં સાજિંદાઓ એના રિયાજ કરવાની રાહ જોતાં બેઠા હોય, આ રાણી કયારે રિયાજ કરવાની? રાણી તો એના પોતાનાં જ ગીતોમાં મગન બનીને દૂર એના પ્રિયતમને પોકારતી હોય,
‘લૌટકે આ...લૌટકે આ...લૌટકે આ.
આ લૌટકે આજા મેરે મી...ત, તુજે મેરે ગીત બુલાતે હૈં.’

આ પ્રેમકથા કહેવાની પણ દરેકની પોતાની સ્ટાઈલ તો ખરી જ પણ આટલાં વરસોમાં તો ઘણાએ એને મારીમચડીને નવી જ કથા બનાવી દીધેલી! બાજુમાં ઊભેલો ગાઈડ બોલતો હતો, ‘રાની રૂપમતી ઔર બાજબહાદુરકા રિશ્તા ભાઈ બહેનકા થા.’ અલા ભલું થાય તારું ગાઈડભાઈ! આટલું મોટું ગપ્પું? ઈતિહાસના ચોપડા ભરેલા છે ને ફિલ્મો પણ બની છે, ને નાટકો પણ ભજવાયાં છે આ પ્રણયકથાનાં તો. રુપમતી તો કવયિત્રી પણ હતી તે એનાં પ્રણયગીતોથી સાબિત થાય છે. એનું પુસ્તક પણ બહાર પડેલું અને તું છેક જ આમ ગપ્પાં મારે?

રાજા જ્યારે શિકારે નીકળેલો ત્યારે જંગલમાં આ ભરવાડ/ વૈષ્ણવકન્યાના રૂપ સાથે એનાં ગાનથી પણ ઘાયલ થયેલો અને એને પ્રસ્તાવ મોકલેલો ત્યારે આ કન્યાએ શરત મૂકેલી કે ‘મને રોજ નર્મદાનાં દર્શન ને પૂજન કરવા મળે તો જ હું તારા મહેલે આવું.’ ત્યારની છોકરીઓ પણ શરત વગર પરણતી નહીં! બહાદુર કહેવાય. રાજાને તો શો વાંધો હોય? એણે રેવાકુંડ બનાવડાવીને છેક ઊંચે મહેલમાં નર્મદાનું પાણી પહોંચાડ્યું. બન્ને સંગીતના રસિયા જીવ એટલે સંગીતને જ સમર્પિત રહ્યાં. રૂપમતીનો પ્રેમ શુધ્ધ હતો અને એ દિલથી રાજાને ચાહતી હતી એટલે એણે લગન કરવાની ના પાડી તો રાજાએ પણ એના પ્રેમનો સ્વીકાર કર્યો. કોઈ વાર્તામાં બન્નેને પરણેલાં પણ બતાવ્યાં છે. હશે હવે, ઈતિહાસ તો ઈતિહાસ જ હોય. જોવા કોણ જવાનું? ને એ વાત પર હવે કોણ લડાઈ કે ચડાઈ કરવાનું? એટલે બધું ચાલે એમ સમજીને જે ગાઈડ જે કહે તે માન્ય રાખવાનું ને ન માનવું હોય તો થોથાં લઈને બેસી જવાનું અથવા તો, હવે તો ગૂગલબાબા પણ ઘણી વાર્તાઓ સંઘરીને બેઠા છે. તેમને શરણે જવાનું.

એક તો નાનકડા પ્રદેશનો નાનકડો રાજા અને તેમાં પાછો સંગીત અને રાણીના પ્રેમમાં ઘવાયેલો એટલે તેને જીતી લેવો બહુ આસાન સમજીને જ રાજા અકબરે પોતાના સરદારને લડવા મોકલ્યો. સ્વાભાવિક છે કે, બાજબહાદુર નામ હોવા છતાં એ હારવાનો જ હતો. રાજા ભાગીને બીજા રાજાની મદદ લેવા ગયો પણ કોઈ અર્થ ના રહ્યો અને પેલો સરદાર અધમખાન માંડવગઢમાં દાખલ થઈ ગયેલો. રાણીનાં રૂપની ખ્યાતિ સાંભળીને એ રૂપમતીને પરણવા તૈયાર થઈ ગયો. ત્યારની રાણીઓ આત્મસમ્માનવાળી ને ચાલાક પણ હતી. એણે સરદારના લગ્નના પ્રસ્તાવને મંજુરી તો આપી પણ મૃત શરીર સાથે કોણ લગ્ન કરે? આમ વાર્તા જાણ્યા પછી તો, એક રાજા અને રાણીની ઘુંટાયેલી વેદના અહીંની હવાઓમાં આપણને સતત મહેસુસ થયા કરે.

આખલે ગાઈડે એની વાલતા પૂલી કલી ને અમે હસતાં હસતાં મહેલની ટેકલી ઊતલી ગયાં.

રાણી રૂપમતીનો મહેલ
રાણીના મહેલની મશહૂર છત્રી

રેવાકુંડ