રવિવાર, 3 મે, 2020

સંગીતની દુનિયાની ઝલક–ચલ મન મુંબઈ–૩


ઓપેરા હાઉસના જાદુમાંથી જેમ તેમ બહાર નીકળવાની કોશિશ કરતાં હતાં ત્યાં જ, નજીકમાં જ આવેલા ‘પંડિત પલુસ્કર ચોક’ આગળ અટક્યાં. ભારતીય સંગીતને આપેલા માતબર પ્રદાનની યાદ એમના નામે આ ચોક આપી રહ્યો છે. અહીંથી રોજના હજારો લોકો પસાર થતાં હશે પણ પંડિત પલુસ્કરને ઓળખનાર કેટલાં? જો કે, ખોટું શું કામ કહેવું? અમે પણ પહેલી વાર જ આ નામ જાણ્યું. પણ જાણ્યા પછી તો આ ચોક પર ધરાઈને નજર ફેરવી. કેવા કેવા ઉસ્તાદ, સંગીતના ખાં અહીં રહ્યા હશે, એમના જેવા જ બીજા ઉસ્તાદોએ ભેગા મળીને અહીંના વાતાવરણને સુરીલું બનાવવા સાથે કેટલાય લોકોને સમૃધ્ધ કર્યા હશે! આંખ સામે એ વિરલ દ્રશ્યનો વિચાર આવતાં જ નજર સામે  ફક્ત ચોક જ રહી ગયો ને આજુબાજુની દુનિયા ધુંધળી બનતી ગઈ.

આ પંડિતનું નામ રોશન કરનાર એક હોનહાર શિષ્ય હતા પ્રોફેસર બી આર દેઓધર. મહારાષ્ટ્રના નાનકડા ગામમાંથી સંગીત શીખવાની નેમ સાથે નીકળેલા દેઓધરે શરૂઆત જ મોટા ગુરુની પાસે તાલીમ લેવાથી કરી. જાણીતા ગાયક વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગુરુભાઈ નીલકંઠબુવા અલુરમઠ, જેઓ ખુદ ગ્વાલિયર ઘરાનાના બાલક્રુષ્ણબુવાના શિષ્ય હતા એમની પાસે તાલીમ લીધી. પછી તો એક પછી એક ઘરાનાના ઉસ્તાદોના હાથ નીચે તાલીમ ચાલુ જ રહી. એમાં કિરાના ઘરાનાના અબ્દુલ કરીમ ખાન અને પલુસ્કરના જ બીજા શિષ્ય વિનાયકરાવ પટવર્ધને એમની કલાને નિખારી. જયપુર અને ગોખલે ઘરાનાના ઉસ્તાદો સિવાય પતિયાલા ઘરાનાના બડે ગુલામઅલી ખાંસાહેબ પાસે પણ શિક્ષા મેળવી. અધધ કહી શકાય એવો ખજાનો ખૂલી રહ્યો હતો અને મન માનવા તૈયાર નહોતું કે કોઈ કેવી રીતે આટલું બધું એક જ જનમમાં મેળવી શકે? લોકો તો નાકની દાંડીએ સીધે સીધા ચાલીને જિંદગી પૂરી કરે, ત્યારે આવા વિરલ લોકોના શોખને કે જ્ઞાન મેળવવાની ઈચ્છાને કોઈ અંત જ ન હોય!

એમણે વિષ્ણુ દિગંબર પલુસ્કરની ‘ગંધર્વ મહાવિદ્યાલય’માં પ્રવેશ મેળવ્યો. પ્રવેશ ન મળત તો જ નવાઈ. એમની આવડતે એમને પટ્ટશિષ્યનો દરજ્જો આપ્યો. દેઓધર એમના ગુરુના એક માત્ર શિષ્ય હતા જેમણે ભણતર સાથે સંગીતની ઉપાધિ પણ મેળવી. જુદા જુદા ઘરાનાની તાલીમ એમને ખૂબ ફળી. સિતાર અને સારંગીની તાલીમ પણ ગાયકીની સાથે ચાલુ જ રહી. બડે ગુલામ અલી ખાંસાહેબ સાથે વરસો જોડાયેલા રહીને સંગીતની ખૂબ સેવા કરી. પછીથી  પોતે જ એક જાણીતા સંગીતકાર બની રહ્યા. એમણે ઘરાનાઓની પરંપરાથી અલગ રહીને અહીંની ગલીઓના મેળાપ આગળ ‘દેઓધર સંગીતશાળા’ શરૂ કરી. કારણ? પહેલાં જે સંગીત શીખતાં તેમને સમાજમાં ખાસ કોઈ દરજ્જો મળતો નહીં. સામાન્યમાં સામાન્ય લોકોને પણ જો સંગીત શીખવું હોય તો કોઈની સામે જોઈ ન રહેવું પડે એ જ આશયે આટલા મોટ ગુરુના શિષ્ય રહી ચૂકેલા અને ખુદ એક મોટા ગાયક–સંગીતકાર બની ચૂકેલા અદના માનવીએ પોતાનાં મૂળિયાં પકડી રાખ્યા.

પંડિત દેઓધર સંગીતના સામયિકોના તંત્રી બન્યા, સંગીત ને સંગીતકારો વિશે કેટલાંય પુસ્તકો લખ્યા અને અવિરત સંગીતની સેવા કરતા રહ્યા. કુમાર ગંધર્વ, સરસ્વતી રાણે અને લક્ષ્મી ગણેશ તિવારી એમના જાણીતા શિષ્યો હતા. અમારો ગાઈડ વાતો કરતાં કરતાં બહુ ભાવુક બની જતો કારણકે એ પણ મહારાષ્ટ્રિયન હતો અને આર્કિટેક્ટ હોવા છતાં સંગીત અને કળામાં ઊંડી દિલચસ્પી ધરાવતો હતો.

‘તમે જાણો છો કે જાણીતા મરાઠી કલાકાર બાલ ગંધર્વે અહીં નાટક કરેલાં?’ ઓપેરા હાઉસ તરફ આંગળી ચીંધતાં એણે ફરી એક વાર રૉયલ ઓપેરા હાઉસની યાદ તાજી કરી. બાલ ગંધર્વ સ્ત્રીના વેશે જ સ્ટેજ પર આવતા અને સ્ત્રીના અવાજમાં જ સંવાદો બોલતા. જેમને મરાઠી ન સમજાતું તે પણ અહીં આવતાં! કેમ? તો બાલ ગંધર્વના બ્લાઉઝની સ્ટાઈલ જોવા દરજીઓ અને સ્ત્રીઓ ખાસ આવતી અને તે જ તે સમયની આધુનિક ફેશન બની જતી! આપણાં સ્વરસામ્રાજ્ઞી લતાદીદીના શરૂઆતના શોમાંનો એક જાહેર શો ઓપેરા હાઉસમાં પણ થયેલો!’

આગળ ચાલતાં એક સો વરસ જૂની લૉજ આગળ અમે ઊભાં. અટપટું નામ ‘બ્લાવાત્સ્કી લૉજ’ પણ ઈતિહાસ તો એનો અદ્ભુત. અંગ્રેજોએ ભારતની ઘણી ઈમારતોમાં ભારતીય શૈલી સાથે મોગલાઈ શૈલીનું મિશ્રણ કરેલું. આ લૉજમાં પણ એવું જ મિશ્રણ હતું. ખ્રિસ્તી ધર્મની વાતો કરવાનું આ મહત્વનું મથક બની ગયેલું. પછીથી ઓગણીસસો ને ચોંત્રીસમાં આ લૉજ અહીં હિન્દુસ્તાની સંગીત પીરસનાર જાણીતું સ્થળ બન્યું, જ્યાં ત્રણ ઘરાનાના દિગ્ગજ કલાકારોએ એક સાથે પોતાનો કાર્યક્રમ પણ રજૂ કરેલો! જાણીતાં શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈ કેરકરને રવીન્દ્રનાથ ટાગોરે ‘સુરશ્રી’નો ખિતાબ આપેલો, એમનાં ઘણાં ગીતો આ લૉજમાં રેકોર્ડ થયેલાં! આજે કોઈ કલાકાર આ રીતે રેકોર્ડિંગ કરવા તૈયાર થાય? આ લૉજમાં રેકોર્ડિંગની ઘણી સારી સગવડ હોવાને કારણે અહીં ઘણા કલાકારો ભેગા પણ થતાં અને લૉજને અમર કરવામાં પોતાનો ફાળો પણ નોંધાવતા. જે પહેલું વોયેજર સ્પેસક્રાફ્ટ હતું તેમાં બાર ઈંચની એક તાંબાની રેકોર્ડ મોકલાયેલી અને એના પર બિથોવન તથા મોઝાર્ટના સંગીત ઉપરાંત ભારતની એક માત્ર કેસરબાઈના અવાજની યાદો કોતરાયેલી હતી! એ ગીત હતું, ‘જાત કહાં હો?’

અમને સતત મનમાં થતું હતું કે આટલાં વરસો મુંબઈમાં રહીને આપણે શું કરેલું? બસ, જુહુ ને ચોપાટી ને નેશનલ પાર્ક ને આરે કૉલોની સિવાય કંઈ જોયું જ નહીં? બહુ બહુ તો વિહાર લેકના બૂટ હાઉસમાં ચક્કર મારી આવતાં કે હેંગિંગ ગાર્ડનમાં ટહેલી આવતાં! આપણી પાસે કેટલાં વરસો હતાં ને મહિનાઓ ને દિવસો પણ! આખું મુંબઈ ફેંદી કાઢત તો પણ કદાચ પુરું ન થાત પણ આજના જેવો અફસોસ તો ન રહેત. મહેમાન આવે તો પણ એમને આ જ બધી જગ્યાએ ફેરવવાના, એ જ બધું ખવડાવવાનું જે વખણાતું હોય ને મહેમાન ખાસ એ જ ખાવા આવ્યાં હોય જાણે! દર અઠવાડિયે ફિલ્મો જોવાને બદલે એકાદ શનિ–રવિ આવી જગ્યાઓ શોધી શોધીને ફર્યાં હોત તો કે દિવસના ધન્ય થઈ જાત. ખેર, હજીય મોડું નથી થયું. જે જોયું બહુ છે, જેટલું માણ્યું અધિક જ છે. આજે પણ અહીં ન આવત તો?

ચાલો, હજી તો બે જ જગ્યા જોઈ ને આટલા જલસા થયા છે તો બાકી રહેલી જગ્યાઓમાં તો કેવોક ખજાનો હશે!

ગુરુવાર, 16 એપ્રિલ, 2020

‘ચલ મન મુંબઈ’ (૨)


‘ઓપેરા હાઉસ’! એક ભવ્ય થિએટર, એક ભવ્ય મકાન અને ક્યારેય ભૂલી ન શકાય એવી યાદોનું જાણીતું સરનામું એટલે ઓપેરા હાઉસ. કેટલાંયે વરસો પછી ફરી એક વાર અમે ઓપેરા હાઉસની સામે ઉભા હતાં. અમે એટલે હું અને મારી બહેન પારુલ. બહુ નાનપણથી અમે અહીં સહકુટુંબ ફિલ્મો જોવા આવતાં. વિશાળ અને આલિશાન હૉલની આરામદાયક ખુરશીઓની સામે મોટું સ્ટેજ તો જાણે કોઈ નાટકની રજુઆતની તૈયારીમાં હોય એવા સુંદર રેશમી પડદાઓથી સજાવેલું રહેતું. કદાચ મરૂન રંગના, સોનેરી ઝાલરવાળા જ પડદા હતા. જૂની ફિલ્મોમાં આવતી એવી બૉક્સ બાલ્કનીમાં અમે હોંશે હોંશે બેસતાં ને દૂર પડદો ક્યારે ખૂલે તેની રાહ જોયા કરતાં. બેઠક વ્યવસ્થા પણ એટલી વ્યવસ્થિત કે હૉલના કોઈ પણ ખૂણે બેઠેલાને આખું સ્ટેજ દેખાય અને સિલિંગની કરામતને કારણે ઝીણામાં ઝીણો અવાજ પણ સ્પષ્ટ સંભળાય. અમે તો ઈન્ટરવલમાં પપ્પા પોપકોર્ન લાવશે કે આઈસક્રીમ તેની રાહ જોતાં દરવાજે આંખો માંડી રહેતાં. સપનાંની દુનિયામાં લઈ જવા તૈયાર એવી જ કોઈ મજાની ફિલ્મ જોઈને નીકળતી વખતે અમારાથી તો ઠાઠથી જ ચલાઈ જતું. જાણે કોઈ રાજા મહારાજાના દરબારમાંથી નીકળ્યાં! જો કે, આજે અમે એ દરબારની બહાર ઊભા હતાં.

આજે અમારે કોઈ ફિલ્મ જોવાની નહોતી કે એ મકાનમાં પ્રવેશવાનું પણ નહોતું. ફક્ત બહાર ઊભા રહી એનો ઈતિહાસ અને વર્તમાન જાણવાનો નાનકડો પ્રયાસ કરવાનો હતો. જુદી જુદી જગ્યાએથી આવેલા, ચડતી–ઊતરતી ઉંમરના અમે તેર જણ સવારમાં નવ વાગ્યે ત્યાં ગાઈડની સામે હાજર થઈ ગયેલાં. અમને શોખ હતો આ ગલીઓ, આ મકાનો નજરે જોવાનો, મનોમન એ ભૂતકાળમાં ખોવાઈ જવાનો અને એની ભવ્ય કહાણીઓ સાથે ઓતપ્રોત થવાનો. અઢી કલાક સુધી સૌ અમારા ગાઈડની સાથે એ જ્યાં કહે ત્યાં ચાલવા અને ઊભા રહેવા તૈયાર હતા. જો એ કહે કે ‘આ સ્વર્ગ છે’ તો અમે એને સ્વર્ગ માની લેવા પણ તૈયાર હતાં.


મુંબઈના ચર્ની રોડ સ્ટેશન પર ઊતરી કોઈને પણ પૂછો, ‘ઓપેરા હાઉસ?’ એટલે બતાવેલી દિશામાં આપણે ચાલવા જ માંડવાનું. ફક્ત એક કિલોમીટરના અંતરે જાણીતા વિસ્તાર ગિરગામ પહોંચો એટલે ઓપેરા હાઉસ પહોંચ્યા જ સમજો. અરે, આ તો આખો વિસ્તાર જ કોઈ મકાનના નામે ઓળખાય. નજીક આવેલા બસ સ્ટેન્ડનું નામ પણ ઓપેરા હાઉસ! બસમાં અહીં આવવા માટે ટિકિટ કઢાવવી હોય તો? ‘એક ઓપેરા હાઉસ દેના’ બોલાય. આહા! બોલવામાં પણ કેટલી બાદશાહી લાગે.

અહીં ઊભા રહીને અમારી સાથે સૌએ ભૂતકાળમાં છલાંગ લગાવી. મુંબઈ સાંસ્કૃતિક શહેર તરીકે ટોચ પર હતું ત્યારની વાત. સન ઓગણીસસો ને આઠની સાલ. કલકત્તાના જાણીતા કલાકાર મૉરિસ બૅન્ડમૅન અને મુંબઈના પારસી વેપારી જહાંગીર ફ્રામજીએ ભેગા મળીને અહીં જગ્યા ભાડે લીધી ને નાટકનું થિયેટર ઓપેરા હાઉસ ઊભું કર્યું ઓગણીસસો ને અગિયારમાં. હજી કામકાજ ચાલુ હતું ત્યારે અંગ્રેજ રાજા જ્યોર્જ પંચમે એનું ઉદ્ઘઘાટન કરી નાંખ્યું એટલે નામની આગળ છોગું લાગ્યું, ‘રૉયલ’ અને એમ એ બન્યું ‘રૉયલ ઓપેરા હાઉસ.’ જો કે, ઓગણીસસો પંદર સુધી એમાં કંઈક ને કંઈક સુધારાવધારા થતા જ રહ્યા. શરૂઆતમાં ફક્ત એમાં જાણીતા નાટકના કે સંગીતના પ્રયોગો જ થતા, પછીથી ફિલ્મોએ પણ પ્રવેશ કર્યો અને ત્યાર પછી તો બોલીવુડે એવું આક્રમણ કર્યું કે એ ફિલ્મી થિયેટર જ બની રહ્યું. અહીં મોટી મોટી ફિલ્મોના ભવ્ય અને ભપકાદાર પ્રિમિયર શો થતા. જ્યારે ચાહકોની ભીડ વચ્ચેથી એમના પ્રિય કલાકારો શાનથી પસાર થતા ત્યારે ચાહકોનાં દિલ ઝૂમી ઊઠતાં. પ્રિમિયરમાં હાજરી આપવી કે ઓપેરા હાઉસમાં ફિલ્મ જોવી, એક અણમોલ લહાવો બની રહેતો.

જાણીતા કલાકારોમાં તો બાલ ગંધર્વ, કૃષ્ણ માસ્ટર, બાપુ પેંઢારકર, માસ્ટર દિનાનાથ, જ્યોત્સ્ના ભોલે, પટવર્ધન બુવા, પૃથ્વીરાજ કપૂર અને લતા મંગેશકરે પોતાની કળાની સુવાસ આ હૉલમાં પ્રસારેલી અને પોતાનાં નામ ઓપેરા હાઉસ સાથે કાયમ માટે અમર કરી દીધાં હતાં. પછી તો માલિક બદલાયા અને ઓગણીસસો ને પાંત્રીસમાં આઈડિયલ પિક્ચર્સે ઓપેરા હાઉસની મરમ્મત કરી અને નવી ટાઈલ્સ ને રંગરોગાનથી એને ચમકાવ્યું. ઓગણીસસો ને એંસીમાં વિડિયો ફિલ્મોએ થિયેટરોને એક પછી એક બંધ થવા મજબૂર કર્યા. એની ઝપટમાં આટલું ભવ્ય થિયેટર ન આવે તો જ નવાઈ. આટલા મોટા મકાન અને ભવ્ય થિયેટરને જાળવવાનો અધધ ખર્ચો કોણ કરે? મકાનની દિવાલોનો રંગ ઊખડી ગયો, પડદા ફાટી ગયા, જીવજંતુ અને ઉંદરોના આક્રમણ સામે આ થિયેટર ખંડેર અને એની દુ:ખદ કહાણી બનવાની તૈયારીમાં હતું ત્યાં જ?

ભલું થજો ગોંડલના મહારાજા વિક્રમસિંહનું જેમણે આ થિયેટર વેચાતું લઈ લીધું અને એમના દીકરા જ્યોતીન્દ્રસિંહે બે હજાર ને દસમાં તદ્દન જર્જરિત થઈ ગયેલા ઓપેરા હાઉસને ફરીથી એના મૂળ રૂપે બેઠું કર્યું. કાચનાં બે સુંદર મોટા ઝુમ્મર, જે ડૅવિડ સાસૂનના કુટુંબે અહીં ભેટ આપેલા તે આ થિયેટરની શોભા વધારતાં હતાં. પ્રવેશદ્વારના ગોળ ગુંબજ પર આઠ ભાગમાં કળાના દરેક ક્ષેત્રના કલાકારોને અંજલિ અપાઈ. પછી તો સાંસ્કૃતિક વારસામાં ઓપેરા હાઉસનો સમાવેશ થયો અને એની જાળવણીની કાળજી લેવાઈ તો લોકોને ફરી એક વાર આ ભવ્ય મકાનને એ જ અવતારમાં જોવાનો લહાવો મળ્યો.

ઓપેરા હાઉસનો આ દબદબો કે આ ઈતિહાસ અહીં આવ્યા વગર જાણી શકત ખરાં? કદાચ અહીંતહીંથી માહિતી મેળવીને જાણી પણ લેત તોય એની સામે ઊભાં રહીને મુગ્ધ બનીને એને જોતાં જોતાં એની અદ્ભુત વાતો સાંભળવાની મજા લઈ શકત ખરાં? નહીં જ વળી. એના માટે તો જાતે જ ઓપેરા હાઉસ જવું પડે. ચાહે બહાર ઊભા રહીને મકાનને જોયા કરો અથવા ભલે એક વાર થોડા પૈસા ખર્ચાય પણ અંદર ફરવાનો ને થિયેટરની દિવાલોને સ્પર્શવાનો, એની ખુરશીમાં બેસવાનો અને ત્યાં એકાદ ફિલ્મ જોવાનો લહાવો લઈને સ્વર્ગની અનુભૂતિ કરવામાં કંઈ ખોટું છે?

કોઈક વાર આ લહાવો પણ લઈશું. હવે બીજી ઈમારતની કહાણી પણ આવી જ હશે? કોને મળશું? ક્યાં લઈ જશે આ ગાઈડ? ચાલો જઈએ તો ખરાં.

ગુરુવાર, 19 માર્ચ, 2020

ચલ મન મુંબઈ–૧


મુંબઈ. એક અમર શહેરનું લોભામણું નામ. મુંબઈ, ભવ્ય ઈતિહાસ ને રંગીન ભૂતકાળ સાથે લઈને ચાલતું,  સતત પ્રવૃત્તિથી ધમધમતું ને અસંખ્ય અજાયબીઓથી છલકાતા વર્તમાનને સાથે લઈને ચાલતું રંગીલું શહેર. ઈલેક્ટ્રિક ટ્રેનના પાટા પર ચોવીસ કલાક દોડતું, ધબકતું આ શહેર, જેનું નામ પડતાં જ અરબી સમુદ્રની લહેરો પગમાં આળોટવા માંડે અને ચોપાટીની ભેળથી માંડીને પાંઉભાજીના સ્વાદ જીભ પર સળવળવા માંડે. ફિલ્મી કલાકારોને જોવા કે મળવાના અરમાનો સાકાર કરવા ઊંચાનીચા થતાં ચાહકોની તપસ્યાની કહાણીઓ અહીં જ રચાય અને સાથે જ ઘર કે નોકરી શોધનારાઓની હડિયાપાટી પણ અહીં જ નજરે ચડે.

એમ તો મુંબઈ વિશે એટલું બધું લખાયું છે, કહેવાયું છે અને જોવાયું પણ છે કે એની વાતો લખવાનું મારું ગજું નહીં. એટલે જ શરૂઆત જરા ભારે શબ્દોથી કરી જોઈ પણ ફાવ્યું નહીં એટલે જે વાત કરવી છે તે જ સીધી માંડી દઉં. માયાનગરી કહેવાતી આ નગરીની અસંખ્ય ફિલ્મો, અસંખ્ય વાતો અને એનાં અસંખ્ય પુસ્તકો થવા છતાંય હજીય ન ખૂટે એવી વાતો મુંબઈ પોતાનામાં સમાવીને બેઠું છે. મુંબઈના આ નાનકડા પ્રવાસમાં આપણે મુંબઈના એવા વિસ્તારની વાતો કરશું જેની વાતો જાણ્યા પછી, અચૂક એ વિસ્તારની મુલાકાત લેવાની લાલચ થઈ જ જાય. શરત માત્ર એટલી જ કે, આ વિસ્તારની મુલાકાત લેવાની ઈચ્છા રાખનારને મુંબઈના સાંસ્કૃતિક વારસામાં રસ હોવો જરૂરી છે.

ફક્ત બે કિલોમીટરના આ વિસ્તારમાં આવેલી અમુક જાણીતી અને અમુક અજાણી ઈમારતોને જોઈને જ રુંવાડાં ઊભા થઈ જાય! કેવી કેવી ધુરંધર હસ્તીઓ અહીં પોતાની કળાનો ઝંડો લહેરાવી ગયેલી! કેવો એમનો દબદબો અને શી એમની લોકચાહના! એક જ વાર એ ગલીઓની મુલાકાત લો તો તમને દિવસો સુધી ચેન ન પડે અને એ વાતો તમારા દિમાગમાંથી નીકળે નહીં એની ખાતરી છે. બસ, શરત એટલી જ કે તમને સાહિત્યમાં, સંગીતમાં, નૃત્ય, મૂર્તિ...અરે કહો કે કોઈ પણ કળામાં રસ હોવો જરૂરી છે. તમે ફક્ત મનોરંજન ખાતર કે ફરવા ખાતર જો આ ગલીઓમાં ફરવાના હો તો થોડી વારમાં જ કંટાળી જશો એની પણ ખાતરી.

અમુક ઈમારત આગળ ઊભા રહીને, અમુક ઈમારતોમાં પ્રવેશીને ને અમુક ઈમારતોને દૂરથી જોઈને તમે તમારા પ્રિય કલાકારોને નમન, વંદન કરી જ લેશો એની પણ મને ખાતરી છે પણ શરત માત્ર એટલી જ કે...હા, વારે વારે શરત એટલા માટે રાખવી પડે કે જો તમે લતા મંગેશકરથી માંડીને કેસરબાઈ કેલકર, બાલ ગંધર્વ, રાજા રવિ વર્મા અને અને એમ વી ધુરંધરનાં જાણીતાં મોડેલ અને ખુદ જાણીતાં ગાયિકા અંજનીબાઈ માલપેકર વિશેની રોચક વાતો જાણવા માગતાં હો, મંટો જે જગ્યાએ રહેતા અને જે પુલ પરથી આવજા કરતા એ પુલ પર ચાલવાનો રોમાંચ માણવા માગતાં હો, જે સ્ટુડિયોમાં આલમ આરા ફિલ્મ બનેલી અને જ્યાં શહેનશાહ પૃથ્વીરાજ કપૂરથી માંડીને મહેબૂબ ખાન સહિત મંટોએ પણ પોતાનાં કામની શરૂઆત કરેલી એ સ્ટુડિયોને નજરે જોવા ચાહતાં હો તો જ તમને આ ગલીઓમાં અને આ લેખમાળામાં પણ રસ પડશે.

શિરડીના સાંઈબાબાની મૂર્તિ ક્યાં બનેલી જાણો છો? ભઈ, આપણે તો શિરડી જવા સાથે ને દર્શન–પ્રસાદ સાથે કામ. એ મુર્તિ કોણે બનાવી એમાં કોને રસ હોય? જો કે, એ મુર્તિમાં શિલ્પકલાકારને રસ હોય, ચિત્રકારને રસ હોય અને કોઈ પણ કલા કે કલાકારમાં રસ હોય એટલું જ પૂરતું હોય તો તમને આ દુનિયાભરના ભક્તોમાં પૂજાતી મૂર્તિ જ્યાં બનેલી એ સ્ટુડિયોમાં પણ એટલો જ રસ પડવાનો. કલાકો નીકળી જાય ત્યાંની અદ્ભુત મૂર્તિઓને જોતાં પણ જો તમારી પાસે એટલા કલાકો હોય તો તો આનંદ જ આનંદ.

નવાઈ તો ત્યારે લાગી, એવા ભારતીય ફોટો સ્ટુડિયોને જોઈને જેની સૌ પ્રથમ લંડનમાં શાખા ખૂલેલી ને જ્યાં અમે પણ ફેમિલી ફોટો પડાવવા જતાં! દિલ ખુશ થઈ ગયું. વાહ! બાળપણમાં અહીં ફોટો પડાવવા આવેલાં? કંઈક અજબ લાગણી સળવળી ગઈ. યાદ આવ્યું કે મોટા પૂંઠા પર ચોંટાડીને પારદર્શક કાગળ નીચે સચવાયેલો એ ફેમિલી ફોટોગ્રાફ અને નીચે વેન્ગાર્ડ લખેલું તો કેટલીય વાર જોયેલું! સ્મૃતિઓની દુનિયામાં અજાણતાં જ લટાર મારી લીધી.

ફરતાં ફરતાં એક ગલીમાં દૂરથી જ એક દુકાન જોઈ. વાજિંત્રોની દુકાન. સિતાર ને તંબૂરો, તાનપૂરો, તબલાં ને વાજાપેટી! એનાથી વધારે તો જોઈએ પણ શું ત્યારના દિગ્ગજ કલાકારોને? એમને એમના ચાહકોની તો ક્યારેય ખોટ નહોતી પડી અને એ કલાકારો પણ પોતાના ચાહકોને માટે શું કરતા? એક વાર એક બહુ મોટા કલાકાર એ દુકાનમાં પોતાને ગમતું વાજિંત્ર લેવા પ્રવેશ્યા. હવે વાજિંત્ર લેવા પહેલાં એને ચકાસવું પડે અને એના માટે દુકાનમાં બેસીને જ સૂર છેડવા પડે! દુકાનનો માલિક તો કલાકારને પૂરા માન સન્માન સાથે સાંભળતાં પોતાનું કામ કરતો હતો પણ સંગીતના સૂરો કંઈ છાના રહે? ફક્ત વાજિંત્રની ચકાસણી કરવામાં જ એવા સૂર લાગ્યા કે રસ્તે જતાં લોકોના પગ થંભી ગયા. ધીરે ધીરે લોકો દુકાનની સામે ભેગાં થવા માંડ્યાં અને જોતજોતામાં ત્યાં ખાસ્સી ભીડ થઈ ગઈ.

કલાકાર તો પોતાની ધૂનમાં મસ્ત હતો પણ લોકલાગણીને માન આપીને આખી રાત સંગીતની લહાણી કરતો રહ્યો. લોકો પણ પોતાના પ્રિય કલાકારને સાંભળવા આખી રાત ત્યાં જ ઊભા રહી ગયાં અને દિલથી સંગીત માણતાં રહ્યાં! આજે આવું શક્ય છે? આજે તો ચકચકિત કારમાં આવતા,  આજુબાજુ પહેલવાનોની ફોજ રાખીને દૂરથી ચાહકો તરફ હાથ હલાવી ફ્લાઈંગ કિસ આપીને ખુશ થતા કલાકારો(?) સઘળે દેખાય. તોય ગાંડા ચાહકો ટોળે વળીને અથડાતાં, કૂટાતાં એમની એક ઝલક પામવા કલાકો બરબાદ કરે! ખરા કલાકારો કોણ હોય એની ખબર હોય તો ને.

જો કે, આપણે તો એ મહાનુભાવોને મળવું છે ને એમને જાણવા છે, જેમણે મુંબઈની  ગલીઓને આબાદ કરેલી. તો હવે પછી મળતાં રહીએ ને માણતાં રહીએ આ લેખમાળામાં, મુંબઈના અદ્ભુત સાંસ્કૃતિક વારસાને.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2020

વૉટ્સઍપનું બેસણું

‘આથી જાહેર જનતાને જણાવતાં અમને હાશકારાની લાગણી થાય છે કે થોડા દિવસથી ડચકાં ખાતાં, સૌના લાડકા વૉટ્સ એપનું અચાનક જ દિવાળીના મેસેજોનો ભરાવો થતાં કોલેપ્સ થવાથી અવસાન થયું છે. ખરેખર તો, અમારા માટે એ માથાનો દુખાવો બની ગયેલું એટલે અમને એના જવાનો કોઈ અફસોસ નથી પણ સમાજના ડરે ને રિવાજને કારણે નવા વરસના છેલ્લા સોમવારે અમે વૉટ્સ એપનું બેસણું રાખ્યું છે. જે લોકો વૉટ્સ એપ વાપરતાં હોય તેમને આઘાત લાગશે  સ્વાભાવિક છે અને થોડો સમય પૂરતી તો (અમારા સિવાય) એની ખોટ સૌને લાગવાની જ છે એટલે નાછૂટકે અમે એનું બેસણું રાખ્યું છે. બેસણાંની વિગત નીચે જણાવી છે. એના સ્થાને હવે કોને રાજગાદી સોંપવી તે અમારા ફૅમિલીમાં કંકાસનું કારણ બન્યું છે. એમ કંઈ કોઈને પણ સિરે તાજ પહેરાવી દેવાય તો શું થાય, તેનો અનુભવ અમને સારી પેઠે થઈ ગયો હોવાથી, હવે તો રાજગાદી માટે યોગ્ય ઉમેદવાર ન મળે ત્યાં સુધી અમે બેસણાંની વિધી પતાવી લેવા માગીએ છીએ. જે ઉમળકાથી તમે એને અવારનવાર મેસેજોથી છલકાવી ને છકાવી દેતાં તેવો જ ઉમળકો આ છેલ્લી વાર બતાવીને અમારા ફૅમિલી પર એક વધારાનો ઉપકાર કરશો એ આશા ને વિનંતી.’

મોબાઈલની દુનિયામાં અચાનક જ આ મેસેજથી અફડાતફડી મચી ગઈ. લોકો એકબીજાને મેસેજ કરીને, ફોન કરીને વૉટ્સ એપના અવસાનની ખરાઈ કરવા માંડ્યાં. લોકોને લાગેલો આઘાત એટલો તો જબરદસ્ત હતો કે અડધા લોકોના તો રોંગ નંબર લાગ્યા ને અડધા લોકોને તો ઈમોજીસની ટેવ પડેલી તે મેસેજ લખવામાં પણ બહુ લોચા પડ્યા! આખરે જેમતેમ લોકોને ખાતરી થઈ પણ આઘાત ઓછો ન થયો. હવે? હવે શું કરશું? આપણું શું થશે? આપણી સવાર કેમ પડશે? જો સવાર પડશે તો સવાર મેસેજ મોકલ્યા વગર ને મેસેજ જોયા વગર ને એ બધા મેસેજ ફોરવર્ડ કે ડિલિટ કર્યા વગર સારી કેમ જશે? હવે તો સવારની ચા પણ નહીં ભાવે ને ખાવાનું? અરે! ગળે કોળિયા નહીં ઊતરે. આ તો ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં ને જાગતાંની સાથે જ દિલમાં સમાઈ જતું તેના વગર હવે કેમ જીવાશે? હે ભગવાન! આ તેં શું કર્યું? અમારા અમૂલ્ય ટાઈમ પાસનો સહારો છીનવી લીધો. હવે અમારા મનોરંજનનું શું? અમારા હજ્જારો (સાચા/ખોટા) સંબંધોનું શું? અમારી કેટલીય વિકસેલી કે વિકસવા માગતી કળાઓનું શું? આ તો અમારા સુખદુ:ખનો સહારો તેં છીનવી લીધો.

અરે! તદ્દન તાજેતાજા (સાચા/ખોટા, નવા/જૂના)સમાચારોનું શું? હવે અમને કોણ બધા સમાચાર આપશે? અમારો તો ગૃહઉદ્યોગ જ ભાંગી પડ્યો. હવે આખો દિવસ ઘરમાં બેસીને અમે શું કરશું? કેટલાય નવા સંબંધોનો આમ એકી ધડાકે ખાત્મો બોલી જશે એવું તો અમે સ્વપ્નેય વિચાર્યું નહોતું. અરે, વૉટ્સ એપને લીધે તો અમને જોક્સ સમજાતા થયેલા, શેરોશાયરીનો શોખ જાગેલો, આ નાટક ને પેલી ફિલમ ને ફલાણા ડાયરા ને ઢીંકણા પ્રોગ્રામની રજેરજ માહિતી મળતી તો મળતી પણ ઘેર બેઠાં જોવાય મળી જતા બોલો! હવે શું? ગયું જ ને એ બધું? વૉટ્સ એપ બકા! આમ જતા રહેવાય? સાવ અચાનક? કંઈ નહીં તો આ ભારતની જો ત્રીસ બાદ કરીએ તોય સો કરોડ જનતાનો તો વિચાર કરવો હતો!

કઈ નવી ફિલ્મ જોવી કે ન જોવી તેનો રિપોર્ટ તે જ દિવસે કોણ બતાવતું? ક્રિકેટનો લેટેસ્ટ સ્કોર હોય કે ઈલેક્શનની હાર જીત હોય, જાતજાતની વાનગીઓ હોય કે નવી નવી રેસ્ટોરાં કે લારી  કે ઈવન રેંકડીનીય માહિતી કોને લીધે અમને ખબર પડતી? આ ઝોમેટો ને સ્વિગીનો રસ્તો અમને કોણે બતાવેલો? અરે, ઘેર બેઠાં શોપિંગ કરવાનું કોણે ચાલુ કરાવેલું? ઘેર બેઠાં થતાં કામનો તો કોઈ હિસાબ જ ગણાય એવો નથી. આ બધું હવે કોના ભરોસે ને કોણ કરશે? જેની ખબર કાઢવી હોય કે જેના વિશે જાણવું હોય તે ઘરમાં હોય કે શહેરમાં, બહારગામ હોય કે પરદેશમાં હોય...એક મીનિટની અંદર અમને બધી માહિતી મળી જતી અને પાછા વિડીયો કૉલ? ઓહોહો! કેટલી મજા આવતી? આ તો વૉટ્સ એપની સાથે એ મજા પણ ગઈ?

અચાનક જ બાળકથી માંડીને બુઢ્ઢાના ભેદ ભુલાયા, સ્ત્રી–પુરુષમાં સમાનતા આવી, લોકો ધાર્મિક બન્યા, બધી વાતે જાણકાર ને હોશિયાર બન્યા એ બધું જે વરસોમાં કોઈ ન કરી શક્યું તે એક આ મોબાઈલ એપે કરેલું તેય આજે આમ બધાથી રિસાઈને બેઠું? હવે અમે કોના સહારે? હે નોધારાના આધાર, કાં તો સંજીવની છાંટી ફરી એને સજીવન કર અથવા તો એના જેવા જ કોઈ એપનું નિર્માણ કર એ જ અમારી આ બેસણે પ્રાર્થના છે.