મંગળવાર, 24 એપ્રિલ, 2018

જય શંભો! જય ભોલે ભીમ! (એમ પી ટૂર–૧૩)


ચટોરી ગલીના ચક્કરમાં, ચોક બજારની નાનકડી ગલીઓમાં રખડતાં રખડતાં જાતજાતની દુકાનો જોવાની, ઘડીક કશેક ઊભા રહીને ગમતી ચીજવસ્તુઓના ભાવ પૂછવાની, લેવાની અસમંજસમાં હા, ના, હા, ના કરવાની ને પછી ત્યાંથી ચાલતી પકડવાની મનગમતી મજા લેવાનું જ રહી ગયેલું! ખબર હતી, કે જે બે ત્રણ કલાક છે હાથમાં તેમાં જ બધું જોવાનું ને કંઈ ગમે તો લઈ લેવાનું છે. સાથે સાથે રાતની પેટપૂજા પણ પતાવવાની છે. આ માર્કેટ જ એટલી લલચામણી હતી ને કે અમે બીજી બધી માર્કેટ જોવાના નામ પર ચોકડી મૂકેલી. એમાં વચ્ચે ચટોરી ટપકી પડી ને માર્કેટ જોવાનું ફુસ્સ થઈ ગયેલું. ચાલો કંઈ નહીં, હવે અહીં તો પાછા આવવાનું જ છે ને? ત્યારે જોઈશું. ત્યારે પણ સમય મળશે? કોને ખબર. ધારો કે ત્યારે પણ એકાદ મસ્ત ચટોરી ગલી કોઈએ બતાવી તો? શૉપિંગ તો રહી જ જાય ને? ત્યારે ખાવું કે ખરીદવું? જવા દો, હમણાં એનો વિચાર નથી કરવો. પછીની વાત પછી.

બપોર સુધીમાં પચમઢી(પંચમઢી) પહોંચવાનું હોવાથી અમે બેગમોને અને ભોજપાલને બાય બાય કહ્યું. ભોપાલથી પચમઢીને રસ્તે લગભગ પિસ્તાલીસ કિમીની દૂરી પર એક અદ્ભૂત જગ્યા અમારી રાહ જોતી હતી. સીધે સીધા પચમઢી નીકળી જાત તો આ જગ્યા ન જોયાનો અફસોસ જિંદગીભરનો રહી જાત. એ તો અંજુએ હાથમાં રહેલી મધ્ય પ્રદેશની ચોપડીનાં પાનાં ફેરવતાં શોધી કાઢ્યું કે, ‘રસ્તામાં ભીમબેટકા જઈ અવાય. અહીંથી પિસ્તાલીસ કિલોમીટર જ છે ને આવેલાં આવેલાં જોતાં જઈએ. પચમઢી જ પહોંચવાનું છે ને?’
‘હા, પણ અંધારા પહેલાં પહોંચવાનું છે હં.’ મેં યાદ કરાવી મૂક્યું.

ક્યાંક પેલી ચોપડી નવી નવી જગ્યાઓ બતાવતી રહેશે તો રસ્તામાં જ અંધારું? ને પછી ચોર ને લૂંટારાની ટોળીઓ? ને હિંસક જાનવરો? ને રાતના અંધારાને ચીરતી અમારી ખતરનાક ને દર્દનાક ચીસો...! ઓહ! એક ભયાનક વિચાર મારા મનમાં આવ્યો તેવો જ મેં બધાની વચ્ચે જાહેર કરી દીધો.
‘અરે બહેનજી, અજુ તો હવાર જ છે ને આપણે પચમઢીને રસ્તે જતાં જ કલાક રોકાવાનું છે ને એટલામાં કંઈ અંધારું નથી થઈ જવાનું. અમે લોકો હાથે છે પછી આમ ગભરાયા હું કરે? ભીમબેટકાથી પચમઢી તો પછી દોઢસો કિલોમીટર જ છે. આરામથી તોણેક કલાકમાં તો પોંચી હો જહું.’
‘એ તો તાં ગીયા પછી ખબર પડે કે એક કલાકમાં બધું જોવાય છે કે નીં. ચાલો કંઈ નીં, ભીમબેટકા ચાલો.’

‘અંજુ, અજુ હો જો પાછું. ભીમબેટકા જતા પેલ્લા હો કોઈ જોવા જેવી જગા તો ઓહે જ. તાં હો જતાં જ જઈએ.’ મેં તો દાઢમાં કહેલી વાત ખરેખર જ સાચી પડી! ચોપડીમાં જોયું તો ભીમબેટકા પહેલાં ભોજપુર ગામે મળી ગયું દુનિયાનું વિશાળ શિવલિંગ! વાહ વાહ! હવે ભલે સાંજ પડે પણ બધે ફરતાં ફરતાં જ જવું. ચોર–ડાકૂકી ઐસી કી તૈસી. આ તો મનમાં હં, બાકી અંધારા પહેલાં હૉટેલ પહોંચવાનો નિયમ તોડવાનું જોખમ ખેડાય એમ નહોતું.

પરમાર વંશજ રાજા ભોજે અગિયારમી સદીમાં બંધાવેલું આ મંદિર કોઈક કારણસર અધૂરું રહેલું પણ એનું મહત્વ જરાય ઓછું નથી થયું. તહેવારોના દિવસે અહીં ભારે ભીડ થાય એજ એની મહત્તા દર્શાવે છે. જાણે કે શિવમંદિરોથી ધરતીને મઢી દેવાની હોય એટલા બધા મંદિરો રાજા ભોજે બંધાવેલા. કેદારેશ્વર, રામેશ્વર, સોમનાથ, કાળભૈરવ અને રુદ્રમંદિર સિવાય એક સરસ્વતી મંદિર અને એના પોતાના રાજ્ય ધારમાં તો એકસો ને ચાર મંદિર! સ્વાભાવિક છે, કે છેક અગિયારમી સદીનાં મંદિરોમાંથી બહુ થોડાં જ બચ્યાં હોય અને એમાંથી આ વિશાળ શિવમંદિર બચ્યું તેને કોની મહેરબાની ગણવી? જે હોય તે, ઊંચી ટેકરી પર આવેલા આ અધૂરા મંદિરના કેટલાય અવશેષો મંદિરની આસપાસ સાચવીને રખાયા છે. એના ઉપર કોતરાયેલા ઈતિહાસ પરથી ઘણી વાતો જાણવા મળે છે.

ઘણા ઈતિહાસકારોએ પણ એના વિશે લખ્યું તે મુજબ, કોઈએ એને મૃત વ્યક્તિના અસ્થિ પર બનાવાયેલું મંદિર ગણાવ્યું જેની રચના સ્વર્ગે જવાની સીડી તરીકે–સ્વર્ગારોહણ માટે– થઈ હશે. કોઈએ કહ્યું કે રાજા ભોજે એના પિતા અને કાકાના આત્માની શાંતિ માટે એમની યાદમાં આ મંદિર બનાવ્યું. આવી વાતોનું કારણ એક જ કે આ મંદિરનું બાંધકામ અન્ય શિવમંદિરો જેવું નથી. એનું ગર્ભગૃહ જુઓ કે એના શિખર પર નજર કરો કે એની અંદર ને બહારની દિવાલો જુઓ. કોઈ પણ રીતે એ શિવમંદિર જેવું ન લાગે અને છતાંય ખૂબ જાણીતું અને જોવાલાયક તો ખરું જ. સાડા સાત ફીટની ઊંચાઈ અને લગભગ અઢાર ફીટના ઘેરાવાવાળું શિવલિંગ જે પ્લેટફોર્મ પર મૂક્યું છે તેની સાથે મળીને એ આપણને ચાલીસ ફીટ ઊંચે જોવા પ્રેરે! સામાન્ય રીતે આપણે વાંકા વળીને શિવલિંગને પૂજીએ. જ્યારે અહીં તો ઊંચ્ચે જોઈને પગે લાગી લો. અભિષેક કેવી રીતે કરવો? ખેર અમે તો શિવજીની પૂજાર્થે નહોતાં ગયાં એટલે અચરજથી એમને નમન સિવાય બીજું શું કરી શકીએ?

અધૂરું હોવા છતાં આ મંદિરને ભોપાલ સરકારે રઝળતું નથી મૂક્યું. એને શ્રેષ્ઠ જાળવણીનું અને ખાસ તો અપંગોને સહાયરૂપ બનવા બદલ ઈનામ મળ્યું છે. દર વર્ષે શિવરાત્રીએ સરકાર અહીં ભારતના જાણીતા કલાકારોને આમંત્રીને સુંદર કાર્યક્રમ કરે છે. નજીકમાં મંદિરનું મ્યુઝિયમ પણ છે. એ તો સમય અને રસનો સવાલ એટલે અમે તો ફક્ત માહિતી જ મેળવી. જે હોય તે, સદીઓ જૂના આ મંદિરને લાગેલી સદીઓની ધૂળ, લીલ, વરસાદ ને પવનની થપાટોથી જો સાફસૂફ કરીને, નિયમીત જાળવણી કરીને સાચવ્યું ના હોત તો આટલું વિશાળ અને સુંદર મંદિર જોવા મળત? નહીં જ વળી. અમે તો રાજા ભોજની સાથે ભોપાલ સરકારનો પણ આભાર માની શિવજીની વિદાય લીધી. મંદિર જોઈને ખુશ થયેલાં અમે ભીમબેટકામાં પણ આવો જ કોઈ ખજાનો મળશે તેના વિચારથી જ આનંદિત હતાં.

‘ભૂખ લાગી.’ એક અવાજ નીકળ્યો અને સૌએ એમાં હામી ભરી કે નજીકની નાનકડી ચાની ટપરી પર ગાડી થોભી. પડીકાં ખૂલ્યાં ને ચા સાથે ફ્રેશ થઈ ઉપડ્યાં ભીમભાઈની બેઠકે.
ભોજપુરના શિવમંદિરના ચિત્રો(ગૂગલ સહાયથી.)




6 ટિપ્પણીઓ:

  1. excellent research , wonderful follow up and daring travel
    adventure by gujarati women !very very unusual and enjoyable !- ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ખૂબ આભાર. કોઈ વાર થતાં થઈ જાય તેવો પ્રવાસ હતો પણ મજા તો આવેલી જ એની ના નહીં. લખીને બમણા આનંદની લાલચે તમને સૌને ગમે તેનો વિશેષ આનંદ.

      કાઢી નાખો
  2. કલ્પનાબેન,ખૂબ રસપ્રદ પ્રવાસ વર્ણન..ભોજપુર કેવું હશે એ જાણવાની ઇંંતજારી! શિવલિંગ જોવા ક્યાંથી જવું? ભોજપુર રાજા ભોજ સાથે સંકળાયલું હોય એવું ધારી શકાય.માહીતિ પીરસજો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભોપાલથી ૩૦ કિ.મી દૂર પંચમઢી જતાં રસ્તામાં જ આ મંદિર આવે છે. જોવા જેવું તો ખરું જ. રાજા ભોજના નામ પરથી જ ભોજપુર છે. તમને રસ હોય તો ગૂગલ પર ભંડાર મળશે. મેં વિસ્તાર–ભયે ટૂંકમાં જ લખ્યું છે.:)

      કાઢી નાખો