રવિવાર, 20 મે, 2018

‘શંકર ભગવાનની મહેરબાની’–એમ પી ટૂર


‘ભગવાનમાં માનતાં હો કે ન માનતાં હો પણ એક વાત તો માનવી પડે કે શંકર કે શિવ નામની કોઈ અદ્ભૂત હસ્તી હતી, જેણે ભારતના જંગલોમાં અને તેમાંય પાછી ટેકરીઓ પર કે ઊંડી ગુફાઓમાં જ ઠેર ઠેર વસવાટ કરીને ભવિષ્યના શ્રધ્ધાળુઓ માટે અને પર્યટકો માટે સ્વર્ગના દરવાજા ખોલી દીધા હતા. ભારતના કોઈ પણ ખૂણે શંકરના નામે મંદિરો કે ગુફાઓ મળી આવે. જગ્યા પણ પાછી વેરાન! કોઈ ઠાઠબાઠ નહીં કે કોઈ મહેલ કે રાજારજવાડા જેવી સગવડો પણ નહીં. પોતાના ધ્યાનમાં મસ્ત. લાંબી જટાનો સ્ટાઈલિશ અંબોડો વાળીને, કપડાંની ઝાઝી પરવા કર્યા વિના વાઘનું ચામડું વીંટીને, શરીરે ભભૂત ચોપડીને, એક પગની પલાંઠી ને એક પગ લટકતો રાખીને એકાદ મોટા પથ્થર પર આસન જમાવી દે કે પત્યું.’ પારૂલે ભોળા મહેશ્વરની પ્રશંસા ચાલુ કરી.

‘શરીરે ભભૂત ચોપડવાનું કારણ કદાચ જંગલમાં જીવજંતુ કરડી ન જાય એટલે હશે. તે સમયે કંઈ ઓડોમોસ થોડું હતું?’ મારા મનમાં ભસ્મનું કારણ જે આવ્યું તે મેં જાહેર કર્યું.
‘અરે! જેના ગળામાં સાપ હોય તેને વળી જીવજંતુના કરડવાની શી બીક? તમારા મનમાં ઓડોમોસ પણ આવે? પ્લીઝ, હવે વચ્ચે ડબકું નહીં મૂકતાં.’ પારૂલની સાથે અંજુ પણ જોડાઈ ગઈ! જૉલીએ તો મરકવા સિવાય બીજું શું કરવાનું હતું? એનું તો મારા ભોગે મસ્ત મનોરંજન થતું હતું. પહેલી વાર અમારી સાથે પ્રવાસમાં જોડાયેલી એટલે, નહીં તો એ પણ પેલી બે બહેનો સાથે જોડાઈ જાત. હશે, જવા દો.

‘વળી બહુ ઓછી જગ્યાએ પાર્વતીમાતા સાથે જોવા મળે કે એમના નામે કોઈ મંદિર નજીકમાં જોવા મળે. ભોળા સોમનાથ તો ભારે નિસ્પૃહી જીવ. પંચમઢીની જટાશંકર ગુફાઓ બહુ ફેમસ છે અને નજીક જ છે એટલે શરૂઆત આપણે એનાથી જ કરીએ.’ સવારમાં અમારી સવારી ઊપડી જટાધારી ત્રિપુરારીને મળવા. હિલ સ્ટેશનોનું મોટામાં મોટું સુખ એ કે, કોઈ જગ્યા આપણે શોધવી ના પડે. વરસોથી ઢગલો પ્રવાસીઓ આવતા હોય એટલે જતા આવતા કોઈને પણ ઊભા રાખીને પૂછીએ કે, ‘ફલાણી જગ્યા ક્યાં આવી?’ તો એમનો હાથ લાંબો થઈને દિશાસુચન કરી દે. અહીં તો જ્યાં ને ત્યાં જંગલની હરિયાળી ને ટેકરીઓ સાથે ખીણોની જાહોજલાલી ભરપૂર માણવા મળે. લાગે કે બધે જ બદ્રિનાથ બિરાજ્યા હશે.

જટાશંકર ગુફા જવાને રસ્તે નજીકમાં જ આજુબાજુ ઊંચા ઊંચા ડુંગરો જાણે માથા ઉપર ઝળુંબતા હોય એવા લાગે. થોડી બીક પણ લાગે કે એકાદ પથ્થર કશેક ખસ્યો ને ડુંગર આપણા પર ધસી તો નહીં પડે ને? જો કે, નજીકથી પસાર થતાં ઝરણાં ને જાતજાતનાં વૃક્ષોનો વૈભવ જોઈને બધી બીક ભાગી જાય. વચ્ચે રસ્તામાં એક મોટી શિલા ઉપર ત્યાં જ રહેતા કોઈ કારીગરે બનાવેલી ખુલ્લા ભૂરા રંગની આદિનાથની પ્રતિમા નજરે પડે. થોડે આગળ જતાં એક ઊંડી કોતર આવે અને નીચે ઉતરવાનાં સો પગથિયાં આવે. એમ તો સાચવીને પગથિયાં ઉતરવામાં ગણે તો કોણ પણ આજુબાજુથી પસાર થનારામાંથી કોઈએ ગણ્યા હશે તેથી અમે જાણ્યું. બસ જલદી પહોંચી જાઓ વિશાળ કુદરતી ગુફામાં જ્યાં મંદિરમાં ભોલેનાથ બિરાજ્યા છે. અહીં જરા થોભવું પડે એમ છે. કારણ તો કંઈ નહીં પણ આટલાં પગથિયાં ઊતર્યા પછી કોઈને સાંધાનો દુખાવો થઈ આવ્યો હોય કે પાછા ફરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડે તો? એ વિચારીને જ ત્યાંના અમુક રહેવાસીઓએ કુદરતી જડીબુટ્ટીના નામે દવાની નાનકડી દુકાનો ખોલી છે. વિશ્વાસ હોય તો દવા લેવાની નહીં તો વિશ્વાસ કરવા કોશિશ કરી જોવાની ને દવા લઈ મૂકવાની. ખેર, અમે તો પોતાની જાતને તંદુરસ્ત સમજતાં હોવાથી કોઈએ દવા ન લીધી.

આ ગુફામાં દાખલ થતાં જ આપણી ઉપર છત પરથી સતત પાણી ટપકતું રહે છે. તેથી ગુફા ભીની હોવાથી સાચવીને ચાલવું પડે. નજીકમાં ચુનાનું પાણી ટપકવાથી જામેલા સ્તંભ જેવા એકસો ને આઠ શિવલિંગ છે જે પાછા એકમેકમાં વીંટળાયેલા દેખાતા હોવાથી શિવજીની જટા જેવા લાગે! નામ જટાશંકર એટલે જ પડ્યું. ગુફાની નજીક જ બે નાનાં તળાવ જેવા ખાબોચિયાં દેખાય જેનું પાણી ક્યાંથી આવે તે કોઈને ખબર ન હોવાથી એ ‘ગુપ્ત ગંગા’ તરીકે ઓળખાય છે.

આ ગુફાની બહુ જ દિલચશ્પ કહાણી છે. કૈલાસપતિનો સ્વભાવ તો બધા જ દેવો ને દાનવો જાણતાં કે આ ભૂતનાથ તો જે વરદાન માગે તે વગર વિચાર્યે ને પાત્ર જોયા વગર પણ આપી જ દે! બહુ દુ:ખી કે હેરાન થવાનો સ્વભાવ, પણ શું થાય? થતા હેરાન. એક વાર એક દાનવે યેનકેન પ્રકારે નટરાજને પ્રસન્ન કર્યા ને વરદાન માગી લીધું, કે ‘હું જેને હાથ લગાવું તે ભસ્મ થઈ જાય!’ દાનવોને આવા ઊંધા જ વિચારો આવે. મારી નાંખો, કાપી નાંખો, ભસ્મ કરી દો ને બધું ખતમ કરી દો. બસ હું ને હું જ જોઈએ બીજું કંઈ નહીં. હવે વરદાન આપવામાં ચંદ્રમૌલિએ ઉતાવળ કરી કે એમની મજબૂરી હતી પણ પરિણામ શું આવ્યું? પેલા રાક્ષસે વરદાનની ખાતરી કરવા જેણે વરદાન આપ્યું તેની તરફ જ હાથ લંબાવ્યો! શિવ શિવ શિવ!

ઉમાપતિ તો રાક્ષસથી બચવા ભાગ્યા, તે ભાગતા ભાગતા પંચમઢી તરફ આવી પહોંચ્યા ને આ ગુફામાં સંતાઈ ગયા. એમણે વિષ્ણુજીની મદદ માગી અને વિષ્ણુજીએ મોહિની સ્વરૂપ ધારણ કરીને પેલા દાનવ પર ભૂરકી છાંટી. હવે દાનવ એટલે તરત જ મોહિની સાથે પ્રેમ પણ થઈ ગયો અને લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધો. એકદમ ઈન્સટન્ટ કદમ! ચટ મંગનીની પણ રાહ ના જોઈ, સીધો જ વિવાહ નો પ્રસ્તાવ. મોહિનીએ સામે પોતાની શરત મૂકી કે મારા જેવું નૃત્ય કરે તો તને પરણું. હવે દાનવ લડવામાંથી પરવારે તો ડાન્સ બાન્સ કરે ને? મોહિનીની નકલ કરવામાં પોતાના માથા ઉપર જ એણે હાથ મૂકી દીધો ને પળવારમાં જ એ ભસ્મ પણ થઈ ગયો! જોયું? દેવો પણ સમય આવે ત્યારે આ રીતે એકબીજાને પડખે ઊભા રહી જતા. ભલે ને સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે તોય શું? ચાલો આ ગુફાને બહાને મજાની વાર્તા તો જાણવાની મળી. પછી સો દાદર ચડવામાં હાંફ કેવી ને સાંધાનો દુખાવો કેવો? જય નીલકંઠ! જય ડમરૂધારી! જય હો!




8 ટિપ્પણીઓ:

  1. ખટમીઠી વાનગી ખાતા જીભમાં સ્વાદના જે સટકા આવે એવા હાસ્યના સટકા કલ્પનાબેેનના પ્રવાસ વર્ણન વાંચતા આવે. અભિનંદન કલ્પનાબેન.

    જવાબ આપોકાઢી નાખો
  2. જવાબો
    1. એકબીજાની હિંમતે આ બધું થાય બાકી એકલાં તો કદાચ જ આવો પ્રવાસ થાય. આભાર.

      કાઢી નાખો
  3. ધન્ય છે અઅપ સૌના ધૈર્ય અને હિંમતને.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પ્રવાસમાં અજબનો ઉત્સાહ ક્યાંથી આવે કોણ જાણે પણ બધું યાદ કરીએ ત્યારે નવાઈ જ લાગે. આભાર.

      કાઢી નાખો
  4. kahevu pade ha...Kalpanaben, aj sudhi na tamara pravas lekho ma, I think, first time something on adhyatma with humour.....aa adhik mass ni asar chhe ke shu? As usual, vanchva ni maza padi.

    Harsha M
    Toronto

    જવાબ આપોકાઢી નાખો