સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

આખરે ટ્રાઈબલ મ્યુઝિયમના દરવાજે અને ચાલો શિવજીને પ્રસન્ન કરવા ઓમકારેશ્વર

 ટ્રાઈબલ મ્યુઝિયમ
મ્યુઝિયમ જોવા જ અમે બીજી વાર ભોપાલ આવ્યાં, ત્યારે મ્યુઝિયમના દરવાજામાં દાખલ થવાનો આનંદ તો જાણે અમને કોઈ ઈનામ મળ્યું હોય એટલો હતો. અહીં તો આદિવાસીઓની રહેણીકરણી દર્શાવી હશે કે એમની કળા કારીગરીની વસ્તુઓનો સંગ્રહ હશે એવો જ અંદાજ હતો. જેમ જેમ મ્યુઝિયમમાં ફરતાં ગયાં, તેમ તેમ એક અજબ દુનિયામાં ખેંચાતાં ગયાં. જાણે કોઈએ અમારા પર જાદુ કર્યું હોય! કેટકેટલી કળાઓના અદ્ભૂત વારસાને સમાવીને અને સાચવીને આ મ્યુઝિયમ બન્યું હશે! દેશ વિદેશના પ્રવાસીઓના સતત વહેતા પ્રવાહ સાથે કેટલાય લોકો મોબાઈલમાં અને કૅમેરામાં જેટલું ઝીલાય એટલું ઉત્સાહથી ઝીલી રહ્યા હતાં. ખુદ દિનેશ પણ આભો બન્યો હતો, ‘કાકી, આપણે ત્યાંના આદિવાસીઓને આવું બધું કંઈ નીં આવડે.’ એટલું બોલીને પાછો એ ફોટા પાડવા ફરવા માંડ્યો. બગીચામાં છૂટ્ટા મૂકેલા કોઈ નાના છોકરા જેવા દિનેશને મસ્તીથી અહીંથી તહીં દોડાદોડ કરતાં જોઈ અમે સૌ મલકાયાં.

નવાઈ લાગે પણ આ મ્યુઝિયમની સ્થાપના એક ભીલ સ્ત્રીને આભારી છે, જે ખુદ એક અચ્છી ચિત્રકાર છે! ભોપાલ પર સો વરસ સુધી બેગમોએ રાજ કરેલું તેની અસર હોઈ શકે. બે હજાર ને અગિયારની સાલમાં ભોપાલના અગ્રગણ્ય અધિકારીઓ, સમાજશાસ્ત્રીઓ, પુરાતત્વવિદો, સમાજશાસ્ત્રીઓ અને કલાકારોની એક મીટિંગ થઈ. એમાં ભૂરીબાઈએ એવું સૂચન કર્યું જે હંમેશને માટે ભોપાલની શાન બની ગયું. ‘શું ફક્ત આદિવાસી કલાકારોની મહેનતથી જ બનેલું, આદિવાસીઓનું એક મ્યુઝિયમ ના બની શકે?’ આ અદ્ભૂત સુઝાવને સૌએ ઉમળકાભેર વધાવી લીધો અને સરકારની સહાયથી પછી તો જોરશોરથી કામ શરૂ પણ થઈ ગયું. આખા મધ્યપ્રદેશમાં દસેક લાખની વસ્તી ધરાવતા આદિવાસીઓમાંથી નીવડેલા કલાકારો ખૂણે ખાંચરેથી આવતા ગયા. જાણે અહીં તો ગોંડ, ભીલ, બૈગા, કોરકુ, કોલ, સહરિયા અને ભરિયા જાતિનો અદ્ભૂત મેળાવડો જ થઈ ગયો.

ઝડપથી નાશ પામી રહેલી આદિવાસી કળા અને સંસ્કૃતિને સાચવી લેવાનો આ વિચાર, આ પ્રયાસ આખરે બે હજાર ને તેરમાં પૂરો થયો એમ ન કહેતાં, સુંદરતાને વર્યો અને સફળતા પામવા સાથે દુનિયાભરમાં પ્રસિધ્ધિ પામ્યો એમ કહેવું વધારે ઠીક રહેશે. આ કલાકારોના દિલોમાં પણ જે સુંદરતા છે તે એમની દરેક કૃતિમાં નજરે ચડે છે. એટલે જ કદાચ બૈગા કલાકાર લાડલીબાઈ માને છે કે ‘લોકો માટે ભલે આ મ્યુઝિયમ હશે પણ આ અમારું ઘર છે. અમારી ભવિષ્યની પેઢી પણ જાણશે કે અમારા પૂર્વજો કેવી હાલતમાં રહેતાં. અમારી સંસ્કૃતિને બચાવવાનો અને અહીં જાળવી રાખવાનો આનાથી શ્રેષ્ઠ ઉપાય કોઈ હોઈ જ ના શકે.’ ખરેખર, મ્યુઝિયમને જોયા બાદ તો દાદ દેવી જ પડે એ કલાકારોને જેમણે આબેહૂબ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરવામાં કોઈ કસર નથી છોડી.

પહેલી ગેલેરીમાં એક વિશાળ વડનું ઝાડ એની વડવાઈઓ સાથે ફેલાયેલું અને છત સુધી પહોંચીને જાણે ગર્વથી આજુબાજુના પાંચેય રાજ્યોને કહેતું હોય, ‘જુઓ અમારી એકતા અને સમાનતા.’   બીજી ગેલેરીમાં સ્થાનિક ચીજ વસ્તુઓમાંથી જ ઊભું કરેલું સુંદર ઘર જોઈને અમે એકબીજા સામે જોવા માંડ્યાં. કાશ! આપણેય આવા ઘરમાં રહેતાં હોત! તો આપણેય જંગલમાં શિકાર કરવા જાત, નદીમાં માછલાં પકડવા જાત, ગાય–ભેંસ ચારવા જાત અને સાંજ પડતાં વાંસળી વગાડતાં વગાડતાં ઘેર પાછા ફરતાં હોત! જવા દો, કાશની કોઈ આશ નથી. ચુપચાપ કે વાતો કરતાં પણ કળા ઉપર નજર ઠેરવો ને આનંદ માણો. એ ઘર ઉપર ચીતરેલા કે ઉપસાવેલા જુદા જુદા સુંદર ચિત્રો વડે રોજની રહેણીકરણી, ત્યાંના પ્રાણીઓ અને જાતજાતના ઘરઘરાઉ, ખેતીના કે શિકારના સાધનો વિશે પણ જાણવા મળી જાય.

જેમ સુધરેલા કે સંસ્કારી ને શિક્ષિત લોકોના અધધ ભગવાન છે તેવા જ આ આદિવાસીઓના પણ વિવિધ દેવી–દેવતા છે. કોઈ રોગ ઠીક કરનાર દેવ જુદા તો ગાય, બકરી કે કોઈ પાલતુ જાનવર ખોવાઈ જાય તો તેની માનતાના દેવ જુદા! અરે, વડના ઝાડ નીચે જો કોઈ વસ્તુ થોડો સમય પડેલી દેખાય તો તેય ભગવાન બનીને પૂજાવા માંડે! છે કોઈ ફરક? આપણે એમનાથી કઈ રીતે ઊંચા ગણાવીએ આપણી જાતને? પૂર્વજોની યાદમાં બનાવેલાં માટીનાં નાના ઘર આકાશ સુધી પહોંચતાં બતાવીને દેવલોક બતાવાયું છે અને સાથે પાતાળલોકનાં દર્શન પણ કરાવાયા છે. જાણે અંધારા અને અજવાળાની ભયાનક દુનિયામાં, કોઈ ઝાડની ઉપર ને નીચે ભૂતોના ખિખિયાટા સંભળાઈ રહ્યા હોય અને હમણાં કોઈકની ચીસોના પડઘા સંભળાશે કે કોઈ સ્ત્રી મદદની ચીસો પાડશે એવું કોઈ બિહામણી ફિલ્મના સેટ જેવું અદ્દલ દ્રશ્ય અહીં ઊભું કરાયું છે.

કોઈ જગ્યાએ કોઈ ખાસ ઘરેણાને વિશાળ કદમાં ગોઠવીને મૂકવાનું કારણ, એ કળાની બારીકી લોકોને સમજાય એ જ છે. એક મોટા કંગનને પૈડા જેટલું મોટું બતાવાયું છે પણ એ તો જોયા પછી જ ખબર પડે કે ગડવા જાતિના લોકોની આ તો જગમશહૂર ડોકરા/ઢોકરા કલા છે. એક ગેલેરીમાં ત્યાંની રમતગમત જોવા મળે તો એકમાં મહેમાનકક્ષ પણ દેખાય. ખૂબ જ નિરાંતે ફરવા જેવા આ મ્યુઝિયમની યાદો મનમાં સંઘરીને અમે સહરિયા જાતિની એક વાર્તા જાણીને બહાર નીકળ્યાં.

ભગવાને સૌથી પહેલાં એક યુગલ બનાવ્યું. (ઈવ ને આદમ?) લો, આ વાર્તા તો આ લોકોનેય ખબર છે! ના, વાર્તા ઘણી અલગ છે. અહીં કોઈ સફરજન કે અદકપાંસળીની વાત નથી. ભગવાને તો હજી કામ શરૂ જ કરેલું એટલે યુગલનિર્માણમાં મંડી જ પડેલા. પહેલું યુગલ બિચારું ખસતું ખસતું હાંસિયામાં ધકેલાઈ ગયું. એમની પાસે ફક્ત ભગવાને આપેલી એક કોદાળી હતી. તેય કંઈ સોના–રૂપાની નહોતી. તોય મોટામાં મોટી વાત કે એ યુગલ સંતોષી હતું. એમની પાસે કુદરતી સંપત્તિનો ખજાનો હતો. અને બસ, એ લોકો મજેથી જીવી ગયાં.

                                            
                                             ચાલો શિવજીને પ્રસન્ન કરવા ઓમકારેશ્વર
                                             *******************************
આ મારો પહેલો એવો પ્રવાસ હતો જેમાં મેં વધારેમાં વધારે મંદિરોનાં દર્શન કર્યાં હોય અને તે પણ પાછા એક જ ભગવાનનાં! મધ્ય પ્રદેશ પર શિવજીની ખાસ્સી કૃપા થઈ છે એ બધા મંદિરો જોતાં અને એમનું મહત્વ ત્યાંની વાર્તાઓ જાણતાં જણાઈ આવે. આ અમારી કોઈ ધાર્મિક યાત્રા ન હોવા છતાં અમે જ્યાં જતાં ત્યાં શિવજી અમને મળી જતા! ૐકારેશ્વરની જુદી જુદી વાર્તાઓ જાણ્યા પછી એક વાતની ખાતરી થઈ ગઈ કે શિવજી બિચારા ખરેખર ભોળા. દેવો તો ઠીક દાનવોય એમની ભલમનસાઈનો લાભ લઈ જતા. શિવના નામે થોડું ઘણું કઠણ તપ કર્યું નથી કે મહાદેવજી પ્રસન્ન થયા નથી. પાછા આ ભોલા ભંડારી એવા પણ નહીં કે એમને વળતરમાં કંઈ ભેટ બેટ જોઈએ. વરદાન આપીને ભૂલી જવાનું. પોતે તો પાછા સાદગીના ભંડાર. ભંડારના નામે વરદાનોનો અખૂટ ભંડાર! કોઈ પગમાં શું આળોટ્યું કે માથે હાથ મૂકી જ દે. કોઈની પરીક્ષા બરીક્ષા લેવાની કે કોઈને ખોટા હેરાન કરવાની પણ દાનત નહીં. લુચ્ચાઈથી તો એમને બાર ગાઉનું છેટું. કદાચ એટલે જ લુચ્ચા લોકો પણ એમનો ફાયદો લઈ લેતા. ખેર, એમના નામે વર્લ્ડ રેકોર્ડ જ હશે કદાચ કે એમનાં જેટલાં મંદિરો કે એમના જેટલા ભક્તો છે કદાચ બીજા કોઈ ભગવાનના નહીં હોય. (આટલા બધા સદ્ગુણોમાં ક્રોધનો એકાદ છાંટો પડે તે તો હવે સહન કરી લેવો પડે. આખરે કૃપા પણ એ જ કરે ને?)

દરેક ધાર્મિક સ્થળ સાથે જે તે દેવની કેટલીય સાચી કે ખોટી વાર્તાઓ ફરતી હોય, એટલે આપણા રુદ્રનાથની વાર્તા ન હોય એવું તો બને જ નહીં. તો વાતની શરૂઆત નારદ મુનિથી જ કરીએ. આ મુનિએ એવા તે કેવા સમાચારોથી દેવો ને દાનવોમાં ઉથલપાથલ કરી હશે કે આજની તારીખે પણ ચાપલૂસીનો દાખલો તો એમના નામે જ અપાય! એમના પેટમાં કોઈ વાત ન રહેતી કે પછી જાણીજોઈને બધે સમાચાર ફરતા રાખતા, તે તો એ મુનિ જ જાણતા. દુનિયાની એ સૌથી પહેલી ન્યૂઝ ચેનલ હતી એવું કહેવાય છે. ખેર, એક વાર મુનિ વિંધ્ય પર્વતની મુલાકાતે ગયા. વિંધ્યે તો એમની આગતાસ્વાગતા કરીને દુનિયાના સમાચાર પૂછ્યા. પૂછતાં જ વાર. મનમાંની ચટપટીને બહાર કાઢતાં મુનિએ કહ્યું, ‘એમ તો બધું બરાબર છે પણ આજકાલ મેરુ પર્વત બહુ હોશિયારી મારે છે. એના મનમાં અભિમાન આવી ગયું છે કે મારા જેટલો મહાન ને ઊંચો પર્વત કોઈ નથી.’ કોઈના મગજને છટકાવવા કે બે જણ વચ્ચે લડાઈ કરાવવા, એકની સામે બીજાનાં વખાણ કરવાનું શસ્ત્ર વાપરતાં નારદજી સિવાય બીજા કોને આવડે? થોડું લાંબું ન વિચારનાર વિંધ્ય પર્વતને આ ઝેરી તીર દિલમાં ભોંકાઈ ગયું.

પછી તો અભિમાન ને અદેખાઈનો અંજામ આવી ને જ રહ્યો. એણે તો કઠોર તપથી શિવ આરાધના કરી અને મેરુ કરતાંય ઊંચા થવાનું વરદાન માગ્યું. બિચારા શંભોને શું ખબર કે વરદાનનું પરિણામ કેવું આવશે? એમણે તો ૐકારેશ્વર અને મમલેશ્વર(અમરેશ્વર)ના નામે અહીં પ્રગટ થઈને ભક્તની ઈચ્છા પૂરી કરી. હા, સાથે સાથે ભક્તોને કોઈ તકલીફ ના પડવી જોઈએ એ શરત પણ રાખી. હવે એક વાર અદેખાઈ ને અભિમાનનું ભૂત ભરાયું પછી કોણ શિવ ને કોણ ભક્ત? એ તો ઊંચે ને ઊંચે જતો જ ગયો, ત્યાં સુધી કે એણે સૂરજ ને ચાંદાને પણ ઢાંકી દીધા! હવે તો બધા દેવો પણ ગભરાયા. વિષ્ણુજીની સલાહથી બધા દેવો પહોંચ્યા અગસ્ત્ય ઋષિ પાસે. ઋષિ સજોડે ઉપડ્યા વિંધ્યને સમજાવવા. ‘જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી હવે વધારે ઊંચે જવાનું માંડી વાળજે.’
દેવો જેને માન આપે તે ઋષિની આગળ પર્વતનું શું ચાલે? આજ સુધી થાક્યા વગર ઋષિની રાહમાં વિંધ્ય પર્વત એવો જ અડીખમ ઊભો છે પણ ઋષિ અંચઈ કરી ગયા તે એના ધ્યાનમાં ન આવ્યું. ધ્યાનમાં આવ્યું પણ હોત તો શું થઈ શકત? ઋષિ તો પછી શ્રીશૈલ જતા રહ્યા જે દક્ષિણ કાશી તરીકે પ્રખ્યાત છે.

ૐકારેશ્વરની વાતોનો અંત નથી. વિંધ્ય પર્વતની બીજી એક વાત પણ પ્રચલિત છે. વિંધ્યદેવ વિંધ્ય પર્વતમાળાનું રક્ષણ કરતા હતા. એમણે શિવપૂજા કરતાં પોતાની ભૂલોની, પોતાનાં પાપોની માફી માગતાં એક ભૌમિતિક આકારનો ટાપુ બનાવ્યો અને માટી તથા રેતીમાંથી એક શિવલિંગ બનાવ્યું. પિનાકપાણિ તો પ્રસન્ન થઈ ગયા અને ત્યાં બે સ્વરૂપે પ્રગટ થયા. ૐકારેશ્વર અને અમરેશ્વર! એ ટેકરીનો આકાર ૐ જેવો દેખાતો હોવાથી ૐકારેશ્વર નામ પડ્યું.

હજી એક વાર્તા પણ છે! દેવો અને દાનવોમાં કોઈ વાર સાદું યુધ્ધ ન થાય એટલે ભીષણ યુધ્ધ થયું. દેવો કાયમ નબળા જ પડે એટલે મોટા દેવ પાસે દોડે. તાત્કાલિક તો નીલકંઠજી જ હાજર હતા. કદાચ નજીક પણ હોય. યુધ્ધનું આ પ્રકરણ જો કે ટૂંકમાં જ પત્યું કારણકે રુદ્રનાથે રૌદ્ર રૂપ ધરીને ૐકારેશ્વરનું રૂપ લઈને દાનવોનો નાશ કર્યો અને આમ ૐકારેશ્વરની સ્થાપના થઈ.

શિવ પુરાણમાં જણાવ્યા મુજબ ૐકારેશ્વરનું ઉપલિંગ, બિંદુ સરોવર પાસે આવેલું કર્દમેશ્વર છે. કોઈ પણ નામે ભજો કે કોઈ પણ નામે બોલાવો આખરે તો એક જ શિવ કે એક ઈશ્વરના જુદાં નામ. પવિત્ર નર્મદા નદીની અંદર આવેલા નાનકડા ટાપુ માંધાતા ઉપર ૐકારેશ્વર આવેલું છે. ઈક્ષ્વાકુ વંશના મહાન રાજા માંધાતાએ અહીં રાજ કરેલું અને અઠંગ શિવભક્ત હોવાથી એણે ૐકારેશ્વરની ફરતે એકસો ને આઠ મંદિર બંધાવેલાં! એના નામે અહીં માંધાતા આશ્રમ પણ છે. ઈંદોર નજીક આવેલું ૐકારેશ્વર ઈંદોર–ખંડવા રોડથી જવાય. એના નામે તો રેલવે સ્ટેશન પણ છે એનો અર્થ કે ટ્રેન ભરાઈ ભરાઈને ભક્તો અહીં આવતા જ હશે. ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક શિવલિંગ અહીં હોય પછી આ સ્થાનનો અદ્ભૂત મહિમા ન હોય એ કેમ બને?



(તસવીરોનું સૌજન્ય ગૂગલ)

5 ટિપ્પણીઓ:

  1. very very interesting informative article ,
    u have got an art of puting the nformation in classic form
    it may even attract average reader as u attach wonderful pictures
    keep it up !

    જવાબ આપોકાઢી નાખો
  2. અશ્વિનભાઈ ની વાત સાચી છે, કંટાળાજનક લાગતાં પ્રવાસ વર્ણનો કલ્પનાબેનની રસમય લેખન શૈલીને લીધે વાચનયોગ્ય અને મજાના બંને છે.

    જવાબ આપોકાઢી નાખો